ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ પ્રતીક જાલાનની બેન્ચે કહ્યું કે તમે વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટના દરવાજા સુધી ખેંચી રહ્યા છો
દિલ્હી હાઈકોર્ટે સોમવારે CBSEની વિદ્યાર્થી વિરોધી વલણ ધરાવતા
હોવાનું કહી ઝાટકણી કાઢી હતી. કોર્ટે કહ્યું કે અનેક કિસ્સામાં વિદ્યાર્થીઓને
સુપ્રીમકોર્ટ સુધી જવું પડે છે. તેમની સાથે દુશ્મન જેવો વ્યવહાર કેમ રાખવામાં આવે
છે. પુનઃ મૂલ્યાંકનની યોજનામાં માર્ક સુધરેલાની અરજી સામેલ કરવાના મુદ્દે ચાલી
રહેલી સુનાવણી દરમિયાન કોર્ટે આ ટીપ્પણી કરી હતી.
ચીફ જસ્ટિસ ડી.એન.પટેલ અને જસ્ટિસ પ્રતીક જાલાનની બેન્ચે
કહ્યું કે તમે વિદ્યાર્થીઓને સુપ્રીમકોર્ટના દરવાજા સુધી ખેંચી રહ્યા છો. તેઓ
અભ્યાસ કરે કે કોર્ટમાં જાય? હવે સીબીએસઈના કેસના ખર્ચની ચૂકવણી કરવાનું પણ શરૂ કરાવવું
પડશે. બેન્ચે કહ્યું કે તેમને સીબીએસઈનું વિદ્યાર્થી વિરોધી વલણ પસંદ નથી. તેઓ
વિદ્યાર્થી સાથે દુશ્મન જેવો વ્યવહાર કરી રહ્યા છે. કોર્ટે કહ્યું કે જો આ યોજના
તમામ માર્ક સુધારવા ઈચ્છતા વિદ્યાર્થીઓ સુધી લાગુ કરવામાં આવે તો તેમાં નુકસાન શું
છે. તેનાથી કોઈ ધરતીકંપ નથી આવવાનો કે તમે કોર્ટમાં આવી ગયા છો.
ઊલ્લેખનીય છે કે 14 ઓગસ્ટે 1 જજની બેન્ચે કહ્યું હતું કે કોવિડ-19ને કારણે રદ થયેલી સીબીએસઈની
પરીક્ષાથી અસર પામેલા વિદ્યાર્થીઓ માટે મૂલ્યાંકનની જે યોજનાને સુપ્રીમકોર્ટે
મંજૂરી આપી હતી. તે માર્કસુધાર પરીક્ષામાં-બેઠેલા વિદ્યાર્થીઓ પર પણ લાગુ થશે.
કારણકે તેઓ પણ રોગચાળાથી પીડિત હતા.