• Home
  • News
  • Taliban કઈ રીતે આવ્યું અસ્તિત્વમાં? અફઘાનિસ્તાનમાં તાલિબાનનો દબદબો વધશે તો ભારતને શું અસર થશે?
post

અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની ધીમે ધીમે વાપસી થઈ રહી છે. આ જ કારણે એકવાર ફરીથી તાલિબાનનાં પડઘા સંભળાવા લાગ્યા છે. તાલિબાનીઓ ફરીથી પોતાનો દાયરો વિસ્તારવાની ફિરાકમાં છે. આવી સ્થિતિમાં તે જાણવું ખૂબ જ જરૂરી છે કે તાલિબાન છે શું? તેનો જન્મ કેવી રીતે થયો અને આવનારા સમયમાં ભારત પર આ તાલિબાનની શું અસર પડશે?

Written By newsonline | Ahmedabad | Published: 2021-08-11 11:58:05

નવી દિલ્લીઃ અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની ધીમે ધીમે વાપસી થઈ રહી છે. આ જ કારણે એકવાર ફરીથી તાલિબાનનાં પડઘા સંભળાવા લાગ્યા છે. તાલિબાનીઓ ફરીથી પોતાનો દાયરો વિસ્તારવાની ફિરાકમાં છે. આવી સ્થિતિમાં તે જાણવું ખૂબ જ જરૂરી છે કે તાલિબાન છે શું? તેનો જન્મ કેવી રીતે થયો અને આવનારા સમયમાં ભારત પર આ તાલિબાનની શું અસર પડશે? અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન એલાન કરી ચૂક્યા છે કે, સપ્ટેમ્બર સુધીમાં અફઘાનિસ્તાનમાં તૈનાત આખુ અમેરિકી સૈન્ય પરત આવી જશે. આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ ફરીથી વધી શકે છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે, 22-24 વર્ષ પહેલા જે પરિસ્થિતિઓ હતી, તે ફરી જીવંત થઈ શકે છે. આવી સ્થિતિની વૈશ્વિક રાજકારણ પર મોટી અસર પડી શકે છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ વધી જશે, તો મધ્ય એશિયામાં હંગામો મચી જશે. ભારત દેશને પણ કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડી શકે છે.

તાલિબાનનો જન્મ:
1950
થી 1990 સુધી યુ.એસ અને સોવિયત સંઘ વચ્ચે શીત યુદ્ધ ચાલતું હતું. બંને દેશો વૈચારિક અને ભૌગોલિક સ્તરે વિસ્તૃત થવા માટે પોતાનું એડીચોટીનું જોર લગાવી રહ્યા હતાં. આ દરમિયાન 1979માં, સોવિયત સંઘે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો. આ હુમલો અમેરિકા સહન ન કરી શક્યું. આ વાતને ધ્યાનમાં રાખીને, અમેરિકાએ ઓસામા બિન લાદેનનો સહારો લીધો અને તેને અફઘાનિસ્તાન મોકલ્યો. જ્યાં લાદેને સ્થાનિક લોકોને સોવિયત સંઘ સામે લડવા માટે તૈયાર કર્યા.

આ સમય દરમિયાન અફઘાન મુજાહિદ્દીનની રચના થઈ. જેનું એકમાત્ર લક્ષ્ય સોવિયત સૈન્યને પોતાના દેશમાંથી હાંકી કાઢવાનું હતું. અમેરિકા અને પાકિસ્તાન મુજાહિદ્દીનોને મોટા પ્રમાણમાં મોંઘા લશ્કરી સાધનો અને આર્થિક સહાય પૂરી પાડતા હતા. જેની મદદથી અફઘાન મુજાહિદ્દીન સોવિયત સૈન્ય સામે લડી રહ્યું હતું. આ યુદ્ધમાં મુજાહિદ્દીનોએ સોવિયત સેનાને ભારે નુકસાન પહોંચાડ્યું. 10 વર્ષ સુધી ચાલેલા આ યુદ્ધમાં સોવિયત સેનાએ 15,000 સૈનિકો ગુમાવ્યા. જેના પગલે સોવિયત સંઘને અફઘાનિસ્તાન છોડવાની ફરજ પડી હતી.

ત્યારબાદ, અહમદ શાહ મસૂદના નેતૃત્વમાં અફઘાન મુજાહિદ્દીને અફઘાનની રાજધાનીને ઘેરી લીધી. અફઘાનિસ્તાનમાં સૈયદ મોહમ્મદ નજીબુલ્લાહના નેતૃત્વ હેઠળ સરકારની સ્થાપના કરવામાં આવી હતી. જોકે, આ સમયગાળા દરમિયાન દેશમાં અસ્થિરતાનું વાતાવરણ હતું. 1994માં, અફઘાન મુજાહિદ્દીનનો જ એક ભાગ તાલિબાન દેશમાં ઉભરી આવ્યો. 1994માં તાલિબાન અફઘાનિસ્તાનની અંદર એક શક્તિશાળી આંદોલન બની ગયું હતું. આ સમય દરમિયાન, પાકિસ્તાને તાલિબાન સાથે સંકળાયેલા લોકોને મોટી સંખ્યામાં આર્થિક સહાય, સૈન્ય સહાય અને હથિયારો પૂરા પાડ્યા હતા, જેથી તાલિબાન દ્વારા મધ્ય એશિયાથી પાકિસ્તાન સુધીનો વેપાર માર્ગ ખોલી શકાય. પાકિસ્તાનની આ સહાયને કારણે તાલિબાન ખૂબ જ મજબુત બન્યું અને જોતજોતામાં જ તાલિબાને 1996માં રાજધાની કાબુલને પોતાના નિયંત્રણમાં લઈ લીધું. ધીમે ધીમે તાલિબાને બાકીના ભાગોને પણ નિયંત્રણમાં લેવાનું શરૂ કર્યું. આ દરમિયાન, અફઘાનિસ્તાનની સરકાર અને તાલિબાન વચ્ચે ઘણા યુદ્ધો થયા હતા.

આ સમય દરમિયાન પાકિસ્તાને તાલિબાન સાથેના સંબંધો વિવિધ સ્તરે મજબૂત બનાવ્યા. તેણે ઘણા સ્થાને તાલિબાન નેતાઓને તાલીમ આપી હતી. 1996ની આસપાસ, ઓસામા બિન લાદેન અફઘાનિસ્તાન પાછો ફર્યો. જ્યાં તાલિબાન નેતાઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું. ઓસામા બિન લાદેનની પાસે અન્ય યોજનાઓ હતી, જેને પૂરી કરવા તેણે તાલિબાનમાં આતંકવાદીઓની ભરતી શરૂ કરી. આ વાતને ધ્યાનમાં રાખીને, સંયુક્ત રાષ્ટ્રએ ઓસામા બિન લાદેનને પકડવા માટે એક ઠરાવ પસાર કર્યો હતો.

થોડા સમય પછી 2001માં, ઓસામા બિન લાદેને પેલેસ્ટાઈનનાં મુદ્દાઓ પર વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને અમેરિકાના પેન્ટાગોન પર હવાઈ હુમલો કર્યો. જેમાં ઘણા નિર્દોષ લોકોનાં મોત નીપજ્યાં. આ આતંકી ઘટના પછી અમેરિકાએ પગલા ભર્યા અને તાલિબાનને ઓસામા બિન લાદેનને સોંપવા કહ્યું, પરંતુ તાલિબાને આમ કરવા મનાઈ ફરમાવી દીધી. જેના પગલે લાલઘૂમ થયેલા અમેરિકાએ તાલિબાનના ઘણા વ્યૂહાત્મક મથકો પર ખતરનાક હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં તાલિબાનને નોંધપાત્ર નુકસાન થયું. જેના કારણે તાલિબાને કાબુલ પરનો સંપૂર્ણ નિયંત્રણ ગુમાવી દીધો. આ હુમલા બાદ ઘણા તાલિબાન નેતાઓને ભાગીને પાકિસ્તાનમાં આશરો લેવો પડ્યો હતો. આ પછી, અફઘાનિસ્તાનમાં લાંબા સમયથી અસ્થિરતાનું વાતાવરણ હતું, જેને ધ્યાનમાં રાખીને અમેરિકાએ ત્યાં પોતાની સેના તૈનાત કરી હતી.

ફરીથી તાલિબાન સશક્ત થતા ભારત પર તેની અસર:
હવે જ્યારે અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનમાંથી પરત ફરી રહ્યું છે, ત્યારે ભારતને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ધીમે ધીમે પાકિસ્તાનનાં પગ પ્રસરતા ભારતને ચાબહાર બંદર પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની ખોટ સહન કરવી પડશે. આ સિવાય કાશ્મીરમાં તાલિબાનીઓની મદદથી અરાજકતા પેદા કરવાનો પાકિસ્તાન પૂર્ણ પ્રયાસ કરશે. તાલિબાનના ઝડપી વિસ્તરણ સાથે, ત્યાં સૈન્ય તૈનાત કરવાનું ખૂબ મહત્વનું બની ગયું છે.  જેના કારણે ભારતે સંરક્ષણ ક્ષેત્રે વધારે રકમ ખર્ચ કરવી પડશે.

adv

Related News

post
post
post
post
post
post
post