ઓબીસી સમાજને બે સીટ પર પ્રતિનિધિત્વ મળી શકે છે
રાજ્યસભાની 56 સીટ માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતની 4 રાજ્યસભા બેઠક પર ભાજપ કયા ઉમેદવારને મોકો આપશે? તેવી અટકળો અને ચર્ચા ભાજપમાં શરૂ થઈ ગઈ છે. આ તમામ અટકળો વચ્ચે રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર અંગે મળેલી માહિતી મુજબ ભાજપે કેટલાક ક્રાઈટેરિયા નક્કી કર્યા છે. આ મેરિટ્સને અનુરૂપ જ ભાજપ ઉમેદવારોની પસંદગી કરી શકે છે.
સિનિયર પાટીદાર નેતાને જવાબદારી સોંપવાની પ્રબળ શક્યતા
ગુજરાત રાજ્યમાં પાટીદાર સમાજના એક સિનિયર નેતા કે જેઓ અગાઉ રાજ્યમાં મહત્વપૂર્ણ જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે. ત્યારે આ નેતાને ભાજપ પોતાના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવાર બનાવી શકે છે. રાજ્ય સભાની ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ સમય જતાં આ નેતાને આગામી સમયમાં મોટી જવાબદારી સોંપવામાં આવે એવી પ્રબળ શક્યતા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
મનસુખ માંડવિયા રીપિટ નહીં થાય
ગુજરાત રાજ્યસભાની સીટ પર 3 એપ્રિલ 2018ના રોજથી સાંસદ બન્યા બાદ હાલ કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે કામ કરી રહેલા મનસુખ માંડવિયાની ટર્મ એપ્રિલ 2024માં પૂરી થઈ રહી છે. ત્યારે મનસુખ માંડવિયાને રાજ્યસભા ચૂંટણીમાં રીપિટ નહીં કરી, ભાજપ એક નવો પ્રયોગ અજમાવવા જઈ રહ્યું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.
ઓબીસી સમાજને બે સીટ પર પ્રતિનિધિત્વ મળી શકે છે
રાજ્ય સભાની 4 સીટ પર ચૂંટણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારે આ ચારેય સીટ પૈકી બે સીટ પર ઓબીસી સમાજનો દબદબો બની શકે છે. મળતી માહિતી મુજબ ઓબીસી સમાજના તાબા હેઠળ આવતા વિવિધ સમાજ પૈકી ચોક્કસ સમાજના મોભી હોય અને સમાજમાં પ્રભુત્વ હોય તેવા આગેવાનને ભાજપ પોતાનો રાજ્યસભા ઉમેદવાર બનાવી શકે છે.
રાજ્યસભા માટે ભાજપે નક્કી કર્યો ક્રાઈટેરિયા
ભાજપ દ્વારા રાજ્યસભાની ચૂંટણી માટે એક ચોક્કસ માપદંડ નક્કી કરવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આ જાણકારી પ્રમાણે ભાજપ 40થી 55 વર્ષની વય સુધીના નેતા કે આગેવાનને જ રાજ્યસભા ઉમેદવાર તરીકે તક આપવા માંગે છે. આ ઉપરાંત વિવિધ ક્ષેત્ર જેમ કે તબીબ, વકીલાત, શિક્ષણમાં જોડાયેલા તેમજ સારું ભણતર ધરાવતાં વ્યક્તિને ભાજપ પોતાના ઉમેદવાર તરીકે નિયૂક્ત કરવા માંગે છે.