પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બીજી અનૌપચારિક બેઠક માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ શુક્રવારે ભારત આવશે
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બીજી અનૌપચારિક બેઠક માટે
ચીનના રાષ્ટ્રપતિ શી જિંગપિંગ શુક્રવારે ભારત આવશે. ન્યુઝ એજન્સીના જણાવ્યા મુજબ
તમિલનાડુના મહાબલીપુરમમાં 11 અને 12 ઓક્ટોબર દરમિયાન બન્ને નેતાની મુલાકાત
થશે. જિંગપિંગ અને મોદી મમલાપુરમમાં ત્રણ પ્રસિદ્ધ સ્મારકની મુલાકાત લેશે. લગભગ એક
કલાક સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેશે. પુરાતત્વવિદ એસ રાજાવેલુ મુજબ મહાબલીપુરમ
અને ચીન વચ્ચે 2000 વર્ષ જૂનો સંબંધ
છે. આ કારણે બેઠકને ઐતિહાસિક બળ મળવાની આશા છે.
ચીનના રાષ્ટ્રપતિ શી
જિનપિંગની ભારતની પ્રસ્તાવિત મુલાકાત પહેલા ચીને કાશ્મીર પર પોતાનું વલણ બદલ્યું
છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યુ કે આ મુદ્દે દ્વિપક્ષીય રીતે ઉકેલ લાવવો જોઇએ. આ
પહેલા ચીને કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર અને તેની સુરક્ષા પરિષદના પ્રસ્તાવ
મુજબ ઉકેલ લાવવાની વાત કરી હતી. જિનપિંગની ભારત યાત્રા વિશે બુધવારે સત્તાવાર
જાહેરાત થઇ શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ગેંગ શુઆંગએ મંગળવારે
પત્રકારે પરિષદમાં જિનપિંગના પ્રવાસ વિશે કોઇ સત્તાવાર જાહેરાત કરી ન હતી. જો કે
ચીનના અધિકારીઓનું કહેવું છે કે જિનપિંગની ભારત યાત્રા વિશે બુધવારે દિલ્હી અને
બીજિંગમાં એક સાથે જાહેરાત કરવામાં આવશે.
ગેંગ શુઆંગે કહ્યું કે ભારત
અને ચીન વચ્ચે ઉચ્ચસ્તરીય આદાન-પ્રદાનની પ્રથા રહી છે. ઉચ્ચસ્તરીય યાત્રાઓ દરમિયાન
બંને દેશોમાં સંવાદોનું આદાન-પ્રદાન થાય છે. આ સંબંધમાં નવી માહિતી ટૂંક સમયમાં
આપવામાં આવશે. ચીન અને ભારત વિકાસશીલ દેશ છે. ગત વર્ષે વુહાનમાં યોજાયેલ અનૌપચારિક
સંમેલન બાદ બંને દેશો વચ્ચેના સંબંધને ગતિ પ્રાપ્ત થઇ છે. મતભેદોનો ઉકેલ લાવવા
સહયોગ વધાર્યો છે.
ચીનના પ્રમુખ શી જિનપિંગની
ભારત યાત્રાના ત્રણ દિવસ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન મંગળવારે ચીન
પહોંચ્યા હતા. ખાનના એક દિવસ પહેલા સોમવારે પાકિસ્તાન સેનાના વડા કમર જાવેદ બાજવા
પણ ચીન પહોંચી ગયા હતા. બેજિંગમાં એરપોર્ટ પર ઈમરાનનું સ્વાગત ચીનના સંસ્કૃતિ અને
પ્રવાસ મંત્રી લુઓ શુંગાંગે કર્યું. ઈમરાન અહીં પ્રમુખ જિનપિંગ સાથે બેઠક કરશે અને
વડાપ્રધાન લી કેકિયાંગને પણ મળશે.
નિષ્ણાતોના જણાવ્યાનુસાર, આતંકના મુદ્દે એફએટીએફની
કાર્યવાહીથી બચવા માટે પાકિસ્તાન પોતાના મિત્ર ચીન પાસે મદદ માંગશે. આ ઉફરાંત બંને
દેશ વચ્ચે અનેક કરાર થવાની પણ શક્યતા છે. ઈમરાન ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર
પ્રોજેક્ટના વિસ્તરણ અને કૃષિ, ઉદ્યોગ અને સામાજિક-આર્થિક ક્ષેત્રમાં સહયોગ મુદ્દે પણ
ચર્ચા કરશે. ઓગસ્ટ 2018માં વડાપ્રધાન
બન્યા પછી ઈમરાનનો આ ત્રીજો ચીન પ્રવાસ છે.