નેપાળ ઉત્તરાખંડના કાલપાણી, લિપુલેખ અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો કરે છે
ભારત
અને નેપાળના સંબંધ સુધરતા જોવા મળી રહ્યા હતા ત્યાં જ હવે ફરી નેપાળની ઓલીસરકારે
બાજી પલટી દીધી છે. નેપાળની સરકારે મંગળવારે દેશના વિવાદિત નકશાને શાળાના
અભ્યાસક્રમમાં સામેલ કરી લીધો છે. નેપાળે પોતાના દેશના એક અને બે રૂપિયાના સિક્કા
પર પણ નકશાને અંકિત કરવાનો નિર્ણય કર્યો છે.
નવા નકશાને માન્યતા આપવા
બંધારણમાં સુધારો કરાયો
નેપાળ
ઉત્તરાખંડના કાલપાણી,
લિપુલેખ
અને લિમ્પિયાધુરા પર પોતાનો દાવો કરે છે. મે મહિનામાં જ્યારે રક્ષામંત્રી રાજનાથ
સિંહે લિપુલેખ થઈને જતા કૈલાશ માનસરોવર રોડ લિંકનું ઉદ્ધઘાટન કર્યું તો નેપાળે
વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર પછી નેપાળે આ ત્રણેય વિસ્તારોને સામેલ કરીને પોતાનો નવો
નકશો જાહેર કરી દીધો હતો. નેપાળને નવા નક્શાને માન્યતા આપવા માટે બંધારણમાં પણ
સુધારો કરાયો છે.
સરકારે ‘નેપાળી ભૂભાગ અને
સંપૂર્ણ સીમા સ્વાધ્યાય સામગ્રી’નામના પુસ્તકનું વિમોચન કર્યું
નેપાળના
શિક્ષણમંત્રાલયે માધ્યમિક શિક્ષણના નવા પુસ્તકમાં સંપૂર્ણ નેપાળનું ક્ષેત્રફળ
સાર્વજનિક કર્યું છે,
જેમાં
પણ કાલાપાની,
લિમ્પિયાધુરા
અને લિપુલેખને નેપાળનો હિસ્સો બતાવવામાં આવ્યો છે. પુસ્તકમાં દાવો કરવામાં આવ્યો
છે કે લિમ્પિયાધુરા,
લિપુલેખ
તથા કાલાપાની ક્ષેત્રમાં લગભગ 542 ચો કિમી ક્ષેત્રફળ પર ભારતે કબજો કર્યો છે અને એ
નેપાળનો જ હિસ્સો છે. નેપાળ સરકારે ‘નેપાળી ભૂભાગ અને સંપૂર્ણ સીમા સ્વાધ્યાય સામગ્રી’નામના પુસ્તકનું વિમોચન
કર્યું છે. આ પુસ્તકમાં નેપાળનું કુલ ક્ષેત્રફળ 1,47,641.28 ચો કિમી દેખાડવામાં આવ્યું
છે, જેમાં વિવાદિત
વિસ્તારોનું ક્ષેત્રફળ પણ સામેલ કરવામાં આવ્યું છે.
નેપાળ
સરકારે પોતાની રાષ્ટ્રીય બેન્કોને એક અને બે રૂપિયાના સિક્કા પર નેપાળનો નવો નકશો
અંકિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. અત્યારસુધીમાં સિક્કા અને નોટો પર નેપાળનો
જૂનો નકશો જ હતો. નવા સિક્કામાં અંકિત થનારા નકશામાં લિમ્પિયાધુરા, કાલાપાની અને લિપુલેખને
પણ સામેલ કરવાની મંજૂરી કેન્દ્રીય બેન્કને આપવામાં આવી છે.
નેપાળમાં જ સવાલો ઊઠવા
લાગ્યા
શાળાનાં
બાળકો માટે લાવવામાં આવેલા પુસ્તકના એક અંશમાં લખવામાં આવ્યું છે કે 1962માં ચીન સાથે યુદ્ધ ખતમ થયા
પછી ભારતીય વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નેપાળના રાજા મહેન્દ્રને પોતાની આર્મીને
થોડા સમય સુધી રોકાવા દેવાની અપીલ કરી હતી, પરંતુ 60 વર્ષ પછી પણ નેપાળની જમીન પરથી
પોતાની આર્મીને હટાવવાની જગ્યાએ ભારત સરકાર આ વિસ્તારોને પોતાના નકશામાં જોડી રહી
છે.
આ
પુસ્તક પર નેપાળમાં જ સવાલ ઊઠવા લાગ્યા છે કે શું ભારત સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે
આવું પગલું ભરવું જરૂરી હતું. ત્રિભુવન યુનિવર્સિટીમાં વિદેશ સંબંધ તથા કૂટનીતિ
વિભાગના પ્રમુખ ખડ્ગા કેસીએ નેપાળના મુખ્ય છાપા કાઠમાંડુ પોસ્ટને કહ્યું હતું કે
શું આ પ્રકારનું પુસ્તક લાવવાનો આ યોગ્ય સમય છે? આ પ્રકારનાં પગલાં ભરતાં
પહેલાં એનાં પરિણામો પર સરકારે સારી રીતે વિચાર કરી લેવો જોઈએ.