5 ડિસેમ્બર 2019ના રોજ ઉન્નાવ જિલ્લાના બિહાર વિસ્તારમાં દુષ્કર્મના આરોપીઓએ પીડિતાને જીવતી સળગાવી હતી
ઉન્નાવ: ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લામાં જીવતી સળગાવવામાં આવેલી રેપ પીડિતાના મોતને 37 દિવસ થઈ ગયા છે. પરિવાર સરકાર જિલ્લા પ્રશાસનની કામગીરીથી ખુશ નથી. પીડિતની બહેને કહ્યું હતું કે, અમને મુખ્યમંત્રીને મળવા પણ નથી દેવાતા. જ્યારે પણ લખનઉ જવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જિલ્લા પ્રશાસન અમને રોકી દે છે. હજી સુધી દીદીના કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં પણ મોકલવામાં આવ્યો નથી, જ્યારે આ વિશે તો મુખ્યમંત્રીએ જાતે જ આશ્વાસન આપ્યું હતું. હું ઈચ્છું છું કે, દીદીના હત્યારાઓને ફાંસી મળે. દીદીને જીવતી સળગાવનાર લોકો અમને સતત ધમકીઓ આપી રહ્યા છે. મને કહે છે કે, કોર્ટમાં નિવેદન આપીશ તો તારી એવી હાલત કરીશું કે કોઈ લાયક નહીં રહે. આજે મુખ્યમંત્રીને મળવા લખનઉ જવાની છું, જો કોઈ મને રોકવાનો પ્રયત્ન કરશે તો આત્મદાહ કરીશ.
યોગીને મળવા નથી દેતા
પીડિતની બહેને કહ્યું કે, 5 ડિસેમ્બરે મારી બહેનને જીવતી સળગાવવામાં આવી હતી. સીએમને મળવા માટે 3-4 વાર લખનઉ જવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ પ્રશાસને દરેક વખતે રોકી લીધી. એક વાર તો ઘરની બહાર જ ન નીકળવા દીધી.
પ્રકરણને દબાવવાનો પ્રયત્ન
પીડિતની બહેને કહ્યું- મેં અને મારા ભાઈએ અંદાજે 6 વખત ડીએમ સાથે મુલાકાત કરી છે. પરંતુ અમને માત્ર આશ્વાસન આપવામાં આવે છે. બસ માત્ર એવુ કહેવામાં આવે છે કે, કેસ એક્શનમાં જ છે. પરંતુ શું થઈ રહ્યું છે તે કશી જ ખબર નથી. અમુક લોકો આ કેસ દબાવવા માંગે છે.
માંગણીઓ પૂરી નથી થઈ,રોજ ધમકીઓ મળે છે
પીડિતની બહેને એવું પણ કહ્યું છે કે, સરકારે નોકરી, મકાન અને આર્થિક મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. સરકાર તરફથી અત્યારે આર્થિક સહાય પેટે રૂ. 25 લાખ આપવામાં આવ્યા છે પરંતુ મકાન અને નોકરીની માંગણી અધુરી છે. રોજ ધમકીઓ મળે છે. ત્રણ દિવસ પહેલા કરિયાણું લેવા ગઈ ત્યારે બાજપેઈ પરિવારનો એક છોકરો અને અમુક મહિલાઓ પાછળ પડ્યા હતા. તે લોકોએ કહ્યું કે, તને મારીશું તો નિવેદન પણ નહીં આપી શકે. દર વખતે સિક્યુરિટી ગાર્ડ્સ સાથે નથી હોતા. ગામના લોકોની સામે જ ધમકીઓ આપવામાં આવી રહી છે. ગામના લોકો ખૂબ ડરેલા છે. તેથી કોઈ ખુલીને અમારુ સમર્થન નથી કરી રહ્યા.
શું હતી ઘટના, અત્યાર સુધી શું થયું?
ઉન્નાવના બિહાર વિસ્તારમાં 5 ડિસેમ્બરે ગેંગરેપ કેસની સુનાવણી માટે પીડિતા રાયબરેલી કોર્ટ જઈ રહી હતી. વહેલી સવારે ગામની બહાર શિવમ અને શુભમે અન્ય ત્રણ સાથી સાથે મળીને પીડિતાને જીવતી સળગાવી દીધી હતી. અંદાજે 43 કલાક પછી પીડિતાએ દિલ્હીના સફદરજંગ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. મૃત્યુ પહેલાં પીડિતાના નિવેદનના આધારે ગામના સરપંચ હરિશંકર ત્રિવેદી, તેનો દીકરો શુભમ, ગાંવના શિવમ અને ઉમેશ બાજપાઈ સહિત 5 લોકોની ધરપકડ કરી છે. આ કેસની તપાસ SIT કરી રહી છે. ઘટનાના 20 દિવસ પછી 26 ડિસેમ્બરે આરોપ પત્ર તૈયાર કરવામાં આવ્યું છે. એક જાન્યુઆરીએ કોર્ટ ખુલતા પોલીસે આરોપ પત્ર દાખલ કરી દીધું છે. ત્રણ જાન્યુઆરીએ આરોપીઓને પહેલીવાર કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.