અમદાવાદ બગોદરાથી ધંધુકા માર્ગ ફેદરા પાસે એસટી બસની અડફેટે આવતા બાઇક સવાર બે વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે
અમદાવાદ : અમદાવાદ બગોદરાથી ધંધુકા માર્ગ ફેદરા પાસે
એસટી બસની અડફેટે આવતા બાઇક સવાર બે
વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. બાઇક સવાર બંન્ને જણ અમરેલી તરફ જઇ રહ્યાં હતાં.
સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક માહિતીમાં મળતી ખબર
પ્રમાણે બાઇક ચાલક રસ્તા પર ચાલતા કૂતરાને બચાવવા જતાં આ અકસ્માત સર્જાયો છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે ધંધુકા માર્ગ ફેદરા પાસે કૂતરાને બચાવવા જતા બાઇક ચાલકનું બેલેન્સ બગડ્યું હતું. જે બાદ તે એસટી બસ સાથે અથડાતા બાઇક સવાર બંન્ને જણ એસટીનાં પૈડામાં ફસડાઇ ગયા હતાં. જેના કારણે બંન્નેનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે.
બાઇક સવારે હેલ્મેટ પણ પહેરેલું હતું. તેની પાસેથી મળતા ડ્રાઇવર લાઇસન્સમાં તેનું નામ હાર્દિકકુમાર પનેલિયા લખેલું છે અને તેમની ઉંમર 29 વર્ષની જણાય છે. તે અમરેલી જિલ્લાનાં ખાંભા તાલુકાનાં પિપલાવા ગીરનાં રહેવાસી છે.
આ અકસ્માત બાદ 108 પણ ઘટના સ્થળે આવી ગઇ હતી. પરંતુ આ બંન્નેનાં મોત નીપજ્યાં હતાં. હાલ આ બંન્નેનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઇ જવામાં આવ્યાં છે.