સુરતમાં સિવિલ અને ખાન ટ્રસ્ટની ભૂલને કારણે કોરોનાના મૃતદેહ બદલાયા
સુરત સિવિલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા- શબાના અને
સુશીલાના મૃતદેહો બદલાઈ જતાં હિન્દુ પરિવારની સુશીલાના પરિવારે મુસ્લિમ પરિવારની
શબાનાના અગ્નિસંસ્કાર કરી દેતાં ભારે વિવાદ થયો હતો. શનિવારે સાંજે અડધો કલાકના
સમયફેરમાં શબાના અને સુશીલાનાં મૃત્યુ થયાં હતાં. સિવિલ તંત્રએ બંનેેના પરિવારને
જાણ કરી હતી. શબાનાના પરિવારે રવિવારે સવારે મૃતદેહ લઈ જવાનું કહ્યું હતું, જ્યારે સુશીલાના પરિવારે સાંજે જ
મૃતદેહ સ્વીકારી લીધો હતો, પરંતુ
સિવિલની બેદરકારીને પગલે તેમણે સુશીલાના પરિવારને શબાનાનો મૃતદેહ આપી દેતાં તપાસ
કર્યા વિના જ અગ્નિસંસ્કાર કરી મધરાતે જ પોતાના મહારાષ્ટ્ર ખાતેના નિમગુળ ગામે જતા
રહ્યા હતા.
રવિવારે સવારે શબાનાનો દીકરો અને તેની માસી મૃતદેહ લેવા
પહોંચ્યા ત્યારે ડેડબોડી મળી નહીં, જેથી પરિવારે ભારે હોબાળો કર્યો
અને પોલીસ બોલાવવાની ફરજ પડી. પોલીસની હાજરીમાં મડદાઘરમાં તપાસ કરતાં સુશીલાનો
મૃતદેહ ત્યાં જ હતો, જ્યારે
શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર થઈ ગયા હોવાનું સ્પષ્ટ થયું હતું. ખટોદરા પોલીસે
ખાન ટ્રસ્ટના કર્મચારી અને સિવિલના કર્મચારી સામે ગુનો નોંધ્યો હતો.
મૃત્યુ પહેલાં શબાનાએ કહ્યું, મને બીજે શિફ્ટ કરો
મૃત્યુના
4 કલાક
પહેલાં બપોરે દોઢ વાગે શબાનાએ વીડિયો-કોલથી તેમના પુત્ર અનશ અને દીકરી અલવીરા સાથે
વાતો કરી હતી, જેમાં
તેમણે દીકરાને કહ્યું હતું કે અહીં ખૂબ જ તકલીફ છે. મને બીજે શિફ્ટ કરી દો. ત્યારે
7 વર્ષની
અલવીરાએ કહ્યું હતું કે ‘અમ્મી, આપ હિંમત રખના’. જોકે આ પછી સાડાચાર વાગે સિવિલ
હોસ્પિટલમાંથી શબાનાના પુત્ર અનશને ફોન ગયો હતો કે તમારી માતાની તબિયત વધુ ગંભીર
થઇ ગઇ છે. આ પછી એક કલાક બાદ ફરીથી અનશને તેની માતાનું મૃત્યુ થઇ ગયું હોવાનો
સંદેશો મળ્યો હતો.
શું હતી સમગ્ર ઘટના?
સુરત
સિવિલ હોસ્પિટલમાં કોરોનાથી મૃત્યુ પામેલી બે મહિલા શબાના અને સુશીલાના મૃતદેહો
બદલાઈ ગયા હતા. જેની દફનવિધિ કરવાની હતી તે શબાનાનો મૃતદેહ સુશીલાના પરિવારને
સોંપી દેવાતાં તેમણે અગ્નિસંસ્કાર કરી દીધા હતા. રવિવારે સવારે શબાનાનો પરિવાર
મૃતદેહ લેવા પહોંચ્યો ત્યારે એક કલાક સુધી તેમને બેસાડી રાખવામાં આવ્યા અને મૃતદેહ
બદલાઇ ગયો હોવાની કોઇપણ જાણ કરવામાં આવી નહીં. ત્યાર બાદ પરિવારની ધીરજ ખૂંટતાં
તેમણે મૃતદેહની માગણી કરી હતી. આ સમયે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો નિકાલ કરનાર
ખાનગી ટ્રસ્ટના સંચાલકે ભૂલ થઇ ગઇ હોવાનું કહી શબાનાના અંતિમસંસ્કાર કરી દીધા
હોવાની જાણ કરી હતી. આ સાંભળતાં જ શબાનાના પુત્ર અને તેમની બહેનના પગ નીચેથી જમીન
સરકી ગઇ હતી અને રીતસર તેઓ ભાંગી પડ્યા હતા.
પરિવાર સ્વજનોએ ભારે વિવાદ કર્યો
આ પછી
તેમણે પોતાના પરિવારનાં અન્ય સ્વજનોને પણ બોલાવતાં ભારે વિવાદ થયો હતો. સિવિલની આ
બેદરકારીને પગલે રોષે ભરાયેલા શબાનાના પુત્ર અનશ અને તેની માસી દ્વારા જવાબદારને
મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ આવી ગઇ હતી અને તેમણે ઘટનાની તપાસ કરવાની
ખાતરી આપી હતી. મૃતદેહ જોવા માટે પરિવાર સતત આજીજી કરતો રહ્યો હતો. પોલીસ શબાનાના
પરિવારને મડદાઘરમાં લઇ ગઇ ત્યારે ત્યાં સુશીલાનો મૃતદેહ પડ્યો હતો.
પોલીસે બે લોકો સામે ગુનો દાખલ
કર્યો
આ જોઇ
ભાંગી પડેલા પુત્રએ સિવિલના અધિકારીઓની ઝાટકણી કાઢી ચોધાર આંસુએ આક્રંદ કર્યો હતો
કે ‘મરેલી
તો મરેલી પણ મને મારી મા પાછી આપો.’ બીજી તરફ, સુશીલાના પરિવાર શનિવારે મોડી
સાંજે જ તેમને સોંપવામાં આવેલા શબાનાના મૃતદેહના અગ્નિસંસ્કાર કરી તેમના વતન
મહારાષ્ટ્ર ખાતેના ધુલિયાના નિમગુળ ગામે જતા રહ્યા હતા. ઘટના અંગે કલેક્ટરે તપાસ
કમિટી નીમી હતી, જોકે
પરિવાર સમક્ષ કલેક્ટરે કહ્યું હતું કે અમે ભૂલ સ્વીકારીએ છીએ પણ હવે બીજો કોઇ
વિકલ્પ નથી. રવિવારે મોડી સાંજે ખટોદરા પોલીસે બે લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.