નવા કૃષિ કાયદાને રદ કરવાની માગ માટે અડગ ખેડૂત 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ કાઢવાના છે, જેના માટે ખેડૂતોએ પૂરી તૈયારી કરી લીધી છે
ખેડૂત સંગઠનો અને દિલ્હી પોલીસ વચ્ચે 26 જાન્યુઆરીની ટ્રેક્ટર પરેડ અંગે
સહમતી બન્યાં પછી સિંધુ અને ટિકરી બોર્ડર પર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પંજાબ અને
હરિયાણાથી ટ્રેક્ટર્સ આવવાનો સિલસિલો સતત ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રવિવારની રાત સુધી ટિકરી, સિંધુ અને ગાઝીપુર બોર્ડર પર લગભગ 20 હજાર ટ્રેક્ટર પહોંચી ચૂક્યાં છે.
ખેડૂતનેતાઓનો દાવો છે કે 26 જાન્યુઆરીની
સવાર સુધી એક લાખ ટ્રેક્ટર આવી જશે.
ટિકરી બોર્ડર પર એક સાઈડથી રોડ
ખોલવામાં આવ્યો
રવિવારની
સાંજે રૂટ પર સહમતી થયા પછી દિલ્હી પોલીસે ટિકરી બોર્ડરથી દિલ્હી તરફ આવનાર રસ્તા
પર એક સાઈડથી બેરિકેડ્સ હટાવી દીધાં છે. આંદોલન સ્થળથી લગભગ એક કિમી આગળ સિમેન્ટના
બેરિકેડ્સ અને લોખંડનાં મોટા કન્ટેનર્સને હટાવીને રસ્તા ખાલી કરી દેવાયા છે, સાથે જ નક્કી કરેલા રૂટ પર દિલ્હી
પોલીસ અને CRPFના
જવાનોએ પણ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. પરેડમાં સૌથી વધુ ટ્રેક્ટર ટિકરી
બોર્ડરથી જ દિલ્હીમાં આવશે. એટલા માટે અહીં વ્યવસ્થા સૌથી વધુ કડક છે. પોલીસે શરત
રાખી છે કે એક ટ્રેક્ટર પર ત્રણથી વધુ લોકો નહીં બેસે. બીજી વસ્તુ નક્કી કરવા માટે
ખેડૂત સંગઠન અને પોલીસ સોમવારે પણ ચર્ચા કરશે.
માર્કેટ બંધ રહેશે, રસ્તા પણ ખાલી રહેશે
ટિકરીથી
દિલ્હીવાળા રૂટ પર 26 જાન્યુઆરીના
રોજ ટ્રેક્ટર રેલી દરમિયાન સુરક્ષાદળ અને ખેડૂત સિવાય કોઈ નહીં હોય. એક પોલીસ
અધિકારીના જણાવ્યા પ્રમાણે, 25 જાન્યુઆરીની
સાંજે જ તમામ દુકાનો બંધ કરાવી દેવાશે. આવું એટલા માટે જેથી કંઈ ગરબડ થાય તો વાહનો
અને દુકાનોને નુકસાન ન થાય. ટિકરી બોર્ડરની આસપાસ જ્યાં ખેડૂત ભેગા થયા છે એ
રહેણાક વિસ્તાર છે. એટલા માટે અહીં મોટી સંખ્યામાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે.
પરેડના નક્કી કરાયેલા રૂટ ઉપરાંત આસપાસના રસ્તા પર પણ ડાઇવર્ઝનનો પ્લાન તૈયાર
કરાયો છે.
ખેડૂત સોશિયલ આર્મીના 1000 વોલન્ટિયર્સ પણ તહેનાત રહેશે
ટિકરી
બોર્ડરથી દિલ્હી આવતી ટ્રેક્ટર પરેડ માટે ખેડૂત સોશિયલ આર્મીના એક હજાર
વોલન્ટિયર્સ પણ તહેનાત રહેશે. આ યાદી પોલીસને પણ આપવામાં આવશે. આ વોલન્ટિયર્સને
લીડ કરી રહેલા અજિત સિંહે જણાવ્યું હતું કે વોલન્ટિયર્સ ડ્રેસ કોડમાં હશે, જેમાં ફર્સ્ટ એડ, પાણી-ચાની સેવા આપનાર ઉપરાંત
ટ્રેક્ટર મિકેનિક પણ હશે. અમે આના માટે ટ્રેનિંગ પણ આપી રહ્યા છીએ.
ટ્રેક્ટર પર લાગેલા ધ્વજ અંગે
ચર્ચા
પરેડમાં
સામેલ થનારાં ટ્રેક્ટર પર ત્રણ પ્રકારના ધ્વજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેમાં ખેડૂત સંગઠન, તિરંગો(રાષ્ટ્રીય ધ્વજ)અને ખાલસા
પંથનો ધ્વજ સામેલ છે. સંયુક્ત ખેડૂત મોરચા તરફથી જાહેરાત કરવામાં આવી છે કે કોઈ
સંગઠન પોતાના ટ્રેક્ટર પર તિરંગાનો ઉપયોગ ભલે ન કરે, પણ તેનું અપમાન નહીં કરે. હરિયાણા
અને યુપીથી આવેલા ખેડૂતોએ પોતાનાં ટ્રેક્ટર્સ પર ખેડૂત સંગઠન સાથે તિરંગો લહેરાવી
રાખ્યો છે, સાથે
જ પંજાબથી આવેલાં ટ્રેક્ટર્સ પર ખેડૂત સંગઠન અને ખાલસાનો ધ્વજ લાગેલો છે.
ગરબડ થશે તો વરિષ્ઠ ખેડૂતનેતા
જવાબદાર હશે
ખેડૂતનેતાઓ
પાસેથી એ વાતને ગેરંટી લેવાઈ છે કે પરેડ દરમિયાન કોઈપણ માહોલ બગાડવાનો પ્રયાસ ન
કરે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, જો પરેડ દ્વારા ગરબડ થઈ તો એના માટે
વરિષ્ઠ ખેડૂતનેતા જવાબદાર ગણાશે અને તેની પર કાર્યવાહી થશે.
કયા રૂટ પર કેટલા કિમીની મંજૂરી
ટિકરી
બોર્ડરથી 63થી 64 કિમી, સિંધુ બોર્ડરથી 62થી 63 કિમી અને ગાઝીપુર બોર્ડરથી 46 કિમીની ટ્રેક્ટર રેલીનો રૂટ નક્કી
કરાયો છે. ખેડૂત સિંધુ, ટિકરી
અને ગાઝીપુર બોર્ડરથી જ દિલ્હીમાં પ્રવેશ કરી શકશે. પલવલ અને શાહજહાંપુર સીમા પર
બેઠેલા ખેડૂતોને એ રૂટથી દિલ્હીમાં પ્રવેશની મંજૂરી નહીં મળે. અહીં બેઠેલા ખેડૂતો
બદરપુર બોર્ડરથી થઈને આશ્રમ સુધી આવવા માગે છે, પરંતુ પોલીસનું કહેવું છે કે જો તે
પરેડમાં સામેલ થવા માગે છે તો નક્કી કરેલા રૂટથી જ જોડાય.
લગભગ 32 કિમીના વિસ્તારમાં ફેલાઈ છે
ટ્રેક્ટર-ટ્રોલી વસતિ
આંદોલન
દરમિયાન ખેડૂતોની સૌથી મોટી સંખ્યા ટિકરી બોર્ડર પર જ છે. અહીં લગભગ 32 કિમીના એરિયામાં ખેડૂત
ટ્રેક્ટર-ટ્રોલીઓ સાથે બે મહિનાથી લાગ્યા છે. ટિકરી બોર્ડર પર જ ટ્રેક્ટર્સની
સંખ્યા પણ સૌથી વધુ છે. પોલીસસૂત્રોના જણાવ્યા પ્રમાણે, ટિકરી પર 10થી 12 હજાર ટ્રેક્ટર છે.