• Home
  • News
  • ખેડૂત નેતાઓએ કહ્યું-સુપ્રીમ કોર્ટની બનાવેલી કમિટીમાં સામેલ નહીં થઈએ; કાયદો રદ ન થાય ત્યાં સુધી ઘરવાપસી નહીં
post

આંદોલનના સ્વરૂપને લઈને પણ ખેડૂત નેતાઓ કોઈ સમજૂતી માટે તૈયાર નથી

Written By newsonline | Ahmedabad | Published: 2021-01-12 10:42:54

કૃષિ કાયદાઓ પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં ચર્ચા થઈ. સરકારની ઝાટકણી કાઢતા ચીફ જસ્ટિસ એસ એ બોબડેએ કહ્યું કે સરકાર આ મામલો હેન્ડલ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહી છે. તેમણે એવો પણ સવાલ કર્યો કે કૃષિ કાયદાઓ પર થોડા સમય માટે પ્રતિબંધ લગાવવામાં સરકાર શા માટે અચકાય છે. કોર્ટે એમ પણ કહ્યું કે હજુ પણ જો સરકાર કાયદાઓ પર પ્રતિબંધ ન મૂકે તો અમે એવું કરીશું.

કોર્ટે કમિટીની રચનાનું સૂચન આપ્યું
સુનાવણીમાં કોર્ટે એવું પણ સૂચન આપ્યું કે હાલમાં એક કમિટીની રચના કરી શકાય. જે આ કાયદાઓની સમીક્ષા કરે અને કમિટીનો રિપોર્ટ આવે ત્યાં સુધી કાયદાઓને લાગુ ન કરવામાં આવે. જો કે સરકારની પેરવી કરી રહેલા વકીલોએ આ કાયદાઓ પર કોઈપણ પ્રકારના પ્રતિબંધ લગાવવાનો વિરોધ કર્યો. તેમનો તર્ક હતો કે જુલાઈમાં લાગુ થયેલા આ કાયદાઓનાં કારણે અનેક ખેડૂતો અગાઉથી જ કોન્ટ્રાક્ટ પર ખેતી કરી રહ્યા છે. એવામાં કાયદાઓ પર પ્રતિબંધ લગાવવાનું નુકસાન એ ખેડૂતોએ ભોગવવું પડશે.

પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ કે અમે કાયદાઓ રદ કરવાની વાત કરી રહ્યા નથી પણ તેના અમલ પર થોડા સમય માટે પ્રતિબંધ મૂકવાની વાત કરી રહ્યા છીએ. આ મામલે કાલે નિર્ણય આવવાનો છે અને એવું મનાય છે કે કોર્ટ હાલમાં આ કાયદાઓને લાગુ કરવા સામે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપી શકે છે. એવામાં સવાલ થાય છે કે શું સુપ્રીમ કોર્ટના આ કદમથી દિલ્હીમાં ચાલી રહેલું ખેડૂત આંદોલન સમાપ્ત થઈ જશે?

કાયદો હોલ્ડ થાય તો પણ આંદોલન ખતમ નહીં કરીએ
પરંતુ, ખેડૂત નેતાઓ કહે છે કે સુપ્રીમ કોર્ટ જો આ નિર્ણય પર પ્રતિબંધ લગાવી પણ દે તો ય આંદોલન ખતમ થવાનું નથી. મોડી સાંજે એક પ્રેસનોટ જારી કરીને ખેડૂત નેતાઓએ એમ પણ કહ્યું કે કોર્ટ જો કાલે કોઈ કમિટીની રચના કરે છે તો અમે તેનો હિસ્સો નહીં બનીએ. ખેડૂત નેતાઓએ આ નિર્ણય પોતાના વકીલો સાથેની ચર્ચા પછી લીધો છે. ખેડૂત નેતા ડોક્ટર દર્શન પાલે આ મીટિંગ પછી કહ્યું, ‘અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને એ વાતનું સ્વાગત કરીએ છીએ કે સુપ્રીમ કોર્ટ કાયદાઓ લાગુ કરવા સામે પ્રતિબંધ મૂકવાની વાત કરી રહી છે પણ અમે કોર્ટ દ્વારા સૂચવાયેલી કમિટીનો હિસ્સો બનવા માગતા નથી.

અત્યાર સુધીની સમગ્ર વાતચીત દરમિયાન સરકારનું જે વલણ રહ્યું છે, તેને જોતા અમે આ નિર્ણય લીધો છે કે અમે હવે કોઈ કમિટીની કાર્યવાહીમાં સામેલ નહીં થઈએ.સુપ્રીમ કોર્ટમાં ખેડૂતોના વકીલો દુષ્યંત દવે, પ્રશાંત ભૂષણ, કોલિન ગોન્ઝાલ્વિસ અને એચ એસ ફુલકા સાથે મુલાકાત પછી ખેડૂત નેતાઓએ આ નિર્ણય લીધો છે.

આગળ હવે આંદોલનના સ્વરૂપ વિશે ખેડૂત નેતા ગુરનામસિંહ ચઢૂની કહે છે, ‘કાયદાઓ પર જો હંગામી પ્રતિબંધ મૂકાય છે તો પણ આંદોલન ચાલતું રહેશે. કાયદાઓ સંપૂર્ણપણે રદ થાય એ પહેલા અમે લોકો પરત જવા તૈયાર નથી. કમિટીના બહાને અમે આંદોલન બંધ કરવાના નથી. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ પણ કાયદાઓ રદ થયા પહેલા આંદોલનમાં કોઈ ફેરફાર થશે નહીં.

સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી પણ આંદોલન જારી રાખવાની આવી જ વાત ખેડૂત નેતા મેજરસિંહ પણ કહે છે. તેઓ કહે છે, ‘સુપ્રીમ કોર્ટ જવાનો નિર્ણય અમારો નહોતો. અમે લોકો ત્યાં પાર્ટી પણ નથી. આ અમારી સરકાર સાથે સીધી લડાઈ છે. અમે જે પણ માગ કરી રહ્યા છીએ તે સીધા એ સરકાર પાસે માગી રહ્યા છે કે જે આ કાયદો લઈને આવી છે. તેમાં સુપ્રીમ કોર્ટ કે અન્ય કોઈ સમિતિ વચ્ચે ન હોવી જોઈએ. આમ કહેવાનો મતલબ એવો બિલકુલ નથી કે અમે કોર્ટનું સન્માન કરતા નથી.

સરકાર સાથે થતી તમામ બેઠકોમાં સામેલ રહેલા ખેડૂત નેતા રુલદુસિંહ માનસા આ અંગે કહે છે, ‘સુપ્રીમ કોર્ટને જો ખેડૂતો માટે હમદર્દી છે તો તેમણે આ કાયદાઓ સંપૂર્ણપણે રદ કરવાનો આદેશ આપવો જોઈએ.

આંદોલનના સ્વરૂપને લઈને પણ ખેડૂત નેતાઓ કોઈ સમજૂતી માટે તૈયાર નથી. કોર્ટમાં સુનાવણી દરમિયાન એ પણ વાત થઈ હતી કે શું ખેડૂતો દિલ્હીની સરહદેથી ઊભા થઈને રામલીલા મેદાનમાં આવવા તૈયાર થઈ શકે છે? આ સવાલના જવાબમાં ગુરનામ ચઢૂની કહે છે, ‘અમે લોકો પોતાની મરજીથી બોર્ડર બેઠા નથી. અમે તો રામલીલા મેદાનમાં જ આવવા માગતા હતા પણ સરકારે અમને દિલ્હીમાં પ્રવેશવા ન દીધા. આથી અમે પણ અહીં જ બેઠા રહીશું. આંદોલન પોતાની રીતે ચાલતું રહેશે અને જ્યાં સુધી કાયદાઓ રદ ન થાય ત્યાં સુધી અમારી ઘરવાપસી પણ નહીં થાય.

 

adv

Related News

post
post
post
post
post
post
post