• Home
  • News
  • ટ્રાફિક-રખડતા ઢોર મુદ્દે HCમાં સુનાવણી:મણિનગર, ઇસનપુર, સહજાનંદ કોલેજ સહિતની જગ્યાએ ઢોર દેખાય જ છે: કોર્ટ, AMCએ કહ્યું- ઢોર માલિકો અભણ, સમજાવવા પડે છે
post

કોર્ટે પક્ષકારોની દલીલો સાંભળી હતી. પરંતુ આ મામલે 4 ઓક્ટોબરના કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 18:57:28

ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ અમિત પંચાલ દ્વારા હાઈકોર્ટના અગાઉના આદેશોનું પાલન ન કરવા બદલ કન્ટેમ્પ્ટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. અગાઉ હાઇકોર્ટે અનેકવાર AMC અને રાજ્ય સરકારને રખડતા ઢોર, ટ્રાફિક અંકુશ અને ખરાબ રસ્તા માટે નિર્દેશો બહાર પાડ્યા હતા. પરંતુ બંને ઓથોરિટી દ્વારા સતત કોર્ટમાં કાગળિયા ફાઈલ કરાયા છે, પરંતુ કોઈ એક્શન ગ્રાઉન્ડ પર લેવાયા નથી. જોકે, કોર્ટે ચાર વર્ષથી નિર્દેશો આપ્યા હોવા છતાં અમલવારી ન થતા યોગ્ય સૂચનો બાદ અરજદારની પિટિશન ઉપર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં કોર્ટે પક્ષકારોની દલીલો સાંભળી હતી. પરંતુ આ મામલે 4 ઓક્ટોબરના કોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરાશે.

ચીફ સેક્રેટરીએ એફિડેવિટ ફાઈલ કરી નથી
બપોર બાદ પક્ષકારો ફરી કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. જેમાં અરજદારે કોર્ટને જણાવ્યું હતું કે, આ સંપૂર્ણ કેસમાં ફક્ત AMC કમિશનરે જ એફિડેવિટ ફાઈલ કરી છે. રાજ્ય તરફે ચીફ સેક્રેટરીએ એફિડેવિટ ફાઈલ કરી નથી. ઉચ્ચ અધિકારીઓએ કર્મચારીઓને ફક્ત કાર્ય કરવાના નિર્દેશ આપવાના છે. જવાબદાર અધિકારીઓના ફોન અને ઇ મેઇલ પબ્લિક ડોમેનમાં મુકાય એટલે ફક્ત ફરિયાદો જ નહિ, પરંતુ અધિકારી અને કર્મચારીઓની પ્રશંસા પણ થાય. ભારે ટ્રાફિકવાળા વિસ્તારમાં ટ્રાફિક હેન્ડલિંગ માટે જે તે વિસ્તારના જવાબદાર પોલીસ અધિકારીને રાખવામાં આવે.

ઢોર માલિકોને દંડ અને તેમની સામે FIR કરાઈ
AMCએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં AMC દ્વારા આ કેસમાં 18 એફિડેવિટ અને રાજ્ય દ્વારા 9 એફિડેવિટ ફાઈલ કરાઈ છે. હાઇકોર્ટે આ કેસમાં અગાઉ કુલ 30 નિર્દેશો આપ્યા હતા. જેમાંથી 9 રસ્તાના છે, 8 નિર્દેશો ટ્રાફિકને લગતા છે. જ્યારે 11 નિર્દેશો રખડતા ઢોર માટેના છે. AMCએ ઢોરને લગતી પોલિસી બનાવ્યા બાદ 20 હજાર રખડતા ઢોરને અમદાવાદ શહેરની બહાર કર્યા છે. પોલિસી મુજબ અમદાવાદ શહેરમાં ઢોરનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું છે. આણંદ અને નડિયાદ અમદાવાદ જેટલા વિકસિત નહિ હોવાથી ત્યાં કાર્ય થતાં થોડી વાર લાગશે. AMCએ ઢોરને લગતા કોર્ટના નિર્દેશોનું પાલન કર્યું છે. ઢોર માલિકોને દંડ અને તેમની સામે FIR કરાઈ છે.

ઢોર માલિકો જામીન પર છૂટી જાય છે
કોર્ટે કહ્યું હતું કે, આ બધું કર્યા છતાં ગ્રાઉન્ડ પર રિઝલ્ટ દેખાતું નથી, બધું પેપર પર જ છે. AMCએ કહ્યું હતું કે, પકડાયા બાદ ઢોર માલિકો જામીન પર છૂટી જાય છે. બાદમાં ફરી આવું કામ કરે છે. જો કે, તેઓ અભણ છે, તેમને સમજાવવા પડે છે. જ્યાં સુધી રોડની વાત છે તો મુખ્ય રસ્તાઓ ઉપર પાનની દુકાનો જોવા નહિ મળે, AMCએ દબાણો હટાવ્યા છે. કોર્ટે કહ્યું હતું કે, મણિનગર, ઇસનપુર, સહજાનંદ કોલેજ, અટીરા વગેરે જગ્યાએ ઢોર રસ્તા પર જોવા મળે છે. જેમાં AMCએ જણાવ્યું હતું કે, ઢોર માલિકોના જીવન નિર્વાહનો પણ પ્રશ્ન છે. અમદાવાદમાંથી દરરોજ 100 ઢોર પકડવામાં આવે છે.

અધિકારીઓ પોતાની ડ્યુટીમાં નિષ્ફળ રહ્યા છે
AMCએ કહ્યું હતું કે, આપણે આખા રાજ્યમાં યુનિફોર્મ પોલિસીની જરૂર છે. કોર્ટે વેધક ટિપ્પણી કરી હતી કે કર્મચારીઓ પાસેથી કામ લેવાનું કાર્ય અધિકારીઓનું છે, તેઓ પોતાની ડ્યુટીમાં નિષ્ફળ જઈ રહ્યા છે. AMCએ કહ્યું હતું કે, રખડતા ઢોર માટે દંડ 500, 1000, 1500 અને હવે 3 હજારનો દંડ કરાયો છે. જો 10 દિવસમાં માલિક ઢોરને લેવા ન આવે તો ઢોરને પાંજરાપોળ મોકલી અપાય છે. નવી પોલિસી પ્રમાણે ઢોર માલિકોએ 90 દિવસમાં રજીસ્ટ્રેશન કરાવવુ પડે છે. નહિતર ઢોર માલિકના કબ્જામાંથી પણ ઢોર કબ્જે લેવાય છે. અત્યારે અમદાવાદમાં 80 હજાર જેટલા ઢોર છે. જેને પકડીને અમદાવાદ શહેરની બહાર છોડી મુકાય છે.

આ મુદ્દે 4 ઓકટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે
કોર્ટે કહ્યું હતું કે, જો AMC ઢોરને અમદાવાદ બહાર રોડ ઉપર છોડી મૂકતી હોય તો આ કેવા પ્રકારની પોલિસી છે! કોર્ટે હુકમ કર્યો હતો કે, ઢોર પોલીસના અમલને લગતા અધિકારીઓ અને કર્મચારીઓના નામ AMC કોર્ટને આપશે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર ટૂંકી એફિડેવિટ ફાઈલ કરશે. જેમાં રોડ, ટ્રાફિક અને ઢોરના નિવારણને લગતું મિકેનીઝમ દર્શાવ્યું હશે. આ સાથે રાજ્ય સરકાર પણ એફિડેવિટ ફાઈલ કરશે. આ મુદ્દે 4 ઓકટોબરે વધુ સુનાવણી હાથ ધરાશે.

મણિનગર, ઇસનપુર પાસે સમસ્યા
ઉલ્લેખનીય છે કે, આજની સુનાવણી જજ આશુતોષ શાસ્ત્રી અને દિવ્યેશ જોશીની બેન્ચ સમક્ષ હાથ ધરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય અને AMCએ પગલાં લીધા છે તેની ના નથી. પરંતુ જમીન પર તે કામ દેખાતું નથી. હાઈકોર્ટ વારંવાર નિર્દેશો ન આપે, ઓથોરિટી જાતે પગલાં ભરે. હાઇકોર્ટે આ સુનાવણી દરમિયાન નડિયાદ કોર્ટ અને નવસારી રેલવે મથકે બનેલી ઘટનાઓ પણ ટાંકી હતી. કોર્ટે કહ્યું હતું કે, કોર્ટને ઓથોરિટીને ખખડાવવા નહીં, પરંતુ જાહેર હિતમાં રસ છે. કોર્ટે કહ્યું હતું કે, મણિનગર, ઇસનપુર, નહેરૂનગર અને અટિરા પાસે પણ આ સમસ્યા છે.

કોર્ટે 2018 અને 2019માં પણ નિર્દેશો આપ્યા હતા
અમિત પંચાલે કોર્ટને જણાવ્યું હતું કે, ઉપરોક્ત સમસ્યાઓ બાબતે કોર્ટે 2018 અને 2019માં પણ નિર્દેશો આપ્યા હતા. સરકારી અધિકારીઓ કોર્ટમાં આવ્યા, એફિડેવિટ પણ થઈ, પરંતુ અમલીકરણ થયું નહીં. રાજ્યના ચીફ સેક્રેટરીએ આ સમસ્યા સંદર્ભમાં એફિડેવિટ ફાઈલ કરી નથી. અંડર સેક્રેટરી અને ડેપ્યુટી કમિશનરે એફિડેવિટ ફાઈલ કરી છે. જો રાજ્યના ચીફ સેક્રટરી અને AMC કમિશનર એફિડેવિટ ફાઈલ કરે તો નીચલા અધિકારીઓની હિંમત નથી કે તેમના ઓર્ડરનું પાલન ન થાય. સરકાર અને AMC પોલિસી પણ બનાવી ચૂકી છે. પરંતુ તેની અમલવારીમાં સમસ્યા છે. નોડલ ઓફિસરને જવાબદાર બનાવવો જોઈએ.

નહીંતર કોર્ટ જાતે અઘરા નિર્ણય આપશે
સરકારી વકીલ મનીષા શાહે જણાવ્યું હતું કે, નડિયાદ નગરપાલિકા દ્વારા ઢોર પકડવા માટે 15 વ્યક્તિઓને આઉટસોર્સિંગથી કામ અપાયું છે. તેમજ તે અંગે ટ્રેક્ટર અને પાંજરા જેવા સાધનો પૂરા પડાયા છે. 1 જાન્યુઆરી, 2023થી 31 માર્ચ, 2023 સુધી નડિયાદ નગરપાલિકાએ 34 ઢોર ડબ્બે પૂર્યા હતા. 15 ઢોર પકડીને ગૌચરમાં છોડી દેવાયા હતા. જ્યારે 19 જેટલા ઢોર પશુ માલિકો દંડ ભરીને છોડાવી ગયા હતા. ત્યારબાદ 1 એપ્રિલ, 2023થી 30 ઓગસ્ટ, 2023 સુધી 158 ઢોર પકડવામાં આવ્યા હતા. કોર્ટે ઢોર પકડવાની કામગીરી સાથે ઢોર માલીકો સામે પોલીસ ફરિયાદ અંગે પણ પૂછ્યું હતું. તે અંગે સરકારી વકીલે ઢોર માલીકો સામે પોલીસ ફરિયાદ કરાતી હોવાની માહિતી આપી હતી. કોર્ટે આ સમસ્યાઓના નિરાકરણ માટે યોગ્ય મિકેનીઝમ આપવા જણાવ્યું હતું, નહીંતર કોર્ટ જાતે અઘરા નિર્ણય આપશે.

જીવદયા પ્રેમીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જાય છે
અમિત પંચાલે જણાવ્યું હતુ કે, અગાઉ AMC કમિશનરે અમદાવાદ શહેરના 6 રસ્તાની જવાબદારી 6 જવાબદાર અધિકારીઓને આપી હતી. તેમના નંબર અને ઈ-મેઇલ પણ જાહેર કરવા જોઈએ. જેથી કરીને પબ્લિક તેમને સીધી ફરિયાદ અને પ્રશ્નો કરે, જેવી રીતે ટ્રાફિક માટેના નંબરો છે. ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે જે તે વિસ્તારના પોલીસ અધિકારી જવાબદાર છે. AMCના વકીલે જણાવ્યું હતું કે, AMC દબાણો દૂર કરે છે, તે પાછા આવી જાય છે. AMC કૂતરા પકડવાની ગાડી મોકલે તો જીવદયા પ્રેમીઓ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જાય છે.

adv

Related News

post
post
post
post
post
post
post