પંકજભાઈ દેસાઈએ વિધાનસભામાં પ્રસ્તાવ મૂક્યો હતો
ગુજરાતમાં વધુ બે નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો અપાશે. આજે વિધાનસભાગૃહમાં નાણામંત્રી કનુ દેસાઈએ પોરબંદર – છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકે દરજ્જો આપવાની જાહેરાત કરી હતી.
અગાઉ સાત નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી
અગાઉ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના બીજા દિવસે નાણામંત્રી કનુ દેસાઈએ બજેટ રજૂ કરતા સમયે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી. જેમાં નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ કરવામાં આવ્યો હતો. નડિયાદને મહાનગરપાલિકાના દરજ્જો મળે તે માટે પંકજભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂઆત કરી હતી જેમની રજૂઆતને ધ્યાનમાં લઈને જાહેરાત કરવામાં આવી હતી.
રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે
ઉલ્લેખનીય છે કે નડિયાદ સરદાર પટેલની જન્મભૂમિ હોવાથી ખાસ તબક્કામાં પ્રાધાન્ય અપાયું છે. નડિયાદને મહાનગરપાલિકા જાહેર કરતા વિકાસના દ્વાર ખુલશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ નડિયાદને મહાનગર પાલિકા જાહેર કરતા પંકજભાઈ દેસાઈએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો હતો. અગાઉ આણંદને મહાનગરપાલિકા જાહેર કરાઈ હતી. આ સાથે જ રાજ્યમાં કુલ 17 કોર્પોરેશન અસ્તિત્વમાં આવશે.