હાલ કોરોનાના દર્દીઓ ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે, પણ આપણા શરીરમાં જ મોટા પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે
બનાસકાંઠા :બનાસકાંઠામાં કોરોનાનું
સંક્રમણ ખૂબ જ તેજીથી વધી રહ્યું હોવાથી અનેક લોકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે.
જેને લઈને અનેક જિલ્લામાં સેવાકીય સંસ્થાઓ દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને
ઝડપી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે કોવિડ કેર સેન્ટર શરૂ કરાયા છે. જેમાં
પાલનપુરના નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા અનોખું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે.
જ્યાં ઓક્સિજનની અછતવાળા (oxygen
shortage) દર્દીઓને
એક્યુપ્રેશર પદ્ધતિ દ્વારા ઓક્સિજન પૂરો પડાઈ રહ્યો છે.
એક્યુપ્રેશર પદ્ધતિથી
ઓક્સિજન લેવલ વધે છે
હાલમાં
કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ લહેરમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની
સંખ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. જેથી અનેક લોકોને સારવાર માટે હોસ્પિટલમાં બેડ ન
મળતાં તેમની હાલત કફોડી બની છે. તો બીજી બાજુ કોરોનાગ્રસ્ત દર્દીઓ પોતાના
પરિવારના લોકોને પણ સંક્રમિત કરી રહ્યા હોવાથી તેમને પણ કોરોનાની પ્રાથમિક
સારવારની જરૂર પડી રહી છે. આવામાં અનેક સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા કોવિડ
કેર સેન્ટર શરૂ કરાયા છે અને ત્યાં તેમને વિવિધ પ્રકારની સારવાર અપાઈ
રહી છે. પાલનપુરના નિસ્વાર્થ સેવા સંગઠન અને ક્ષત્રિય ઠાકોર યુવા વિકાસ એજ્યુકેશન
ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને ઉત્તમ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે 17 બેડનું અનોખું કોવિડ કેર
સેન્ટર શરૂ કરાયું છે. જે ટૂંક સમયમાં 40 બેડનું કરી દેવાશે. અહીં
દર્દીઓને નિષ્ણાત ડોક્ટરો દ્વારા ઓક્સિજન લેવલ, બ્લડ પ્રેસર માપીને સારવાર કરવામાં આવી રહી છે. જ્યાં
દર્દીઓને તેમજ તેમના પરિવારને ગરમ ઉકાળા સહિત વિનામૂલ્યે ભોજન પણ આપવામાં આવી રહ્યું છે, તો દર્દીનું ઓક્સિજન
લેવલ વધારવા માટે એક્યુપ્રેશર પદ્ધતિ (acupressure) અપનાવવામાં આવી રહી છે.
આ વિશે નિસ્વાર્થ સેવા સંગઠન પાલનપુરના પ્રમુખ નીતિન ઠાકોર કહે છે કે, ગરીબ દર્દીઓને યોગ્ય
સારવાર મળી રહે તે માટે અમે કોવિડ કેર સેન્ટર શરૂ કર્યું છે.
આપણા શરીરમાં જ ઓક્સિજન
ઉત્પન્ન કરવાની ક્ષમતા છે
એક્યુપ્રેશર
પદ્ધતિથી સારવાર કરતા મુલદાસભાઈ કહે છે કે, હાલ કોરોનાના દર્દીઓ ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા
છે, પણ આપણા શરીરમાં જ મોટા
પ્રમાણમાં ઓક્સિજન ઉત્પન્ન કરવાની ક્ષમતા છે. જો દર્દીના બંને હાથની નાડી ઉપર અને
છાતીની નીચેની પાંસણી ઉપર યોગ્ય પોઇન્ટ ઉપર યોગ્ય રીતે એક્યુપ્રેશર કરવામાં આવે તો
દર્દીના શરીરમાં ઓટોમેટિક ઓક્સિજન ઉત્પન્ન થઇ જાય છે અને દર્દીને કૃત્રિમ
ઓક્સિજનની જરૂર પડતી નથી. જોકે આ પદ્ધતિ દ્વારા તેમને અનેક દર્દીઓના શરીરમાં
ઓક્સિજનની માત્ર વધારી છે. જેના કારણે દર્દીઓ પણ આ પદ્ધતિથી તેમને લાભ થયો હોવાનું
કહી રહ્યા છે.
મુલદાસભાઈનું કહેવુ છે કે, એક્યુપ્રેશર પદ્ધતિ
દ્વારા દર્દીના હાથ અને છાતીની પાંસળી ઉપરના પોઇન્ટ ઉપર એક્યુપ્રેશર કરીને તેનું
ઓક્સિજન લેવલ વધારી શકાય છે. તો બીજી તરફ દર્દી મેહુલભાઈએ કહ્યું કે, હું અહી સારવાર લેવા
આવ્યો છું મારુ ઓક્સિજન લેવલ નીચું હતું. જોકે આ એક્યુપ્રેશર સારવાર દ્વારા મારુ
ઓક્સિજન લેવલ વધી ગયું છે.
બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ લોકોને યોગ્ય સારવાર ન
મળતાં લોકોના મોત થઈ રહ્યા છે અને યોગ્ય સમજ ન હોવાના કારણે અનેક દર્દીઓ ગભરાઈ
રહ્યા છે અને તેમનું ઓક્સિજન લેવલ ઘટી
રહ્યું છે જેથી તેમને ઓક્સિજનની જરૂર પડી રહી છે એટલે આ કોવિડ કેર સેન્ટરની જેમ
અન્ય જગ્યાએ પણ દર્દીઓને યોગ્ય સમજ આપીને એક્યુપ્રેશર પદ્ધતિનો ઉપયોગ
કરાય તો દર્દીઓને યોગ્ય સારવાર મળી રહે.