મહારાષ્ટ્ર વિધાનસભાનું શનિવારે વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનું શનિવારે
વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્ર વિકાસ અધાડી
(શિવસેના-એનસીપી અને કોંગ્રેસ)ની સરકાર ગૃહમાં આજે વિશ્વાસ મત (ફ્લોર ટેસ્ટ) સાબીત
કરશે. શુક્રવારે એનસીપીના સીનિયર ધારાસભ્ય દિલીપ વાલસે પાટિલની વિધાનસભાના પ્રોટેમ
સ્પીકર તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો ફ્લોર ટેસ્ટની પ્રક્રિયામાં
હાજરી આપવા ગૃહમાં આવી ચૂક્યા છે અને વિપક્ષની જગ્યાએ સ્થાન લીધું છે. અત્યારે
દેવેન્દ્ર ફડણવીસે શરૂઆતમાં જ પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને આ સત્ર બોલાવવા અંગે સવાલ
ઉભા કર્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે આ સત્ર બોલાવવા માટે રાજ્યસભાનું સમન્સ લેવું
પડે છે જે લેવાયું નથી.
આ સવાલોના
જવાબમાં સ્પીકરે કહ્યું કે વિધાનસભાને સ્થગિત કરવા માટે રાજ્યપાલને ઓર્ડર આપવો પડે
છે જે નિયમો પ્રમાણે ઓર્ડર નહોતો આપાયો તેથી બીજી વખત વિધાનસભા બોલાવી શકાય છે. આ
મુદ્દે કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી અને રાજ્યપાલે અધિવેશન બોલાવવાનો ઓર્ડર
આપ્યો છે. તેથી તમારી વાત ખોટી છે. ત્યારબાદ પ્રોટેમ સ્પીકર દિલીપ પાટીલે
રાજ્યપાલનો ઓર્ડર વિધાનસભાને સંભળાવ્યો હતો. ત્યારબાદ ભાજપના ધારાસભ્યોએ નારેબાજી
શરૂ કરી હતી. આ સમયે ઉદ્ધવ ઠાકરેએ તેમના મંત્રીઓનો પરિચય આપ્યો હતો જે એક
પ્રક્રિયા હોય છે.
સૂત્રોના
જણાવ્યા પ્રમાણે અગાઉના ઘટનાક્રમના કારણે ત્રણેય દળ હવે શક્ય હોય એટલું વહેલા
ફ્લોર ટેસ્ટ પાસ કરાવવા માંગે છે. આ દરમિયાન એક એવી પણ વાત જાણવા મળી છે કે, હવે કોંગ્રેસને
પણ ડેપ્યુટી સીએમ પદ જોઈએ છે. આ દરમિયાન અજીત પવારે ભાજપ સાંસદ પ્રતાપરાવ ચિકલીકરે
મુલાકાત કરી છે. ત્યારપછી અજીતે કહ્યું કે, આ એક ઔપચારિક મુલાકાત હતી. ભલે અમે
અલગ અલગ પાર્ટીઓમાંથી હોઈએ પરંતુ એકબીજા સાથે સારા સંબંધો રાખીયે છીયે. આ
મુલાકાતમાં ફ્લોર ટેસ્ટ વિશે કોઈ ચર્ચા નથી થઈ. સંજય રાઉત પહેલાં જ કહી ચૂક્યા છે
કે, આજે અમારુ ગઠબંધન સદનમાં સંખ્યાબળ સાબીત કરશે.