બિઝનેસ ક્ષેત્રના રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિતનાઓને આમંત્રણ પાઠવાયું છે. યોગ ગુરુ સ્વામી રામદેવને પણ આમંત્રિત કરાયા છે.
અયોધ્યામાં શ્રીરામ મંદિરના ઉદ્ધાટનની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. રામનગરીને સજાવી દેવાઈ છે. શ્રીરામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. આ ભવ્ય કાર્યક્રમના આયોજન સમયે ગર્ભગૃહમાં માત્ર 5 લોકો જ સામેલ થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રાણ પ્રતિષ્ઠાના સમયે ગર્ભગૃહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘ પ્રમુખ મોહન ભાગવત્ અને મંદિરના આચાર્ય (મુખ્ય પુજારી) હાજર રહેશે.
મળતી માહિતી અનુસાર, મૂર્તિની પસંદગીને લઈને આજે ટ્રસ્ટની બેઠકનું આયોજન કરાયું હતું. આ મહત્વની બેઠકમાં નૃપેન્દ્ર મિશ્રા, ચંપત રાય, વાસુદેવાનંદ સરસ્વતી, સ્વામી પરમાનંદ, રાજા અયોધ્યા વિમલેન્દ્ર મોહન મિશ્રા અને મહંત જિનેન્દ્ર દાસ હાજર રહ્યા છે.
ત્યારે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે અયોધ્યાના પ્રવાસે છે. મુખ્યમંત્રી યોગીની સાથે મુખ્ય સચિવ ગૃહ સંજય પ્રસાદ પણ હતા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો કાફલો હનુમાનગઢી રામ જન્મભૂમિ માટે રવાના થઈ ગયા છે. મુખ્યમંત્રી યોગી રામ મંદિર નિર્માણનું પણ નિરીક્ષણ કરશે. સાથે જ રામ જન્મભૂમિ પર ભક્તિ પથનું પણ નિરીક્ષણ કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી યોગી અયોધ્યા એરપોર્ટ અને રેલવે સ્ટેશન જનસભા સ્થળનું પણ નિરીક્ષણ કરશે.
84 સેકન્ડનું શુભ મૂહુર્ત
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા માટે 84 સેકન્ડનું શુભ મુહૂર્ત નિર્ધારીત કરાયું છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ નવનિર્મિત રામ મંદિરમાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે 84 સેકન્ડનું નાનુ મુહૂર્ત કઢાયું છે, જેમાં મંદિરના ગર્ભગૃહમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરાશે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ્વર શાસ્ત્રી દ્રવિડે આ મુહૂર્ત કઢાયું છે. પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત બપોરે 12 કલાક 29 મિનિટ 8 સેકન્ડે શરૂ થઈ 12 લાક 30 મિનિટ 32 સેકન્ડ સુધી રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન પૂજા-અર્ચના પૂરી કરાશે. રામલલાની પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન ગર્ભગૃહમાં 5 લોકો ઉપસ્થિત રહેશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, આરએસએસ પ્રમુખ મોહન ભાગત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રામ મંદિરની મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસ ઉપસ્થિત રહેશે.
15મીથી શરૂ થશે કાર્યક્રમ
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનો સમારોહ યોજાશે. જોકે મકર સંક્રાંતિ બાદ 15 જાન્યુઆરીથી ધાર્મિક વિધિઓ શરૂ થઈ જશે. ખરમાસ પૂર્ણ થયા બાદ મંદિરમાં પૂજા-અર્ચના અને ધાર્મિક વિધિઓની શરૂઆત થશે. 15 જાન્યુઆરીએ રામલલાની બાળ સ્વરૂપની મૂર્તિને ગર્ભગૃહમાં સ્થાપીત કરાશે. અયોધ્યામાં 3 સ્થળો પર આવી મૂર્તિઓઓ સ્થાપીત કરાશે. આ 3 મૂર્તિઓમાંથી એક મૂર્તિની પસંદ પણ કરાઈ છે. 16 જાન્યુઆરીએ મૂર્તિઓની ધાર્મિક-વિધિઓ શરૂ થશે. આ કાર્યક્રમને પ્રાણ પ્રતિષ્ઠા પહેલા યોજાનાર પ્રથમ કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે.
નગરચર્યાએ નિકળશે રામલલા
17 જાન્યુઆરીએ રામલલા નગરચર્યાએ નિકળશે, ત્યારબાદ પ્રાણપ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 18 જાન્યુઆરીથી પ્રાણપ્રતિષ્ઠાની વિધિ શરૂ થશે. 19 જાન્યુઆરીએ રામ મંદિરમાં યજ્ઞ અગ્નિ કુંડની સ્થાપના કરાશે. 20 જાન્યુઆરીએ ગર્ભગૃહના 18 કળશો સરયૂના પવિત્ર જળથી સ્વચ્છ કર્યા બાદ વાસ્તુ પૂજા થશે. 21 જાન્યુઆરીએ તીર્થસ્થાનોના 125 કળશોના પવિત્ર જળથી રામલલાની સ્નાન વિધિ યોજાશે. છેલ્લે 22 જાન્યુઆરીએ મધ્યાહન મૃગશિરા નક્ષત્રમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમના મુખ્ય યજમાન રહેશે.
પ્રાણપ્રતિષ્ઠામાં 7000 મહેમાનોને આમંત્રણ
રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામલલાની પ્રાણપ્રતિષ્ઠા સમારોહ માટે 7000 અતિથિઓને આમંત્રણ પાઠવ્યું છે. તેમાંથી 3000 VVIP અને 4000 સંતોનો સમાવેશ થાય છે. સમારોહમાં વિવિધ પક્ષોના નેતાઓ, તમામ ચાર શંકરાચાર્ય, પ્રખ્યાત હસ્તીઓ, ક્રિકેટરો, પુજારી અને અન્ય ધાર્મિક નેતાઓ સહિત વિવિધ ક્ષેત્રોની હસ્તિઓને આમંત્રણ પાઠવાયું છે. આમંત્રિત મહેમાનોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, આરએસએસના પ્રમુખ મોહન ભાગવત, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપરાંત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી સહિત ઘણા રાજકીય નેતાઓને આમંત્રણ પાઠવાયું છે.
મહેમાનોની યાદીમાં સચિન તેંડુલકર, વિરાટ કોહલી, રોહિત શર્મા, અમિતાભ બચ્ચન, કંગના રનૌત, અરૂણ ગોવિલ, દીપિકા ચિખલિયા પણ સામેલ છે. બિઝનેસ ક્ષેત્રના રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી સહિતનાઓને આમંત્રણ પાઠવાયું છે. યોગ ગુરુ સ્વામી રામદેવને પણ આમંત્રિત કરાયા છે.
રામલલાની પ્રાણપ્રતિષ્ઠાનો સંપૂર્ણ કાર્યક્રમ
- 15 જાન્યુઆરી - રામલલાના મૂર્તિનું મંદિરમાં સ્થાપન
- 16 જાન્યુઆરી - રામલલાની મૂર્તિના અધિવાસની ધાર્મિક વિધિ
- 17 જાન્યુઆરી - રામલલાની મૂર્તિની નગરચર્યા
- 18 જાન્યુઆરી - પ્રાણપ્રતિષ્ઠાની ધાર્મિક વિધિનો શુભારંભ
- 19 જાન્યુઆરી - યજ્ઞ અગ્નિકુંડની સ્થાપના
- 20 જાન્યુઆરી - સરયૂના પવિત્ર જળ ભરેલા 81 કળશોથી ગર્ભગૃહ સ્વચ્છ કરાશે, વાસ્તુ પૂજા
- 21 જાન્યુઆરી - તીર્થસ્થાનોના 125 કળશોના પવિત્ર જળથી રામલલાની સ્નાન વિધિ
- 22 જાન્યુઆરી - પ્રભુ રામલલાના નવા મંદિરના ગર્ભગૃહમાં પ્રાણપ્રતિષ્ઠા