• Home
  • News
  • શ્રીલંકામાં ઇમર્જન્સી લગાવાઈ:કોલંબોમાં સેના તહેનાત, કડક સુરક્ષા વચ્ચે દુકાનો ખૂલી, ઇંધણની અછત દૂર કરવા ભારતે મોકલ્યું 40,000 ટન ડીઝલ
post

શ્રીલંકામાં આર્થિક મંદીની અસર હવે ભારતમાં પણ દેખાઈ રહી છે. એક્સપર્ટનું માનવું છે કે આર્થિક સંકટથી બચવા માટે હવે મોટી સંખ્યામાં શ્રીલંકન લોકો ગેરકાયદે રીતે ભારત આવી રહ્યા છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-04-02 16:06:30

શ્રીલંકામાં વધતી જતી આર્થિક સમસ્યાને કારણે લોકો હવે રસ્તા પર આવીને વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. આ દરમિયાન રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ શુક્રવારે ઈમર્જન્સી જાહેર કરી દીધી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દેશની સુરક્ષા અને જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે એ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિના આ નિર્ણય પછી સેના શંકાસ્પદ લોકોની કોઈપણ ફરિયાદ વગર ધરપકડ કરી રહી છે અને લાંબા સમય સુધી જેલમાં રાખી શકે છે. રાજપક્ષેની સરકારને સમર્થન આપતી 11 પાર્ટીએ કેબિનેટનો ભંગ કરીને વચગાળાની સરકાર બનાવવાની માગણી કરી છે. તેમનું કહેવું છે કે હાલની કેબિનેટ વધતી જતી મોંઘવારી પર નિયંત્રણ મેળવવામાં નિષ્ફળ રહી છે.

હિંસાના આરોપમાં 45 લોકોની ધરપકડ
આ પહેલાં ગુરુવારે મોડી રાતે હજારો લોકોએ રાષ્ટ્રપતિ રાજપક્ષેના ઘરની બહાર વિરોધપ્રદર્શન અને પથ્થરમારો કર્યો હતો. જવાબી કાર્યવાહી કરતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ હિંસક મારામારીમાં 5 પોલીસકર્મી સહિત 10 લોકો ઘાયલ થયા હતા. હિંસાના આરોપમાં 45 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

આર્થિક તંગીથી સળગી રહ્યું છે શ્રીલંકા
દેશમાં ફ્યુઅલ અને ગેસની અછત છે અને પેટ્રોલ-ડીઝલ માટે લોકોને ઘણા કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવું પડે છે. એજ્યુકેશનલ બોર્ડ પાસે કાગળ-શાહી સમાપ્ત થઈ ગયાં છે, એને કારણે પરીક્ષાઓ અનિશ્ચિત મુદત સુધી ટાળી દેવામાં આવી છે. શ્રીલંકામાં ગુરુવારની સાંજથી ડીઝલ નથી. એને કારણે પરિવહન ઠપ થઈ ગયું છે.

એ ઉપરાંત દેશના 2.2 કરોડ લોકોને ઘણા સમય સુધી વીજકાપનો સામનો કરવો પડ્યો હતો. સ્થિતિ એવી છે કે અહીં લોકો માટે દૂધની કિંમત સોના કરતાં પણ વધારે થઈ ગઈ છે. લોકોને બે ટાઈમ ભોજન મેળવવા માટે પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

ટૂરિઝમને કારણે દેવું વધ્યું
શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ટૂરિઝમ સેક્ટરનો ખૂબ મોટો રોલ છે, પરંતુ કોરોનાને કારણે અહીં ટૂરિઝમ ઠપ થઈ ગયું છે. ટૂરિઝમ દેશ માટે ફોરેન કરન્સીનો ત્રીજો મોટો સોર્સ છે. ટૂરિઝમ નબળું પડ્યું હોવાના કારણે ફોરેન કરન્સી સમાપ્ત થઈ ગઈ છે. અંદાજે 5 લાખ શ્રીલંકન લોકો ટૂરિઝમ પર નિર્ભર છે, જ્યારે 20 લાખ અપ્રત્યક્ષ રીતે ટૂરિઝમ સાથે સંકળાયેલા છે. શ્રીલંકાની જીડીપીમાં ટૂરિઝમનો 10 ટકા હિસ્સો છે. ટૂરિઝમથી વાર્ષિક અંદાજે 5 અબજ ડોલર, એટલે કે 37 હજાર કરોડની ફોરેન કરન્સી શ્રીલંકાને મળે છે.

ચીનના દેવાંમાં ડૂબ્યું શ્રીલંકા
શ્રીલંકાને આગામી 12 મહિનામાં 7.3 અબજ ડોલર એટલે કે રૂ. 54 હજાર કરોડનું સ્થાનિક અને વિદેશનું દેવું ચૂકવવાનું છે. કુલ દેવાંમાંથી 68% માત્ર ચીનનો હિસ્સો છે. શ્રીલંકાએ ચીનને 37 હજાર કરોડ ચૂકવવાના છે. ગયા વર્ષે તેમણે નાણાકીય સંકટનો ઉકેલ લાવવા માટે ચીન પાસેથી 7 હજાર કરોડની લોન લીધી હતી, જેની ચુકવણી હપતામાં કરવાની હતી.

ભારત પર શ્રીલંકા સંકટની શી અસર થશે?
શ્રીલંકામાં આર્થિક મંદીની અસર હવે ભારતમાં પણ દેખાઈ રહી છે. એક્સપર્ટનું માનવું છે કે આર્થિક સંકટથી બચવા માટે હવે મોટી સંખ્યામાં શ્રીલંકન લોકો ગેરકાયદે રીતે ભારત આવી રહ્યા છે. આગામી સમયમાં નોર્થ શ્રીલંકામાં વધુ રેફ્યુજીઓ ભારત આવવાની શક્યતા છે. ઘણા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ સંખ્યા 2 હજાર સુધી થઈ શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post