• Home
  • News
  • આંખો પણ છીનવે છે કોરોના, કોરોનાથી શરીરમાં લોહીના ગઠ્ઠા બને છે જે હૃદય, કિડની, લિવર, આંખ અને હાથ-પગની આંગળીઓ પર એટેક કરે છે
post

ત્રણ મહિનામાં કોરોનાના દર્દીના 12 કેસ એવા હતા જેમની આંખોમાં બ્લડ ક્લોટ હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-29 09:20:10

રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાના જણાવ્યા અનુસાર અમારી પાસે એવા ઘણા કેસ આવ્યા છે જેમાં કોરોના વાઈરસના ચેપ પછી સ્વસ્થ થયેલા દર્દીઓને દેખાવાનું પૂરેપૂરું બંધ થઈ ગયું હોય અથવા તેમની આંખોની રોશની 50 ટકાથી વધુ જતી રહી હોય. કોરોના સાથે જોડાયેલું આ અત્યંત ચોંકાવનારું તથ્ય હતું. સૌથી પહેલાં જૂનમાં આવા કેસ અમારી પાસે આવ્યા હતા. જો કે, આ સમયે કોરોના સાથે તેનો કો-રિલેશન સ્પષ્ટ થઈ શક્યો નહોતો. પરંતુ એ પછી એક જ મહિનામાં આવા કેસ ઉપરા છાપરી આવ્યા, ત્યારે સમજાયું કે, કોરોના વાઈરસ આંખોને પણ ગંભીર નુકસાન પહોંચાડી રહ્યો છે. એ પછી અમારી ટીમે તેના પર રિસર્ચ શરૂ કર્યું.

યુકેની મેડિકલ જરનલમાં પણ આવો એક કેસ પ્રસિદ્ધ થયો છે. અમારી પાસે એવા 5 કેસ આવ્યા હતા જેમાં બધા જ દર્દીની રેટિનાની લોહી લઈ જતી વાળ જેટલી પાતળી નળીમાં બ્લડ ક્લોટ ફસાયા હતા. આ બ્લડ ક્લોટ જ્યારે ધમનીઓમાં જાય છે ત્યારે દેખાવાનું બંધ થઈ જાય છે, એ જ રીતે ક્લોટ શીરામાં જાય તો આંખોની રોશની ઓછી થઈ જાય છે. આંખની એન્જિયોગ્રાફી, ઓટોફ્લોરોસન્સ અને રેટિનાના ફોટામાં લોહીના ગઠ્ઠા સ્પષ્ટ દેખાય છે. અમારી પાસે જે 5 કેસ આવ્યા હતા, તે દર્દીઓ 32થી 70 વર્ષની વય વચ્ચેના હતા. આ ઉપરાંત અન્ય 7 એવા પણ કેસ આવ્યા હતા જે કોરોનાગ્રસ્ત હોવાનું કહેતા નથી, પરંતુ તેમની આંખોમાં પણ આ જ સમસ્યા ઝડપથી વધતી નજરે ચડી.

આ દર્દીઓનું કહેવું છે કે, આ પહેલા તેઓને આંખ સંબંધિત કોઈ બીમારી ન હતી. અર્થાત કોરોનાના સંક્રમણ પછી જ તેમની આંખો પર અસર થઈ હતી. આ 7માંથી 5 દર્દીએ હોમ આઈસોલેશનમાં સારવાર લીધી હતી, જ્યારે 2 દર્દી હોસ્પિટલમાં દાખલ થયા હતા. હોમ આઈસોલેશનમાં દર્દી હોય ત્યારે કેટલાક સંજોગોમાં મોડી સારવાર પણ થતી હોય છે. આ ઉપરાંત દર્દીની સારવાર દરમિયાન કે પછી સાજા થઈ ગયા પછી કોઈ પ્રકારનો બ્લડ રિપોર્ટ કરવામાં આવતા નથી. માટે લોહી પાતળું કરવાની સારવાર પણ નથી થતી. મહારાષ્ટ્રના નાગપુર સહિત અન્ય રાજ્યોના 9 દર્દીમાં પણ આવાં લક્ષણ જોવા મળ્યાં છે. તેમની સારવાર ચાલી રહી છે. અમારો આ રિપોર્ટ ઈન્ડિયન મેડિકલ જરનલમાં પણ પ્રકાશિત થવાનો છે.

આ છે કોરોનાની બોડી સાઈકલ

·         કોરોના વાઈરસના ચેપ પછી દર્દીના શરીરમાં સાઈટોકાઈન સ્ટોર્મને કારણે જુદા જુદા ભાગમાં લોહીના ગઠ્ઠા બને છે.

·         જે દર્દી હોસ્પિટલમાં દાખલ થાય છે તેમનો ડી-ડાઈમર રિપોર્ટ થાય છે. આ રિપોર્ટ પછી તેમને શરીરમાં લોહીના ગઠ્ઠા બનતા રોકવાનું ઈન્જેકશન અપાય છે.

·         તકલીફ થયા પછી વિલંબ કરવાથી આ ગઠ્ઠા શરીરમાં હાર્ટ, કિડની, લિવર, હાથ-પગની આંગળી એમ 5 સહિતના ભાગોમાં હુમલો કરે છે.

·         ગઠ્ઠા હાર્ટમાં જાય તો હાર્ટ ફેલ થાય છે. એ જ રીતે કિડની-લિવર ફેલ થવાનું જોખમ અનેક ગણું વધે છે. આંખોમાં ક્લોટથી રેટિના ડેમેજ થાય છે. આંગળીઓમાં ક્લોટ જામવાથી મુવમેન્ટ નબળી પડી જાય છે.

દૃષ્ટિમાં ફેરફાર અશક્તિનું કારણ માનવું જોખમી
ડો.પાર્થ રાણાનું કહેવુ છે, કોરોના પછી અશક્તિ રહે છે પરંતુ દૃષ્ટિમાં ફેરફાર વીકનેસના કારણે થયાનું માનવું જોખમી છે. શરૂઆતમાં દેખાવાનું ઓછું થાય અને દર્દી 3 કલાકમાં જ નિદાન મેળવે તો રિકવરીના ચાન્સીસ 80થી 90 ટકા, 12 કલાકમાં આવે તો 5થી 10 ટકા, 5 દિવસ પછી આવે તો નહીંવત ચાન્સ છે.

કોરોના પછી જ મને દેખાવાનું ઓછું થયું હતું
રાણીપના દર્દીએ વાતચીતમાં કહ્યું કે, મને જૂનમાં કોરોના થયો હતો અને હોમ આઈસોલેશન પછી સ્વસ્થ થયો હતો. ત્યારબાદ અચાનક આંખે દેખાવાનું ઓછું થઈ ગયું. ડોક્ટરે મને નેત્રાલય હોસ્પિટલમાં રિફર કર્યો. આંખોની નસોમાં લોહીના ગઠ્ઠા મળ્યા હતા. હજુ મને ઓછું દેખાય છે.

ઈન્ફેકશન વધારે તો જોખમ વધુ

·         અત્યારસુધી કોરોના 15 ટકા દર્દી માટે ઘાતક રહ્યો છે. 85 ટકા દર્દી હોમ આઈસોલેશન, હોસ્પિટલમાંથી સાજા થયા.

·         જે દર્દીઓમાં કોરોના વાઈરસના ઈન્ફેકશનનું પ્રમાણ વધુ હોય છે તેવા કિસ્સામાં લોહીના ગઠ્ઠા બનવાની શક્યતા વધુ છે. તમામ દર્દીઓમાં આવું થાય તેવંુ પણ નથી. તેમજ માઈલ્ડ ઈન્ફેકશનવાળા દર્દીઓમાં ગઠ્ઠા ન પણ બને.

·         લોહીના ગઠ્ઠા કોઈ પણ નસમાં જાય છે ત્યારે ત્યાં લોહી ફરતું બંધ કરે છે. જેથી હાર્ટ એટેક, આંખોની દ્રષ્ટિ ગુમાવી શકે છે. જો કે, આવા દર્દીને ઈન્જેકશન આપી સારવાર કરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post