રસોડામાં લાગેલી આગ બિલ્ડિંગમાં ફેલાઈ; અનેક લોકો ગેરકાયદેસર રહેતા હતા, બિલ્ડિંગના માલિક કેરળના બિઝનેસમેન
કુવૈતના મંગાફ શહેરમાં
એક બિલ્ડિંગમાં આગ લાગી હતી. 41 લોકોનાં મોત થયાં છે. તેમાંથી 40 જેટલા ભારતીયો છે. આ
દુર્ઘટનામાં 50થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં 30 ભારતીયો છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, આ દુર્ઘટના કુવૈતના સમય
અનુસાર સવારે લગભગ 6 વાગે થઈ હતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પરના રસોડામાં વહેલી સવારે લાગેલી આગ સમગ્ર
બિલ્ડિંગમાં ઝડપથી ફેલાઈ ગઈ હતી. બિલ્ડિંગની અંદર ઘણા લોકો ફસાયા હતા. આગ લાગવાનું
કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મેજર જનરલ ઈદ રશીદ હમાદે ન્યૂઝ એજન્સીને જણાવ્યું
કે આ બિલ્ડિંગમાં ઘણા પ્રવાસી મજૂરો રહે છે.
ભારતીય રાજદૂત
ઘટનાસ્થળે રવાના:
કુવૈતની ઘટના પર ભારતના
વિદેશ મંત્રી એસ જયશંકરનું નિવેદન પણ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ
દ્વારા તેમણે કહ્યું કે, "કુવૈતમાં ઘટેલી દુર્ઘટનાથી મને આઘાત લાગ્યો છે. ત્યાં લગભગ 40 લોકોનાં મોત થયા છે.
અમે વિગતો બહાર આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. ભારતીય રાજદૂત ઘટનાસ્થળે રવાના થઈ ગયા
છે. જેમણે પરિવારોને ગુમાવ્યા, તેમના પ્રત્યે મારી સંવેદના છે."
ભારતીય દૂતાવાસે
હેલ્પલાઈન નંબર જાહેર કર્યો
આ ઘટના બાદ કુવૈતમાં ભારતીય દૂતાવાસે હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે.
દૂતાવાસે પોસ્ટ કરીને કહ્યું- આજે ભારતીય લોકો સાથે બનેલી દુ:ખદ દુર્ઘટનાના
સંદર્ભમાં એક ઈમરજન્સી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર છે: +965-65505246. સંબંધિત અપડેટ્સ માટે આ
હેલ્પલાઈન નંબર સાથે જોડાઓ. એમ્બેસી તમને તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે
પ્રતિબદ્ધ છે. કુવૈતના એક વરિષ્ઠ પોલીસ કમાન્ડરે જણાવ્યું કે એક જ રૂમમાં કેટલાય લોકો રહે
છે. આ મજૂરો પૈસા બચાવવા માટે આવું કરે છે. આને લઈને સમય-સમય પર ચેતાવણી પણ
આપવામાં આવે છે કે જાણકારી વગર બિલ્ડિંગમાં કોઈ ન રહે.
કુવૈત સરકારે બિલ્ડિંગ
માલિકની ધરપકડનો આદેશ આપ્યો
કુવૈતના ગૃહ મંત્રી શેખ ફહદ અલ-યુસુફ અલ-સબાહે બિલ્ડિંગના માલિકની ધરપકડ
કરવાનો આદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ આવી ઘટનાઓ રિયલ એસ્ટેટ
માલિકોના લોભને કારણે બને છે. કુવૈત ટાઇમ્સના અહેવાલ મુજબ, વધુ ભાડાના લોભમાં
બિલ્ડિંગ માલિકો એક જ રૂમમાં ઘણા લોકોને રાખે છે. કુવૈત ટાઈમ્સના અહેવાલ
મુજબ જે ઈમારતમાં આગ લાગી હતી ત્યાં 160થી વધુ લોકો રહેતા હતા.
ગૃહ મંત્રીએ એમ પણ કહ્યું કે બિલ્ડિંગમાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહેતા હતા, જેના કારણે તેઓ કયા
દેશના નાગરિક છે તે જાણી શકાયું નથી.










