• Home
  • News
  • ગડકરીની જાહેરાતથી વેપારીને ફાયદો:MSMEમાં આવવાથી રાજ્યના 8.5 લાખ વેપારીને સસ્તી લોન; ટ્રેડર્સ સેલ્ફ ડિપેન્ડન્ટ હતા, હવે વેપારને વેગ આપશે
post

ગડકરીના એલાનથી દેશના 2.5 કરોડ છૂટક અને જથ્થાબંધ વેપારીને ફાયદો

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-03 14:35:32

કોરોના મહામારીના મારથી પીડાઇ રહેલા રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને એમએસએમઇ હેઠળ આવરી લેવાનો કેન્દ્ર સરકારે શુક્રવારે નિર્ણય લીધો છે. એને કારણે આ સેક્ટરને આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ અગ્રતાના ધોરણે સસ્તા અને સરળ ધિરાણનો લાભ મળશે. કોરોના મહામારીને ધ્યાનમાં લઇને કેન્દ્ર સરકારનો ઉદ્યોગકારોને વધુ એક બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યો છે. રિટેલ અને જથ્થાબંધ સેક્ટર કોરોના મહામારીમાં સૌથી વધુ પ્રભાવિત થયા હતા. સરકાર દ્વારા આપવામાં આવી રહેલી અનેક સબસિડી તથા યોજનાઓના લાભથી વંચિત હતા. સરકારે હજુ માત્ર ધિરાણ સરળતાથી મળી રહે એનો જ ઉલ્લેખ કર્યો છે, પરંતુ અગ્રણી ટ્રેડર્સનું કહેવું છે કે MSMEને મળતા તમામ હક્ક-લાભ મળે એ જરૂરી છે.

એમએસએમઇ મંત્રી નીતિન ગડકરીએ વધુમાં કહ્યું હતું કે રિટેલ અને જથ્થાબંધ વેપાર ક્ષેત્ર MSME (સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો)ના કાર્યક્ષેત્રથી અત્યારસુધી વંચિત હતું. હવે સુધારેલી માર્ગદર્શિકા હેઠળ રિટેલ અને જથ્થાબંધ વેપારીને પણ આરબીઆઈની માર્ગદર્શિકા હેઠળ અગ્રીમતાને ધોરણે મળનારા ધિરાણથી લાભ થશે. સરકાર MSMEને મજબૂત બનાવવા અને તેમને આર્થિક વિકાસનું ગ્રોથ એન્જિન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. સુધારેલી ગાઇડલાઇન્સથી 2.5 કરોડ રિટેલ અને જથ્થાબંધ વેપારીઓને ફાયદો થશે. આ પગલાંથી તેઓ ઉદ્યમ પોર્ટલ પર નોંધણી કરાવી શકશે. રિટેલ-જથ્થાબંધ વેપારીઓના ગ્રોથ મુદ્દે ટિપ્પણી કરતાં કન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ કહ્યું હતું કે આ નિર્ણયથી વેપારીઓ અગ્રતા ક્ષેત્રના ધિરાણ હેઠળ બેન્કો અને નાણાકીય સંસ્થાઓ પાસેથી જરૂરી નાણાં પ્રાપ્ત કરી શકશે.

MSME આવવાથી આ લાભ મળશે

·         8-9%ના સસ્તા દરે સરળ ધિરાણ, ધિરાણ પર પણ 6-7% સબસિડી મળ‌વાપાત્ર

·         લિમિટેડ કંપનીએ MSMEને 45-60 દિવસમાં પેમેન્ટ ચૂકવવું પડે, સિક્યોરિટીમાં રાહત

·         મશીનરી, ટેક્નોલોજી ડેવલપમેન્ટ તથા વિસ્તરણમુદ્દે પણ સબીસિડી અને રાહતો

·         10% પાવરમાં ડ્યૂટીમાં રાહત મળવાપાત્ર

·         કોર્મશિયલને બદલે એમએસએમઇને સ્પેશિયલ વેરામાં 50 ટકા સુધી રાહત

·         સરકારના ટેન્ડર પર્ચેસિંગમાં અમુક હિસ્સો MSME માટે રિઝર્વ હોવાથી લાભ

માત્ર ધિરાણમાં જ લાભ, અન્ય યોજનાના લાભ મળે એ જરૂરી
કેન્દ્ર સરકારે રિટેલ તથા જથ્થાબંધ વેપારીઓને એમએસએમઇનો દરજ્જો આપ્યો છે એ આવકાર્ય છે, પરંતુ હજુ માત્ર ધિરાણ પૂરતો જ લાભ સીમિત રાખ્યો છે. એમએસએમઇને મળતી તમામ સબસિડી તથા યોજનાઓના હક્ક-લાભો રિટેલ અને જથ્થાબંધ વેપારીને મળે એ જરૂરી છે. - જયેન્દ્ર તન્ના, પ્રમુખ ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન.

વેપાર વિસ્તરણ સાથે નવી રોજગારી સર્જન થશે
જથ્થાબંધ-રિટેલ ક્ષેત્રને MSMEનો દરજ્જો આપતાં આ સેગમેન્ટમાં વિસ્તરણ થશે અને નવી રોજગારીનું સર્જન કરી શકાશે. સૌથી વધુ રોજગારી એકમાત્ર આ સેક્ટર જ આપી રહ્યું છે. ઉદ્યોગકારોની લાંબા ગાળાથી MSME દરજ્જો આપવાની માગ હતી, જેનો ઉકેલ આવ્યો છે. - આશિષ ઝવેરી, મીડિયા કન્વીનર- અમદાવાદ વેપારી મહાજન.

 

adv

Related News

post
post
post
post
post
post
post