10 વખત પત્ર લખીને દુકાનદારોને ચેતવણી આપી, છતાં પણ માન્યા નહીં
બાંગ્લાદેશની રાજધાની
ઢાકાના પ્રખ્યાત બંગાબજારમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આગ
વિકરાળ બની હતી અને 6 બજારોને પોતાની ઝપેટમાં લઈ લીધા હતા, જેમાં 2900 જેટલી દુકાનો આવેલી
હતી. ભીષણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના 48 યુનિટ કામે લાગ્યા હતા.
આગમાં આઠ લોકો ઘાયલ થયા
હતા. સવારે 6.10 કલાકે આગ લાગ્યાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. આ પછી ફાયરની ગાડીઓ 2 મિનિટમાં ઘટના સ્થળે
પહોંચી ગઈ હતી. આગ એટલી ભયાનક હતી કે આગ ઓલવવા માટે આર્મી, નેવી અને એરફોર્સની પણ
મદદ લેવામાં આવી છે.
માલ-સામાન બચાવવા માટે
વેપારીઓ આગમાં કૂદી પડ્યા હતા
ઢાકા ટાઈમ્સના અહેવાલ
મુજબ, આગ સતત વધતી જોઈને વેપારીઓ પોતાનો માલ-સામાન બચાવવા આગમાં કૂદી પડ્યા હતા.
લોકો ધુમાડા અને જીવની પરવા કર્યા વગર દુકાનમાંથી સામાન બહાર કાઢી રહ્યા હતા.
જો કે, તેમ છતાં મોટાભાગની
દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી અને માત્ર રાખ જ બચી હતી. અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં મોટાભાગની
દુકાનો કપડાની છે, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ અને બેકાબૂ બની ગઈ હતી.
આગને કાબુમાં લેવામાં
ભારે મુશ્કેલીઓ પડી હતી
ભીષણ આગને જોવા માટે લોકો બંગબજારમાં ઉમટી પડ્યા હતા. લોકો આગની નજીક સેલ્ફી
લેવા લાગ્યા હતા અને તેની તસવીરો લેવા લાગ્યા. જેના કારણે ફાયર ફાયટરોને તેને
કાબુમાં લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સાથે જ પાણીના અભાવે આગ પર કાબૂ
મેળવવામાં વિલંબ થયો હતો.
આગ લાગવાનું કારણ હજુ
જાણી શકાયું નથી. આ આગમાં કેટલાક લોકોએ પોતાનું સર્વસ્વ ગુમાવ્યું હતું. શરીફુલ
ઈસ્લામે ઢાકા ટાઈમ્સને જણાવ્યું કે હું લોન લઈને બિઝનેસ કરતો હતો, હવે મારો સમગ્ર
માલસામાન નાશ પામ્યો છે.
10 વખત
પત્ર લખીને દુકાનદારોને ચેતવણી આપી,
છતાં પણ માન્યા નહીં
ઢાકા ટાઈમ્સના અહેવાલ મુજબ ફાયર સર્વિસ વિભાગે
ઓછામાં ઓછા દસ વખત દુકાનદારોને ચેતવણી આપી હતી કે શોપિંગ કોમ્પ્લેક્સ બિલકુલ
સુરક્ષિત નથી. ફાયર વિભાગે કહ્યું હતું કે તેમાં આગ લાગવાનો ભય છે. જ્યારે આ તરફ
ડીજીએ જણાવ્યું હતું
કે 6 કલાકની મહેનત બાદ હવે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. આગ લાગવાના
કારણની તપાસ માટે 5 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે.