• Home
  • News
  • 1થી 3 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં હળવા વરસાદની આગાહી, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના
post

લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-27 18:43:49

હવામાન વિભાગે આગામી પાંચ દિવસને લઈ આગાહી કરી છે. જેમાં ત્રીજા અને ચોથા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે 1થી 3 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગમાં હળવા વરસાદની આગાહી છે. જેમાં 1 માર્ચના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી છે. ઉત્તરપશ્ચિમી ગુજરાત તરફના દરિયામાં તોફાની મોજા ઉછળવાને કારણે તથા પવનનીગતિ પણ ઝડપી હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

કયાં કયાં જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી?
હવામાન વિભાગ અનુસાર આગામી ત્રણ દિવસ ગુજરાતનું વાતાવરણ સુકુ રહેશે. જ્યારે આ ત્રણ દિવસ દરમિયાન અમદાવાદ અને આસપાસના ભાગોમાં દિવસ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. આગામી 24 કલાક બાદ રાજ્યના લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રી જેટલો વધારો પણ થશે. ત્યાર બાદ ચોથા અને પાંચમા દિવસે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતાઓ છે. જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મહિસાગર, છોટાઉદેપુર, દાહોદ તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં હળવા વરસાદની આગાહી છે. મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા હાલમાં અમદાવાદ, ગાંધીનગર જેવા શહેરોમાં વરસાદની આગાહી કરી નથી, પરંતુ આગામી એકથી બે દિવસમાં અમદાવાદના આસપાસના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે કે કેમ તે બાબતે જણાવવામાં આવશે.

દરિયાની સ્થિતિ ખરાબ હોવાથી માછીમારોએ દરિયો ન ખેડવો હિતાવહ
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગામી પાંચ દિવસની આગાહીમાં ચોથા દિવસે એટલે કે, પહેલી માર્ચે ઉત્તર ગુજરાત તથા બીજી માર્ચના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ ઉપરાંત સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં હળવા વરસાદની શકયતા છે. આજરોજ 27 ફેબ્રુઆરીએ હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. કારણ કે હાલમાં ઉત્તર ગુજરાતના દરિયાકાંઠા પવનની ઝડપ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની છે. તેને કારણે દરિયામાં પણ તોફાની મોજા ઉછળી રહ્યા છે. દરિયાની સ્થિતિ પણ ખરાબ હોવાથી માછીમારોએ દરિયો ન ખેડવો હિતાવહ છે.

લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતા
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાન વિશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે, અમદાવાદ જિલ્લામાં લઘુત્તમ તાપમાન 20.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે આગામી 24 કલાકમાં લઘુત્તમ તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. તે ઉપરાંત ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસ પહોંચે તેવી શક્યતા છે. ઉપરાંત છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં સૌથી ઓછુ તાપમાન જૂનાગઢ જિલ્લામાં નોંધાયું હતું. જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન 14.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું. આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થાય તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.



adv

Related News

post
post
post
post
post
post
post