વણકરોએ તૈયાર કરેલા વસ્ત્રો રામલલાને પહેરાવાશે, યોગી આદિત્યનાથે વણકરોનો આભાર માન્યો
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણપ્રતિષ્ઠાનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન રામલલાના વસ્ત્ર બનાવવા 10થી 15 લાખ વણકરોએ મહત્વનું યોગદાન આપ્યું છે. વણકરોએ ભગવાન રામલલા માટે હાથ વણાટથી વસ્ત્રો તૈયાર કર્યા છે. આ વસ્ત્રો ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi Adityanath) દ્વારા રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને સોંપ્યા છે, જેને રામલલાને પહેરાવવામાં આવશે.
15 લાખ વણકરોએ રામલલાના વસ્ત્રો તૈયાર કર્યા
‘દો ધાગે શ્રી રામ કે લીયે’ અભિયાનના આયોજક પૂણેના હેરિટેજ હૈંડવીવિંગ રિવાઈવલ ચેરિટેબલ ટ્રસ્ટે કહ્યું કે, લગબગ 10થી 15 લાખ વણકરોએ હાથશાળથી ભગવાન રામલલા માટે વસ્ત્રો તૈયાર કર્યા છે. આ અંગે મુખ્યમંત્રી યોગીએ કહ્યું કે, 12 લાખથી વધુ વણકરો દ્વારા વસ્ત્ર તૈયાર કરાયા છે. તેમણે કારીગરોના પ્રયાસ બદલ આભાર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ વસ્ત્રો શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ખજાનચી સ્વામી ગોવિંદ દેવ ગિરિને સોંપ્યા છે.
‘હવે કર્ફ્યૂ નહીં, રામના ગુણગાન’
મુખ્યમંત્રીએ કહ્યું કે, નવા અયોધ્યામાં હવે ક્યારે કર્ફ્યૂ લદાશે નહીં, પરંતુ શ્રી રામના નામના ગુણગાન ગવાશે. તેમણે 1990માં અયોધ્યા તરફ માર્ચ કરી રહેલા કાર સેવકો પર ગોળીઓ વરસાવવાના તે સમયના મુખ્યમંત્રીના આદેશનો ઉલ્લેખ કરી કહ્યું કે, અહીં હવે ક્યારે ગોળીઓ નહીં વરસે, પરંતુ માત્ર ભક્તોને લાડવા મળશે.
રામલલાના વસ્ત્રોની વિશેષતા
રામલલાની મૂર્તિ માટે વસ્ત્ર બનાવવા લગભગ 15 લાખ લોકો પૂણે આવ્યા હતા. આ પહેલને ‘દો ધાગે શ્રી રામ’ નામ અપાયું હતું, જે 10 ડિસેમ્બરે શરૂ કરવામાં આવી હતી અને 13 દિવસ સુધી યોજાઈ. આ દરમિયાન વસ્ત્રો જાંબલી, લીલો અને પીળો સહિત 8 રંગોથી તૈયાર કરાયા છે.