માત્ર વિદેશી વ્યવસાયી, આરોગ્ય કર્મી અને એન્જિનિયર જ ભારત આવી શકશે
નવી
દિલ્હી: કોરોના સંકટના કારણે
73 દિવસથી બંધ આંતરરાષ્ટ્રીય આવન-જાવન માટે
કેન્દ્ર સરકારે બુધવારે આંશિક છૂટ આપી છે. હવે કેટલીક શરતો સાથે વિદેશી વ્યવસાયી, આરોગ્ય
કર્મી અને એન્જિનિયર ભારત આવી શકશે. તેના માટે તેમણે નવેસરથી વિઝા લેવાનો રહેશે.
ગૃહમંત્રાલયના
નિર્ણય અનુસાર બિનવ્યવસાયિક કે ચાર્ટર્ડ વિમાનોમાં બિઝનેસ વિઝા પર આવવા માગતા
વિદેશી વ્યવસાયીઓને ભારત આવવાની છૂટ રહેશે. જેના અનુસાર, લેબોરેટરી
અને ફેક્ટરીઓ સહિત આરોગ્ય ક્ષેત્રની સુવિધાઓમાં ટેક્નિકલ કામ માટે ઈચ્છુક વિદેશી
આરોગ્ય વ્યવસાયી, આરોગ્ય સંશોધન કર્તા, એન્જિનિયર
અને ટેક્નિશિયન આવી શકશે. માન્યતાપ્રાપ્ત અને નોંધાયેલા આરોગ્ય સુવિધા કેન્દ્ર, દવા
કંપની કે યુનિવર્સિટીના નિમંત્રણપત્ર પર જ તેમને ભારત આવવા દેવાશે.
ભારતમાં રહેલી
વિદેશી વેપાર સંસ્થા તરફથી મુસાફરી કરનારા વિદેશી એન્જિનિયરિંગ, મેનેજરો, ડિઝાઈન
કે અન્ય વિશેષજ્ઞોને પણ છૂટ મળશે. જેમાં બાંધકામ એકમ, ડિઝાઈન
એકમો, સોફ્ટવેર અને આઈટી ક્ષેત્રના એકમોની
સાથે-સાથે નાણાક્ષેત્રની કંપનીઓનો પણ સમાવેશ થાય છે. નોંધાયેલી ભારતીય વ્યવસાય
કંપનીના નિમંત્રણ પર ભારતમાં વિદેશી મૂળની મશીનરી અને ઉપકરણ સુવિધાની સ્થાપના, રિપેરિંગ
અને જાળવણી માટે મુસાફરી કરનારા વિદેશી ટેક્નિકલ નિષ્ણાતો અને એન્જિનિયર પણ ભારત
આવી શકશે.