જૂનાગઢ વિશે પૂર્વ નવાબના વંશજોએ પાક. તરફી સુર છેડ્યો
પાકિસ્તાને ફરી જૂનાગઢને લઇને ઉંબાડિયું કર્યું છે.
કરાંચીમાં રહેતા જૂનાગઢના પૂર્વ નવાબ મહોબતખાન ત્રીજાના વંશજ મોહંમદ જહાંગિરખાને
પોતાના પુત્ર સાહબજાદા સુલતાન અહેમદને જાતેજ વઝીરે આઝમ બનાવ્યા છે. આ માટે તેમણે
ઓફીશિયલ રેકગ્નિશન સેરીમની ઓફ દિવાન ઓફ જૂનાગઢ સ્ટેટ બેનર હેઠળ એક કાર્યક્રમનું
આયોજન કર્યું હતું. જેમાં તેમણે પોતાના પુત્રને આ પદવી આપતો વીડિયો જારી થયો હતો.
બાદમાં સાહબજાદા સુલતાન અહેમદે પોતાના ભાષણમાં જૂનાગઢ પાકિસ્તાનનું હોવાનું
જણાવ્યું હતું. સાહબજાદા સુલતાન અહેમદે બાદમાં એક ઇન્ટર્વ્યુ આપ્યો હતો.
જેમાં તેમણે જૂનાગઢનો કેસ કાનુની અને રાજકિય હોવાનું અને
જૂનાગઢ પાકિસ્તાનનો હિસ્સો હોવા અંગે દુનિયાનું ધ્યાન ખેંચવા માંગતા હોવાનું પણ
જણાવ્યું હતું. વીડિયોમાં હાલ પાકિસ્તાનમાં જૂનાગઢના મૂળ વતની હોય એવા 25 લાખ લોકો રહેતા હોવાનો દાવો પણ
તેમણે કર્યો છે. સાથે એમ પણ જણાવ્યું છેકે, ઝૂલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા સર
શાહનવાઝખાન ભુટ્ટો બાદ હવે પોતે જૂનાગઢના દિવાન તરીકેની બાગડોર સંભાળી છે. અને હવે
પોતે જૂનાગઢના પ્રશ્ન તરફ દુનિયાનું ધ્યાન ખેંચશે. જૂનાગઢ એ કોઇ અલગાવવાદી ચળવળ
નથી. પણ તેના પર લશ્કરી બળથી કબ્જો મેળવી લેવાયો છે એવું નિવેદન પણ તેમણે આપ્યું
હતું.