• Home
  • News
  • 'મફત અનાજ અને મફત સારવાર મળતા રહેશે', વડાપ્રધાને રજૂ કર્યો 5 વર્ષનો રોડમેપ
post

વડાપ્રધાને કહ્યું કે, 'આ પહેલા એમના જ પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, એક રૂપિયો મોકલીએ છીએ, 10 પૈસા પહોંચે છે.'

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-07 16:22:00

સંસદના બજેટ સત્રની શરૂઆતમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ અભિભાષણ આપ્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે બપોરે 2 વાગ્યે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ જવાબ આપ્યો. આ અગાઉ 5 ફેબ્રુઆરીએ તેમણે લોકસભામાં પોતાનું ભાષણ આપ્યું હતું.

વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં રાખ્યો આગામી 5 વર્ષનો રોડમેપ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આગામી 5 વર્ષમાં દેશને બુલેટ ટ્રેનની ભેટ મળશે. આગામી 5 વર્ષમાં તમામ ઘરને પાઈપલાઈનથી ગેસ મળશે. ગરીબો માટે ઘર બનાવતા રહીશું.

મળતી રહેશે મફત સારવાર અને મફત અનાજ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, લોકોનું જીવન સુધારવું અમારો પ્રયાસ છે. 5 લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે. અનાજ મફત મળતું રહેશે. વિકાસની ગતિ ધમી નહીં પડવા દઈએ.

રાજ્યના વિકાસથી જ દેશનો વિકાસ થશેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે પણ મારો મંત્ર છે કે દેશના વિકાસ માટે રાજ્યનો વિકાસ. આપણે રાજ્યોના વિકાસથી દેશનો વિકાસ કરી શકીશું. હું તમને વિશ્વાસ અપાવું છું કે રાજ્ય જો એક ડગલું ચાલે છે તો અમે બે ડગલા ચાલીશું. હું તો હંમેશા કહું છું કે, આપણા રાજ્યો વચ્ચે સકારાત્મક વિચાર સાથે ચાલવાની જરૂર છે.

કોરોનાથી લડવાનો શ્રેય રાજ્યોને પણ લેવાનો અધિકાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોનામાં દુનિયા પર આટલું મોટું સંકટ આવ્યું. તેવા સંકટ સમયમાં મેં રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે 20 બેઠક કરી. એક-એક વાત વિચાર કરીને સાથે લઈને તમામ રાજ્યોના સહયોગથી કેન્દ્ર અને રાજ્યએ કામ કર્યું. દુનિયા જે મુસીબત સહન નહોતી કરી શકતી, તેને આપણે મળીને દેશને બચાવવા માટે જે થઈ શકતું હતું તે કર્યું. રાજ્યોને પણ તેનો શ્રેય લેવાનો પૂર્ણ અધિકાર છે.

રાહુલ ગાંધી પર તાક્યું નિશાન

રાહુલ ગાંધી સામે નિશાન તાકતાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે તેમના યુવરાજને એક સ્ટાર્ટઅપ બનાવીને આપ્યું છે. હાલ તે નોન સ્ટાર્ટર છે. ન તો લિફ્ટ થઇ રહ્યાં છે, ન તો લોન્ચ થઇ રહ્યાં છે.

વડાપ્રધાનએ સંસદમાં સરકારી કંપનીઓની સ્થિતિ જણાવી

પીએમ મોદીએ કહ્યું કે સરકારી કંપનીઓ અંગે અમારા પર કેવા કેવા આક્ષેપો કરવામાં આવ્યા? કોઈપણ આધાર વગરના. માત્ર આક્ષેપો કર્યા. મારુતિના સ્ટોક સાથે શું થઈ રહ્યું હતું તે દેશને યાદ છે. મારો જન્મ આઝાદ ભારતમાં થયો છે, મારા વિચારો પણ આઝાદ છે અને મારા સપના પણ આઝાદ છે. જેઓ ગુલામીની માનસિકતાને જીવે છે તેમની પાસે બીજું કંઈ નથી. તે એ જ જૂના કાગળો લઈને ફરતા રહે છે. કોંગ્રેસે કહ્યું કે અમે પીએસયુને ડૂબાડી દીધા. યાદ રાખજો કે BSNL અને MTNL ને ડૂબાડનારા લોકો કોણ છે. એચએએલની દુર્દશાનું કારણ શું હતું? ચૂંટણી લડવાનો એજન્ડા નક્કી કરવામાં આવતો હતો. આ સ્થિતિ કોણે સર્જી? કોંગ્રેસ અને યુપીએ 10 વર્ષની બરબાદીથી આંખ આડા કાન ન કરી શકે.

કોંગ્રેસ પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે જે BSNLને તમે બરબાદ કરીને છોડી દીધું હતું તે આજે મેડ ઈન ઈન્ડિયા 4G, 5G તરફ આગળ વધી રહી છે અને દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. HAL માટે તમે ઘણા ભ્રમ ફેલાવ્યા, આજે તે રેકોર્ડ ઉત્પાદન અને આવક પેદા કરી રહી છે. એશિયાની સૌથી મોટી હેલિકોપ્ટર મેન્યુફેક્ચરિંગ કંપની HAL કર્ણાટકમાં આવેલી છે. ક્યાં છોડી હતી અને હવે અમે તેને ક્યાં પહોંચાડી દીધી.

વડાપ્રધાન મોદીએ LICના શેર પર શું કહ્યું?

તેમણે કહ્યું કે તમે LIC સંબંધિત કેવા કેવા નિવેદનો આપો છો? તેની સાથે આમ થઇ ગયું તેમ થઇ ગયું. જો કોઈ વસ્તુનો નાશ કરવો હોય તો અસત્ય ફેલાવો, ભ્રમ ફેલાવો. ગામમાં કોઈને મોટો બંગલો ખરીદવો હોય તો એવી અફવા ફેલાવવામાં આવે છે કે તે ભૂતિયા બંગલો છે. એલઆઈસીને લઈને પણ આવી અફવાઓ ફેલાવાઈ હતી. હું તમને છાતી ઠોકીને કહેવા માંગુ છું, આજે એલઆઈસીના શેર રેકોર્ડ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે.

અમારી સરકારમાં PSU વધ્યાં : વડાપ્રધાન મોદી

યુપીએ સરકારમાં 234 PSU હતા, આજે 254 PSU છે. અમે 20નો વધારો કર્યો છે અને આ લોકો અમારા પર PSU વેચવાનો આરોપ લગાવે છે. મોટાભાગના PSU રેકોર્ડ સ્તરે નફો આપી રહ્યા છે.

PSUની નેટવર્થ વધીને રૂ. 17 લાખ કરોડ થઈ : વડાપ્રધાન મોદી

પીએમ મોદીએ કહ્યું, PSUનો ચોખ્ખો નફો 1.25 લાખ રૂપિયા હતો. જે વધીને 2.5 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. અમારા છેલ્લા 10 વર્ષમાં PSUની નેટવર્થ રૂ. 9.5 લાખ કરોડથી વધીને રૂ. 17 લાખ કરોડ થઈ છે. PSU બંધ કરવા અંગે ભ્રમ ફેલાવાયો. જ્યાં પણ તેમનો હાથ અડે તે ડૂબી જવાની શક્યતા વધી જાય છે. અમે સખત મહેનત કરીને અમારી પ્રતિષ્ઠા ઘણી વધારી છે. બજારમાં એવી હવા ન ફેલાવશો કે સામાન્ય રોકાણકારને નુકસાન થાય.

આ લોકો વોકલ ફોર લોકલ બોલવાથી બચે છેઃ વડાપ્રધાન

વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસે નેરેટિવ ફેલાવ્યું અને તેનું પરિણામ શું આવ્યું, ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતાને માનનારાઓને હીન ભાવથી માનવામાં આવ્યા. આ પ્રકારે આપણા અતીત પ્રત્યે અન્યાયની નોબત આવી. આપણી જ માન્યતાઓને ગાળો આપે છે. જો તમે પોતાની જ સંસ્કૃતિને ગાળો આપો છો તો તમે પ્રોગેસિવ છો. આ પ્રકારના નેરેટિવ ઉભા કરાયા. તેમનું નેતૃત્વ ક્યાં હું, દુનિયા જાણે છે. બીજા દેશથી આયાત કરવી અને ભારતની કોઈ વસ્તુ છે તે બીજા દરજ્જાની છે. આ લોકો આજે પણ વોકલ ફોર લોકલ બોલવાથી બચી રહ્યા છે.

અમે જમ્મુ અને કાશ્મીરમાં SC/ST/OBC લોકોને અધિકારો આપ્યાઃ મોદી

SC/ST અને OBCને અનામત ન આપવા બદલ વડાપ્રધાને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે કોંગ્રેસે તેમને સાત દાયકા સુધી જમ્મુ-કાશ્મીરમાં તેમના અધિકારોથી વંચિત રાખ્યા. કલમ 370 નાબૂદ થયા પછી જ તેમને તે અધિકારો મળ્યા. તેમની પાસે જમ્મુ-કાશ્મીરમાં ઘણા અધિકારો નહોતા, જે અમે તેમને કલમ 370 હટાવીને આપ્યા. પીએમ મોદીએ કહ્યું, એસસી સમુદાયમાં વાલ્મિકી સમુદાય સૌથી વધુ પીડિત હતો. 7 દાયકા પછી પણ તેઓ જમ્મુ-કાશ્મીરના લોકોની સેવા કરતા રહ્યા, પરંતુ તેમને સ્થાનિક નિવાસનો અધિકાર આપવામાં આવ્યો ન હતો. આજે હું દેશને કહેવા માંગુ છું કે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત માટેનું બિલ લોકસભામાં પસાર થઈ ગયું છે.

તેઓ બાબા સાહેબને ભારત રત્ન આપવા તૈયાર ન હતાઃ પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે, બાબા સાહેબના વિચારોને ખતમ કરવામાં કોઈ કસર બાકી નથી. તેમને ભારત રત્ન આપવાની પણ કોઈ તૈયારી નહોતી. જ્યારે ભાજપના સમર્થનથી સરકાર બની ત્યારે બાબા સાહેબને ભારત રત્ન મળ્યો હતો. આટલું જ નહીં, સૌથી પછાત સમુદાયના સીતારામ કેસરીને ઉઠાવીને ફૂટપાથ પર ફેંકી દેવામાં આવ્યા હતા. તે વીડિયો પણ ઉપલબ્ધ છે અને દેશે તેને જોયો છે. સામ પિત્રોડા પર પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, તેમનો એક માર્ગદર્શક અમેરિકામાં બેઠો છે, જે છેલ્લી ચૂંટણીમાં હુઆ તો હુઆ માટે પ્રખ્યાત થયો હતો. કોંગ્રેસ આ પરિવારની ખૂબ નજીક છે. તેણે ફક્ત બાબા સાહેબના યોગદાનને ઓછું બતાવવાનો પ્રયાસ કર્યો. દેશમાં પહેલીવાર NDAએ આદિવાસી દીકરીને રાષ્ટ્રપતિ બનાવી છે.

'હું કોઈ પણ અનામતને પસંદ નથી કરતો', વડાપ્રધાન મોદીએ વાંચ્યો નેહરુનો પત્ર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ હાલના દિવસોમાં જાતિની વાત કરી રહી છે. શું જરૂર પડી ગઈ તેમને હું નથી જાણતો. પહેલા તેમણે પોતાની તરફ જોવાની જરૂર છે. દલિત, પછાત અને આદિવાસી કોંગ્રેસ જન્મજાત તેમની સૌથી મોટી વિરોધી રહી છે. હું વિચારું છું કે બાબા સાહેબ ન હોત તો એસસી/એસટીને અનામત મળ્યું હોત કે નહીં. તેમનો વિચાર આજથી નહીં, તે સમયથી એવો છે, જેનો મારી પાસે પુરાવો છે. વાત જ્યારે ઉઠે છે, તો તેમણે તૈયારી રાખવી જોઈએ. હું આદરપૂર્વક નેહરૂજીને ખુબ યાદ કરું છું. એક વાર નેહરૂજીને મુખ્યમંત્રીઓનો પત્ર લખ્યો હતો. તેમણે લખ્યું કે હું કોઈપણ અનામતને પસંદ નથી કરતો. ખાસ કરીને નોકરીમાં અનામત તો ક્યારેય નહીં. હું એવા કોઇ પણ પગલાં વિરૂદ્ધ છું જે બિનકાર્યક્ષમતાને પ્રોત્સાહિત કરે છે, જે નબળાઈ તરફ દોરી જાય છે. રાહુલ ગાંધી પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, તે સમયે સરકારમાં ભરતી થઈ હોત અને તેઓ પ્રમોશન કરતા આગળ વધ્યા હોત તો આજે અહીં સુધી પહોંચત.

વડાપ્રધાને સંભળાવ્યું મનમોહન સિંહનું ભાષણ

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને ટાંકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'ટેક્સ કલેક્શનમાં ભ્રષ્ટાચાર થાય છે, એટલા માટે જીએસટી લાવવું જોઈએ. રાશન યોજનામાં લીકેજ થાય છે, જેનાથી દેશના ગરીબ સૌથી વધુ પીડિત છે. તેને રોકવા માટે ઉપાય શોધવા પડશે. જે રીતે સરકારી કોન્ટ્રાક્ટ આપવામાં આવી રહ્યો છે તેના પર શંકા જાય છે.'

વડાપ્રધાને કહ્યું કે, 'આ પહેલા એમના જ પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે, એક રૂપિયો મોકલીએ છીએ, 10 પૈસા પહોંચે છે.'

આપણા 10 વર્ષ ટોપ 5 ઈકોનોમી વાળા : વડાપ્રધાન

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આપણા 10 વર્ષ ટોપ 5 ઈકોનોમી વાળા છે. આપણા મોટા અને નિર્ણાયક નિર્ણયો માટે યાદ કરાશે. આપણે એ આકરા સમયથી ખુબ મહેનત કરીને દેશને સંકટોથી બહાર લાગ્યા છીએ. આ દેશ એમ જ આશીર્વાદ નથી આપી રહ્યો.

વડાપ્રધાન મોદીએ UPA સરકાર પર કર્યા પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં એક ફરિયાદ હતી કે તેમને લાગે છે કે અમે એવું શા માટે કહીએ છીએ, શા માટે જોઈ રહ્યા છીએ. યૂપીએ સરકારના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું, સદસ્યગણ જાણે છે, કે આપણો ગ્રોથ ધીમો થઈ ગઈ ગયો છે અને ફિસકલ ડેફિસિટ વધી ગઈ છે. મોંઘવારી દર ગત 2 વર્ષથી સતત વધી રહ્યો છે. કરંટ એકાઉન્ટ ડેફિસિટ આપણા અંદાજથી ઘણો વધારે થઈ ગયો છે.

વડાપ્રધાન મોદીના રાહુલ ગાંધી પર પ્રહાર

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોંગ્રેસ 10 વર્ષમાં 11માં નંબર પર દેશને લઈને આવી શકી. અમે 10 વર્ષમાં 5માં નંબર પર લઈ આવ્યા. આ કોંગ્રેસ અમને આર્થિક નીતિઓ પર ભાષણ સંભળાવી રહી છે. જેમણે સામાન્ય વર્ગના ગરીબોને ક્યારે અનામત ન આપ્યું. જેમણે બાબા સાહેબને ભારત રત્ન ન આપ્યો, જેમણે દેશના રોડ, શેરીના નામ પર પોતાના જ પરિવારોના નામ પર રાખી દીધા, તેઓ અમને સામાજિક ન્યાય પર ભાષણ આપી રહ્યા છે. જે કોંગ્રેસના પોતાના નેતાની કોઈ ગેરેન્ટી નથી, પોતાની નીતિની કોઈ ગેરેન્ટી નથી. તેઓ મોદીની ગેરેન્ટી પર સવાલ ઉઠાવી રહ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post