રાજ્યના મહાનગરોમાં 50 માળ ઉંચી બિલ્ડીંગોને મંજૂરી આપવા વિચારણા, CM વિજય રૂપાણીએ આપી માહિતી
અમદાવાદ: હાઉસિંગ સેક્ટરમાં ગુજરાતમાં એક નવી શરૂઆત થતી દેખાઇ રહી છે, લોકોને ઘરનું ઘર મળી રહે અને મકાનોના ભાવ સ્થિર રહે તે માટે વિજય રૂપાણી સરકાર રાજ્યના મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં 50 માળની બિલ્ડીંગોને મંજૂરી આપી શકે છે, અમદાવાદમાં ક્રેડાઇના કાર્યક્રમમાં આજે સીએમ વિજય રૂપાણીએ આ વાતની જાણ કરી છે, તેમને કહ્યું કે રાજ્યના ચાર મહાનગરોમાં દુબઈ, હોંગકોંગ અને સિંગાપોર જેવી સ્કાયલાઇન ઇમારતો બને તેના માટે મંજૂરી આપવા રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે, અત્યાર સુધી રાજ્યમાં ઉંચી બિલ્ડીંગોને મંજૂરી આપવામાં આવતી નથી, પરંતુ જો રાજ્ય સરકાર આ જાહેરાત કરે તો લોકો માટે ઘરનું ઘર મેળવવું સરળ બની રહે તેમ છે.
સીએમ રૂપાણીએ જણાવ્યું છે કે રાજયના સમગ્ર વિસ્તારમાં કોમન GDCRને અમલી બનાવાયો છે. અને કોમ્પ્રિહેન્સિવ જનરલ ડેવલપમેન્ટ કંટ્રોલ રેગ્યુલેશન (CGDCR)ને એક કરાયો છે, FSI અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, 36થી 44 મીટર સુધી 3.6 FSI અપાશે, 45 મીટરના રસ્તા પર 4 FSI આપવામાં આવશે, સોસાયટીના કોમન પ્લોટને FSIમાંથી મુક્તિ અપાઈ છે સાથે જ નવી જાહેરાતથી બિલ્ડર સોસાયટીનો કોમન પ્લોટ લઇ શકશે નહીં, સીએમની જાહેરાત બાદ કેટલાક મુદ્દાઓને લઇને બિલ્ડરોને પણ મોટી રાહત થઇ છે.