પશ્ચિમ બંગાળમાં ઓવરબ્રિજ બનાવવા વૃક્ષ કાપવાનો મામલો
નવી દિલ્હી: વિકાસના નામે વૃક્ષ કાપતા અટકાવવા સુપ્રીમકોર્ટે એક અનોખા સમાધાનનું સૂચન કર્યું છે. સુપ્રીમકોર્ટે મંગળવારે કહ્યું કે તેઓ ઇચ્છે છે કે દેશભરના પર્યાવરણવિદ, અર્થશાસ્ત્રી અને વિજ્ઞાની જુએ કે એક વૃક્ષ પોતાના સમગ્ર જીવન દરમિયાન કેટલો ઓક્સિજન આપે છે. તેના આધારે વૃક્ષની કિંમત નક્કી થવી જોઈએ. આ કિંમત જે તે પ્રોજેક્ટની કિંમતમાં સામેલ કરવી જોઈએ. જેથી વૃક્ષ કાપવાની જરૂર ના પડે. તેમના મુજબ આ સારું સમાધાન છે. ચીફ જસ્ટિસ એસ.એ. બોબડેના વડપણ હેઠળની બેન્ચે આ ટિપ્પણી પશ્ચિમ બંગાળના પાંચ રેલવે ઓવરબ્રિજ મામલે કરી હતી. સાથે જ સરકારી અધિકારીઓને ફટકારતા કહ્યું કે અમને ખબર છે કે તમારી પાસે એટલું મગજ નથી કે તમે પર્યાવરણ બચાવવા યોગ્ય નિર્ણય લઈ શકો. આથી કમ સે કમ બચેલા ઝાડ તો ના કાપો. વૃક્ષ કાપ્યા વિના રસ્તો બનાવવાનો કોઈ વિકલ્પ છે કે કેમ તે ચકાસો. તે કદાચ મોંઘો સાબિત થઈ શકે પણ જો તમે સંપત્તિને મહત્ત્વ આપો છો તો આ સમાધાન સૌથી સારું રહેશે.
ઓવરબ્રિજ
બનાવવા 356 વૃક્ષ કાપવા પડે તેમ છે
કોર્ટે આ અંગે રચેલી
સમિતિને ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવા જણાવ્યું છે. હકીકતમાં આ રેલવે લાઈન પાસે 800 મોત
થયા હોવાથી સરકાર અહીં ઓવરબ્રિજ બનાવવા માગે છે. આ માટે 356 વૃક્ષ
કાપવા પડે તેમ છે. આ પ્રોજેક્ટ વિરુદ્ધ એસોસીએશન ફોર પ્રોટેક્શન ઓફ ડેમોક્રેટિક
રાઈટે કલકત્તા હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારની
તરફેણમાં ચુકાદો આપી વૃક્ષ કાપવા મંજૂરી આપી હતી. આ નિર્ણય સામે એનજીઓએ
સુપ્રીમકોર્ટમાં અરજી કરી હતી.
વૃક્ષની
કિંમત આજીવન અપાતા ઓક્સિજનના આધારે ઠરાવો
આ મામલાની સુનાવણી
કરતા સીજેઆઈએ કહ્યું કે હવે સમય આવી ગયો છે કે ઓક્સિજનની કિંમત આંકવામાં આવે.
ઓથોરિટી કોઈપણ પ્રોજેક્ટમાં વૃક્ષ કાપવાનું અનુમાન વ્યક્ત કરે છે. પણ હવે વૃક્ષની
કિંમત તેમના દ્વારા જીવનભર અપાતા ઓક્સિજનની કિંમતના આધારે નક્કી થવી જોઈએ.