ઘટના પછી લૂંટ કરનારનો બે વખત પોલીસ સાથે પનારો પણ પડ્યો, પરંતુ પોતાને નાર્કોટિક્સના અધિકારી જણાવી તેઓ ભાગવામાં સફળ રહ્યા
દિલ્હીથી 37 પેકેટમાં લગભગ અઢી કરોડ રૂપિયાની કિંમતના સોનાના ઘરેણાં
લઈને રોડવેઝની બસમાં મુસાફરી કરી રહેલા કુરિયર કંપનીના ડિલિવરી બોયનું અપહરણ કરીને
કેટલાક શખ્સોએ લૂંટ કરી છે. મંગળવારે રાત્રે લગભગ બે વાગ્યે દિલ્હી-જયપુર એનએચ પર
જનકસિંહપુરા ગામની પાસે આ ઘટના ઘટી. બદમાશ મહારાષ્ટ્ર નંબરની ઈન્ડેવર કારમાં આવ્યા
હતા. જેમાંથી એકે પોતાની ઓળખ CISFના સબ-ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી. ત્રણ લોકો કારમાં જ બેસી
રહ્યાં. ઘટના પછી લૂંટ કરનારનો બે વખત પોલીસ સાથે પનારો પણ પડ્યો, પરંતુ પોતાને નાર્કોટિક્સના
અધિકારી જણાવી તેઓ ભાગવામાં સફળ રહ્યાં. બુધવારે મોડી સાંજ સુધી તેઓની કોઈ ભાળ મળી
નથી. જ્યારે ડિલિવરી બોયને માર મારીને ખેતરમાં ફેંકી દીધો હતો. બપોરે કંપનીના
માલિક તેમજ ડિલિવરી બોય નીમરાના પહોંચ્યા અને લૂંટનો કેસ નોંધાવ્યો.
નીમરાનાના પોલીસ અધિક્ષક જયપાલસિંહ યાદવે જણાવ્યું કે
જયપુરની શ્રીવિનાયક એર પાર્સલ કુરિયરનો ડિલિવરી બોય પ્રમોદ સૈની પાર્સલ
આપવા-લાવવાનું કામ કરે છે. તે 2 માસ પહેલાં જ કંપનીમાં નોકરીએ લાગ્યો હતો. મંગળવારે રાત્રે 10 વાગ્યે લગભગ કરોલ બાગ દિલ્હીથી
કંપનીના ત્રણ વ્યક્તિઓએ તેને 37 પેકેટ્સની સાથે રાજસ્થાન રોડવેઝની અજમેર-આગ્રાની બસમાં
જયપુર જવા માટે બેસાડ્યો. આ પેકેટ્સમાં લગભગ અઢી કરોડ રૂપિયાના સોનાના ઘરેણાં હતા.
એનએચ પર શાહજહાંપુર ટોલ પ્લાઝથી નીકળ્યા પછી દેવનારાયણ હોટલ
તેમજ ઢાબાની નજીક મહારાષ્ટ્ર પાર્સિગવાળી એક ઈન્ડેવર કારમાં સવાર ખાખીધારી બે
વ્યક્તિઓએ બસ રોકી હતી. પોતાની ઓળખ CISFના સબ ઈન્સ્પેક્ટર તરીકે આપીને કાર
સવાર પવન કુમાર નામની વ્યક્તિએ રોડવેઝ બસ કંડકટર શિવરાજ સૈનીને કહ્યું કે આ બસમાં
તસ્કર બેઠેલો છે. જે બાદ કુરિયર ડિલીવરી કરનારા પ્રમોદ સૈનીને ઉતારીને સોનાના
આભૂષણના પેકેટને પોતાના કબજામાં લઈ લીધા. તેને પણ પોતાની સાથે કારમાં બેસાડી દીધો.
ડિલિવરી કરનાર પ્રમોદની સાથે દિલ્હીથી બસમાં બેસીને આવી રહેલા બે વ્યક્તિ પણ
ઉતરીને ઈન્ડેવર કારમાં બેસીને ચાલ્યા ગયા. જે બાદ તેઓએ પ્રમોદને માર માર્યો અને
હાઈવે પર થોડેક આગળ ખેતરોમાં ફેંકી દીધો. તેનો મોબાઈલ પણ ફેંકી દીધો. પ્રમોદે
કંપનીના માલિકોને ઘટનાની જાણકારી આપી અને જયપુર જવા નીકળી ગયો.
બુધવારે બપોરે શ્રીવિનાયક એર પાર્સલ કુરિયર કંપનીના મનીષ
કુમાર તેમજ નગેન્દ્રસિંહ પીડિત પ્રમોદ સૈનીને લઈને નીમરાના પોલીસ સ્ટેશન પહોંચ્યા.
પ્રમોદની ફરિયાદના આધારે અપહરણ, લુંટ અને નકલી પોલીસ બનીને લુંટ કરવા અંગે કેસ દાખલ કરવામાં
આવ્યો. એએસપી યાદવે બહરોડ ડીએસપી મહાવીરસિંહ શેખાવત, પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ ગૌરવ પ્રધાન, શાહજહાંપુર પોલીસ સ્ટેશનના
ઈન્ચાર્જ સુનીલ જાંગિડની સાથે ઘટના સ્થળે તપાસ કરી અને પીડિત પાસેથી પણ તપાસ અર્થે
જરૂરી માહિતી એકઠી કરી.
પોલીસ ટીમને અપરાધીઓએ ચકમો આપ્યો
બસ
કન્ડક્ટર શિવરાજ સૈનીએ લૂટ પછી રાતે જ પોલીસ કંટ્રોલરૂમમાં સૂચના આપી હતી. આ પહેલા
ડિલીવરી બોય પ્રમોદ સૈનીને કારમાં બેસાડીને લઈ જઈ રહેલા અપરાધીઓનો રસ્તામાં બેવાર
પોલીસની સિગ્મા ટીમ સાથે ભેટો થયો હતો. પરંતુ અપરાધીઓએ પોલીસને ચકમો આપતા કહ્યું
હતું કે અમે નાર્કોટિક્સ વિભાગમાં છીએ. નસીલી વસ્તુઓની તસ્કરી કરતી વ્યક્તિને પકડી
છે. તેઓને વર્દી પણ બતાવી, પરંતુ
આ સમયે ડિલીવરી બોય પ્રમોદ કંઈ ન બોલ્યો. ત્યારે પોલીસ ટીમને મેસેજ પણ મળ્યો ન
હતો. એટલા માટે પોલીસે તેને જવા દીધા.
ઉતાવળના કારણે એર કાર્ગોના બદલે
બસમાં મોકલ્યા
શ્રીવિનાયક
એર પાર્સલ કૂરિયરની દિલ્હીના કરોલ બાગ સ્થિત બિદનપુરામાં અને જયપુરની સોની બજારમાં
ઓફિસ છે. કંપની એર કાર્ગોથી જ માલ મંગાવે છે. પરંતુ તહેવારની સીઝનના કારણે ઝડપથી
ડિલીવરી માટે કર્મચારીને બસમાં પાર્સલ લઈને મોકલ્યો હતો. કરોડો રૂપિયાના ઘરેણા
સાથે પ્રમોદ સૈનીને કંપનીના 3 કર્મચારી લોકેન્દ્રસિંહ અલસીસર, ગણેશ કુમાર સીકર અને દયાશંકર
સૂરજગઢને બસમાં બેસાડ્યા હતા.
રાત્રે 2.18 વાગ્યે દિલ્હી તરફ કાર પરત ફરી
અપરાધીઓની
કાર રાતના 12.45 વાગ્યે
શાહજહાંપુર ટોપ પ્લાઝા પરથી પસાર થઈ હતી. ત્યાર પછી રાત્રે 2.18 વાગ્યે દિલ્હી તરફ ગઈ હતી. પોલીસે
ટોલ પ્લાઝા સહિત તમામ રૂટના CCTV ફૂટેજ મેળવ્યા છે. જોકે વધારે કોઈ પુરાવા મળ્યા નથી.
લૂંટમાં વપરાયેલી કાર કોઈ પવન કુમારના નામે છે. કાર માલિકનો મોબાઈલ સવારના 4 વાગ્યા સુધી ચાલુ હતો. પરંતુ પછી
બંધ થઈ ગયો છે. તેનું લોકેશન મહેન્દ્રગઢના ઉચાટ વિસ્તારમાં બતાવે છે.
અપરાધીઓએ 40 સેકન્ડનો વીડિયો બનાવ્યો
ઘટનાને
અંજામ આપ્યા પછી અપરાધીઓએ કારમાં પ્રમોદ સૈનીના મોબાઈલથી 40 સેકન્ડનો વીડિયો બનાવ્યો અને
કહેવડાવ્યું કે તે સોના અને ગાંજાની તસ્કરી કરે છે. ત્યાર પછી મોબાઈલે ફેંકી દીધો
હતો. પ્રમોદને પણ આગળ ખેતરમાં ઉતારી દીધો હતો. પોલીસે પ્રમાદનું મેડિકલ એકઅપ
કરાવ્યું છે.
SPએ ટીમ બનાવી, કોઈ પુરાવા ન મળ્યા
ભિવાડી
SP રામમૂર્તી
જોશીએ બહરોડના મહાવીરસિંહ શેખાવતના નેતૃત્વમાં ટીમ બનાવી છે. પોલીસ ટીમોને હરિયાણા
અને દિલ્હી સહિત ઘણા વિસ્તારોમાં મોકલાઈ છે. હજુ કોઈ પુરાવા મળ્યા નથી.