છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની મજબૂત આદિવાસી વોટબેંક છે. આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે.
છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે. હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવાએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાયા છે.
10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા
ભાજપના ભવ્ય ભરતી મેળામાં આજે ગાંધીનગર કમલમ ખાતે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. દેશભરમાં આ પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પાર્ટી છોડી એકસાથે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે. મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી, મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર.
આજદિન સુધી કોઈપણ સરકારે ખેડૂતો માટે કામગીરી કરી ન હતી. મોદી સરકારે ખેડૂતો માટે યોજના બનાવીને ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા પહોંચે તે પ્રકારનું આયોજન કર્યું. આજે ખેડૂતોને તેમના ખાતામાં સીધા રૂપિયા મળી રહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું કે 'ગરીબી હટાવો', પરંતુ મોદી સાહેબે કોઈ સૂત્ર ના આપ્યું, કોઈ ઢોલ-નગારા વગાડ્યા વિના દેશના 25 કરોડ લોકોને ગરીબીરેખામાંથી બહાર લઈ આવ્યા છે. એ મોદી સાહેબે કરેલું કામ છે.
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.
છોટા ઉદેપુરમાં કોંગ્રેસ નામશેષ થવાના આરે
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની દિશા અને દશા બદલાઈ રહી છે અને કોંગ્રેસ સાફ થઈ રહી છે. ત્યારે છોટા ઉદેપુર ખાતે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસ નામશેષ થવાના આરે આવી ગઈ છે. હાલ તો છોટા ઉદેપુર જિલ્લામાં સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા જ કોંગ્રેસના નેતાઓ તરીકે રહ્યા છે.
3 વખત લોકસભા અને 1 વખત રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા
નારણ રાઠવા 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી અને વી.પી. સીંગ સરકારમાં પ્રથમ વખત કોંગ્રસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા. ત્યારબાદ ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1995માં ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસીંગ રાઠવા સામે તેઓની હાર થઈ હતી. 2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળવાની જવાબદારી મળી હતી. 2009 અને 2014માં તેઓની રામસીંગ રાઠવા સામે હાર થઈ હતી. નારણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેઓને વર્ષ 2018માં મળ્યો હતો અને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.