ગ્લોબલ ટાઈમ્સે અથડામણનું ઠીકરું ભારત પર જ ફોડ્યું, લખ્યું-તણાવનું કારણ ભારતીય સેનાઓનો ઘમંડ છે
બેઈજિંગ: લદ્દાખની
ગાલવન ઘાટીમાં ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી અથડામણનું ઠીકરું પાડોશી દેશે
ભારતના માથે ફોડ્યું છે. ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, ચીન અને
ભારતની સીમા પર સતત તણાવનું કારણ ભારતીય સેનાનો ઘમંડ છે. સૈન્ય અથડામણ બન્ને
દેશોના હિતમાં નથી, આપણો દેશ યુદ્ધ માટે પુરી રીતે તૈયાર છે અને તેનો લાભ પણ આપણને જ થવાનો છે.
ગ્લોબલ ટાઈમ્સે તેના એડિટોરિયલમાં લખ્યું કે, બોર્ડરની
પાસે ભારતીય સેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કરી રહી છે. તેમને ચીનના ભાગમાં પણ ઘણું
નિર્માણ કર્યું છે. જેના કારણે બન્ને પક્ષો વચ્ચે અથડામણ થઈ રહી છે, કારણ કે
ચીનની સેના ભારતીય સેનાના નિર્માણને અટકાવવાનો પ્રયાસ કરી રહી છે.
ગેરસમજણે ભારતીય
વિચારને પ્રભાવિત કર્યા
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, પહેલા થોડા વર્ષોથી ભારતે બે ગેરસમજણને
કારણે સીમાના મુદ્દાઓ અંગે કડક વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. જેમાં પહેલું છે
કે અમેરિકાના વધતા દબાણના કારણે ચીન ભારત સાથે સંબંધો બગાડવા માંગતું નથી અને
આવામાં તે ભારતીય ઉશ્કેરણીના જવાબ આપવાની પણ ઈચ્છા નથી રાખતું.
બીજું ઘણા લોકોને ગેરસમજણ છે કે ભારતની સેનાની શક્તિ ચીનથી વધારે છે. આ
ગેરસમજણે ભારતીય વિચારધારાને પ્રભાવિત કરી છે અને ચીન અંગે ભારતની નીતિઓ પર દબાણ
કર્યું છે. ચીન અને ભારતની શક્તિ વચ્ચે અંતર સ્પષ્ટ છે.
બન્ને બાજુથી
સૈનિકોના મોત થયા
ગાલવન વેલીમાં ભારત અને ચીનની સેના વચ્ચે આ વખતે જે અથડામણ થઈ છે. તેમાં બન્ને
બાજુથી સૈનિકોના મોત થયા છે. આનાથી એ સ્પષ્ટ થઈ રહ્યું છે કે હાલ બન્ને દેશો વચ્ચે
સીમા વિવાદ અંગે ઊભી થયેલી સ્થિતિ નિયંત્રણમાં નથી. આ ઘટના પછી અત્યાર સુધી બન્ને
સેનાઓએ સંયમ રાખ્યો છે. જે સ્પષ્ટ કરે છે કે બન્ને પક્ષ વાતચીત દ્વારા તણાવને ઓછો
કરવા માગે છે. તો બીજી બાજુ ચીની સેનાએ આ અથડામણમાં માર્યા ગયેલા પોતાના સૈનિકોની
સંખ્યાનો ખુલાસો કર્યો નથી. જેથી બન્ને તરફની સેનાઓ વચ્ચે ફરી કોઈ પણ પ્રકારની
અથડામણ શરૂ ન થાય.
ગાલવન ઘાટીમાં
તણાવ ઓછો થતો જોવા માંગીએ છીએ
ગ્લોબલ ટાઈમ્સે લખ્યું કે, અમે ગાલવન ઘાટીમાં તણાવને ઓછો થતા જોવા
માંગીએ છીએ. અમને આશા છે કે ભારત લદ્દાખ સીમા પર તહેનાત સૈનિક અને એન્જિનીયરોનું
યોગ્ય રીતે સંચાલન કરશે સાથે જ બન્ને સૈનાઓના ઓફિસર્સ વચ્ચે થયેલી હાઈ લેવલ
મીટિંગમાં જે સહમતિ થઈ હતી તેની પર અમલ કરશે. જો સ્થિતિ શાંત થઈ જશે તો બન્ને પક્ષ
માટે તે ફાયદાકારક રહેશે. જો કે, તેના માટે બન્ને દેશોની સેનાઓએ પ્રયાસ
કરવા પડશે.
ચીનની જનતાને સેના
પર વિશ્વાસ કરવા માટે કહ્યું
ગ્લોબલ ટાઈમ્સે કહ્યું કે, ભારત સાથે સીમા વિવાદ મુદ્દે ચીનની જનતાએ
સરકાર અને પીપલ્સ લિબરેશન આર્મી પર વિશ્વાસ કરવો જોઈએ. સીના વિવાદ સામે લડતી વખતે
તે ચીનની ક્ષેત્રિય અખંડતા અને રાષ્ટ્રીય હિતોને જાળવી રાખશે. ચીન પાસે પોતાની
જમીનના દરેક ઈંચની સુરક્ષા કરવાની શક્તિ અને સમજણ છે અને તે દેશ વિરુદ્ધ એક પણ
રણનીતિક ચાલને સફળ નહીં થવા દે.