ઈમરાને ઈશારામાં એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશો અને અમેરિકા તેમની વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે
ઈસ્લામાબાદ: ખુરશી બચાવવા માટે
તનતોડ પ્રયાસ કરી રહેલા ઈમરાન ખાને અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાનના થોડા દિવસો પહેલા
જ ભારતની ખુલ્લેઆમ પ્રશંસા કરી છે. એક રેલીમાં ઈમરાને રશિયા-યુક્રેન યુદ્ધનો
ઉલ્લેખ કર્યો અને ભારતની વિદેશ નીતિને નિર્ભય ગણાવી. કહ્યું- આપણો પાડોશી દેશ
ભારત. આજે હું તેની પ્રશંસા કરું છું. તેમની ડિપ્લોમેસી મુક્ત છે. અમેરિકા અને
પશ્ચિમી દેશોએ રશિયા પર ઘણા નિયંત્રણો લાદ્યા છે, પરંતુ ભારત નિર્ભયપણે
તેમની પાસેથી તેલ ખરીદી રહ્યું છે. માનવામાં આવે છે કે 25 કે 28 ફેબ્રુઆરીએ સંસદમાં
ઈમરાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થશે. ઈમરાન અને તેમના મંત્રીઓ જાણે છે
કે મતદાનમાં સરકાર પડવાની જ છે. તેથી, તેઓ તેનાથી બચવાના તમામ
પ્રયાસો કરી રહ્યા છે.
ઈમરાને શું કહ્યું
મલ્કાન શહેરમાં એક રેલીમાં ભાષણ દરમિયાન ઈમરાને કહ્યું- આજે હું આપણા પાડોશી
દેશ ભારતની પ્રશંસા કરવા માંગુ છું. તેમણે પોતાની વિદેશ નીતિ હંમેશા મુક્ત રાખી
હતી. આજે હિન્દુસ્તાન તેમની સાથે એક છે (અમેરિકા અને પશ્ચિમી દેશો), તેઓ એકબીજા સાથે અલાયંસ
ધરાવે છે. QUADમાં ભારતે અમેરિકા સાથે અલાયંસ કરીને રાખ્યું છે. તેમ છતાં ભારતનું કહેવું છે
કે તે તટસ્થ છે. વિશ્વએ રશિયા પર પ્રતિબંધો લગાવ્યા છે, પરંતુ ભારત તેની પાસેથી
તેલ ખરીદી રહ્યું છે. કારણ કે, ભારતની પોલિસી પોતાના લોકો માટે છે.
વિપક્ષ ચોર અને લુંટારા
આ રેલીમાં ઈમરાને ફરી એકવાર વિપક્ષી નેતાઓને ચોર અને લુંટારા ગણાવ્યા અને
તેમના ભ્રષ્ટાચારના અનેક મામલા ગણાવ્યા. જોકે, તેમણે પોતાની સરકારની
નિષ્ફળતા, મોંઘવારી, બેરોજગારી અને હિંસા પર એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. કહ્યું- વિપક્ષના નેતા
શહબાઝ શરીફ બૂટ પોલિશમાં નિષ્ણાત છે (સેનાનું નામ જાહેર ન કર્યું) અને જ્યારે પણ
તેમને તક મળે છે ત્યારે તેઓ આવું જ કરે છે.
ઈમરાને ફરી એકવાર નવાઝ
શરીફ, આસિફ અલી ઝરદારી અને મૌલાના ફઝલ-ઉર-રહેમાનને ચોર, ડાકુ અને લૂંટારા
ગણાવ્યા. કહ્યું- આ લોકો 25 વર્ષથી દેશને લૂંટી રહ્યા હતા અને મેં રોક્યા તો મારી વિરુદ્ધ ષડયંત્ર રચી
રહ્યા છે.
બે વખત ભારતનો ઉલ્લેખ
ઈમરાને ઈશારામાં એમ પણ કહ્યું કે પશ્ચિમી દેશો અને અમેરિકા તેમની વિરુદ્ધ
ષડયંત્ર રચી રહ્યા છે. તેમણે કહ્યું- યુરોપિયન યુનિયનના નેતાઓએ ભૂતકાળમાં મારા પર
યુક્રેન પર હુમલા માટે રશિયાની નિંદા કરવા દબાણ કર્યું હતું. એવું પણ કહેવામાં
આવ્યું હતું કે મારે મારી રશિયાની મુલાકાત રદ કરવી જોઈએ. હું તેમની વાત સાંભળવા
તૈયાર નહોતો. મારો પ્રશ્ન ખૂબ જ સરળ છે. શું આ દેશો પાકિસ્તાનને પોતાનો ગુલામ માને
છે? ભારત વિશે તો તેઓ કશું બોલતા નથી. ત્યાં તેમની હિંમત કેમ નથી થતી.