નિષ્ણાતોના મતે ભારત ટૂંકમાં વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર બની જશેઃ વડાપ્રધાન મોદી
આજે ગોવામાં ઈન્ડિયા એનર્જી વીક-2024નું ઉદઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ સંબોધનમાં કહ્યું કે, ‘વિશ્વભરના નિષ્ણાતોનું માનવું છે કે, ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બની જશે. ભારતની આ વિકાસ કહાનીમાં ઊર્જા ક્ષેત્ર મહત્ત્વનું છે. ભારત પહેલેથી જ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઊર્જા ઉત્પાદક છે. આ ઉપરાંત ત્રીજું સૌથી મોટું ઓઈલ ઉત્પાદક અને ત્રીજો સૌથી મોટો LPG ઉત્પાદક દેશ છે.’
ઊર્જાની માંગ 2045 સુધીમાં બે ઘણી થઈ જશે
આ અંગે વધુ વાત કરતા કહ્યું કે, ‘આપણે વિશ્વના ચોથી સૌથી મોટા આયાતકાર છીએ. આપણું સૌથી મોટું રિફાઈનરી માર્કેટ છે અને સૌથી મોટું ચોથું ઑટોમોબાઈલ સેક્ટર પણ ભારતનું જ છે. આજે ભારતમાં ટુ-વ્હીલર્સ અને ફોર-વ્હીલર્સના વેચાણમાં નવો રેકોર્ડ બની રહ્યો છે. ઈવીની માંગ સતત વધી રહી છે. એવું અનુમાન છે કે, ભારતની પ્રાથમિક ઊર્જા માંગ 2024 સુધીમાં બમણી થઈ જશે.’
પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘ઊર્જા વધતી માંગ વચ્ચે દેશના તમામ ખૂણામાં સસ્તી ઊર્જા આપવાનું પણ ભારત સુનિશ્ચિત કરી રહ્યું છે. ભારત એક એવો દેશ છે, જ્યાં ઘણાં વૈશ્વિક કારણો છતાં છેલ્લા બે વર્ષમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટી છે. આપણે કરોડો ઘરો સુધી વીજળી પહોંચાડી છે. આ પ્રયાસોના કારણે ભારત વિશ્વસ્તરે ઊર્જા ક્ષેત્રમાં આટલી પ્રગતિ કરી રહ્યું છે. ભારત 21મી સદીનું આધુનિક માળખું તૈયાર કરી રહ્યું છે. અમે મૂળ માળખા પર કામ કરી રહ્યા છીએ અને આગામી સમયમાં તેમાં 10 લાખ કરોડનું રોકાણ કરી રહ્યા છીએ.’