કૃષ્ણમૂર્તિના નજીકના હરીફ વિલિયમ ઓલ્સન 13 ટકા મત હાંસલ કરી શક્યા
વોશિંગ્ટનઃ ભારતીય મૂળના સાંસદ રાજા કૃષ્ણમૂર્તિ ઈલિનોય
પ્રાંતમાંથી ડેમોક્રેટીક પાર્ટીના પ્રાઈમરી ઈલેક્શન જીતી ગયા છે. તેમને 80 ટકા મત મળ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટીવ
માટે હવે તેમની ઉમેદવારી લગભગ નક્કી છે. કૃષ્ણમૂર્તિના નજીકના હરીફ વિલિયમ ઓલ્સનને
માંડ 13 ટકા મત મળ્યા હતા. જીત બાદ પોતાના સમર્થકોને
મોકલેલા ઈમેલમાં તેમણે કહ્યું છે કે ફરી વખત ચૂંટણી જીતવાના સંજોગોમાં હું તમારા
મુદ્દાઓ કોંગ્રેસ (સંસદ)માં ઉઠાવીશ. અત્યારે આપણે કોરોના વાઈરસ સામે લડી રહ્યા
છીએ. હું તમને અને સૌ અમેરિકી નાગરિકોને સુરક્ષિત રાખવા માટે કંઈ પણ કરીશ. આ
લક્ષ્ય એ મારી પ્રથમ પ્રાથમિકતા હશે. પ્રાઈમરીમાં જીત બાદ હવે કૃષ્ણમૂર્તિ સતત ત્રીજી વખત
સંસદીય ચૂંટણી લડશે. દરમિયાન 17 માર્ચના રોજ રિપબ્લિક પાર્ટીની ચૂંટણી કોરોના વાઈરસની સ્થિતિને લીધે રદ્દ
કરવામાં આવી છે.
કૃષ્ણમૂર્તિ ભારત-અમેરિકા સંબંધોના હિમાયતી
કૃષ્ણમૂર્તિ અમેરિકી
સંસદની ઈન્ટેલિજન્સ બાબત પરની કાયમી પસંદગી સમિતિના સભ્ય છે. ગયા વર્ષે રાષ્ટ્રપતિ
ડોનાલ્ડ ટ્રમ્પ સામે રજૂ કરવામાં આવેલા મહાભિયોગ સમયે તેમણે પાર્ટીનો પક્ષ મજબૂત
રીતે રજૂ કર્યો હતો. તેને લીધે અમેરિકી સંસદમાં તેમની એક અલગ ઓળખ બની ગઈ હતી. તેઓ
ઈકોનોમિક એન્ડ કન્ઝ્યુમર પોલિસી સબ-કમિટીના ચેરમેન પણ છે.કૃષ્ણમૂર્તિ ભારત અને
અમેરિકા સંબંધોના હિમાયતી છે. સામાન્ય રીતે વિદેશ નીતિ અને રાષ્ટ્રીય સુરક્ષાને
લગતી બાબતો પર ચર્ચામાં તેઓ ભાગ લે છે.
કૃષ્ણમૂર્તિ બરાક ઓબામાના સલાહકાર રહી ચુક્યા છે
રાજા કૃષ્ણમૂર્તિનો
જન્મ 19 જુલાઈ 1973માં નવી દિલ્હીમાં થયો હતો. તેઓ માંડ ત્રણ મહિનાના
હતા ત્યારે તેમના માતા-પિતા અમેરિકા જઈ વસવાટ કર્યો હતો. રાજા કૃષ્ણમૂર્તિ 2004 અને 2008ની ચૂંટણીમાં ભૂતપુર્વ રાષ્ટ્રપતિ બકાર ઓબામાના
સલાહકાર હતા. કૃષ્ણમૂર્તિ વ્યવસાયિક રીતે વકીલ અને એન્જીનિયર છે. ઈલિનોયમાં
ભારતવંશી-અમેરિકી નાગરિકોની વસ્તી મોટા પ્રમાણમાં છે. વર્ષ 2016માં યોજાયેલી કોંગ્રેસનલ ઈલેક્શનમાં
કૃષ્ણમૂર્તિને 57
ટકા મત મળ્યા હતા.
તેમના હરીફ સીનેટર નૂલેન્ડને 29 અને દેબ બુલવિંકેલને 13 ટકા મત મળ્યા હતા.