પ્રત્યેક ત્રણ સેકન્ડમાં 100 લોકો કોરોના સંક્રમિત થયા
જીનિવા: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન
(WHO)ના વડા ટેડ્રોસ એડનોમે કોરોના મહામારી અંગે એક મોટું નિવેદન આપ્યું છે કે
ઓમિક્રોનને કોરોનાનો અંતિમ વેરિયન્ટ સમજવો ખતરનાક સાબિત થઈ શકે છે. તેઓ UN હેલ્થ એજન્સી
એક્ઝિક્યુટિવની બોર્ડ બેઠકમાં હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જો આ મહામારીથી
બચવા મોટે પાયે ઉપાય કરવામાં આવશે તો 2022ના અંત સુધીમાં એનો અંત
આવી શકે છે.
ટેડ્રોસે કહ્યું હતું
કે ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિને અટકાવી શકાય છે, માટે વર્તમાન મહામારીથી
બોધપાઠ લેવા અને નવા ઉકેલ શોધવાની જરૂર છે. આ માટે આપણે મહામારીનો અંત આવે એની રાહ
જોઈ શકીએ નહીં.
ગયા સપ્તાહમાં કોરોનાથી
પ્રત્યેક 12 સેકન્ડમાં એક મોત
WHOના વડાના જણાવ્યા પ્રમાણે, ગયા સપ્તાહના આંકડા જોવામાં આવે તો પ્રત્યેક ત્રણ સેકન્ડમાં
100 લોકો કોરોના સંક્રમિત થયા. આ વાઈરસે પ્રત્યેક 12 સેકન્ડમાં એક વ્યક્તિનો
જીવ લીધો. વર્ષ 2019માં પ્રથમ કેસ આવ્યા બાદ અત્યારસુધીમાં કોરોના વાઈરસ વિશ્વભરમાં 56 લાખથી વધારે લોકોનો જીવ
લઈ ચૂક્યો છે.
WHO કેટલાક મહિનાથી માગ કરી
રહ્યું છે કે ગરીબ દેશોમાં વેક્સિન પહોંચાડવામાં ઝડપ લાવવામાં આવે. સંગઠને તમામ
દેશોને જૂન 2022 સુધી પોતાની ઓછામાં ઓછી 70 ટકા વસતિને વેક્સિનેશન કરવા અપીલ કરી છે. WHOના 194 સભ્ય દેશો પૈકી અડધા
દેશોએ 2021ના અંત ભાગ સુધીમાં 40 ટકા વસતિનું વેક્સિનેશન કરાવી લીધુ હતું. દરમિયાન આફ્રિકામાં 85 ટકા લોકોને એક ડોઝ પણ
મળ્યો નથી.
વધુ ખતરનાક વેરિયન્ટ
આવી શકે છે
WHOના વડાએ કહ્યું હતું કે વિશ્વને કોવિડ સાથે રહેવાનું શીખવું પડશે. ઓમિક્રોન
ડેલ્ટાની તુલનામાં ઓછો ગંભીર વેરિયન્ટ છે. એના કેસમાં વિસ્ફોટક રીતે વધારો થઈ
રહ્યો છે, પણ મૃત્યુનો આંકડો ઓછો છે. એનાથી વિપરીત વિશ્વભરમાં કોરોનાનો નવો વેરિયન્ટ
સામે આવવાનું જોખમ રહેલું છે, જે વધારે ઘાતક હોઈ શકે છે.
સોમવારે મળ્યો નવો
વેરિયન્ટ
બીજી બાજુ, ભારતમાં કોરોનાના ઓમિક્રોનની લહેર વચ્ચે વાઈરસનો વધુ એક વેરિયન્ટનું જોખમ
સર્જાયું છે. આ વેરિયન્ટને BA-2 નામ આપવામાં આવ્યું છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં નવા
સ્ટ્રેનથી સંક્રમિત 16 દર્દી મળ્યા છે, તેમાં 6 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે દેશભરમાં 530 સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે.
UK, ઓસ્ટ્રેલિયા અને
ડેનમાર્કમાં પણ એના કેસ સામે આવ્યા છે. આ વેરિયન્ટ ઓમિક્રોનની માફક ઝડપથી ફેલાય
છે. આ સંજોગોમાં એની ઓળખ ન થવાથી તેનું સંક્રમણ અટકાવવું એક મોટો પડકાર છે. ચિંતા
એ વાતની છે કે ટેસ્ટ કિટની પકડમાં પણ એ આવતો નથી. એને લીધે એને સ્ટેલ્થ એટલે કે
છુપાયેલું વર્ઝન કહેવામાં આવે છે. બ્રિટન, સ્વીડન અને
સિંગાપોરમાંથી દરેક દેશે 100થી વધારે સેમ્પલ તપાસ માટે મોકલ્યાં છે.
ભારતમાં મૃત્યુ પામનારાની
સંખ્યા વધી
ભારત માટે વધુ એક ચિંતાની વાત છે કે ગયા સપ્તાહ એટલે કે 17થી 23 જાન્યુઆરી વચ્ચે દેશમાં
કોરોનાથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા આશરે બમણી થઈ ગઈ છે. વાઈરસથી 2,680 લોકોનાં મોત થયાં છે, જે અગાઉના સપ્તાહમાં
થયેલાં 1,396 મોત કરતાં 92 ટકા વધારે છે.