સુપ્રીમ કોર્ટના આદેશ બાદ નેપાળ કોંગ્રેસના નેતા શેર બહાદુર દેઉબા દેશના નવા પ્રધાનમંત્રી બની ગયા છે.
કાઠમંડુઃ શેર બહાદુર
દેઉબાએ નેપાળના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી લીધા છે. સુપ્રીમ કોર્ટના
આદેશ બાદ નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા મંગળવારે પાંચમી વખત દેશના
પ્રધાનમંત્રી બન્યા છે. રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ બંધારણના આર્ટિકલ 76(5) બેઠળ તેમને
પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા છે. ત્યારબાદ દેઉબાએ શપથ પણ લઈ લીધા છે.
હકીકતમાં સોમવારે નેપાળની સુપ્રીમ કોર્ટે દેઉબાને પ્રધાનમંત્રી બનાવવાનો આદેશ
આપ્યો હતો. કોર્ટે કેપી શર્મા ઓલીને હટાવતા પ્રધાનમંત્રી પદ માટે દેઉબાના દાવા પર
મહોર લગાવી હતી. રાષ્ટ્રપતિ ભંડારીના અંગત સચિવ બહેશ રાજ અધિકારીએ સંવાદદાતાઓને
જણાવ્યુ, સુપ્રીમ કોર્ટના નિર્ણય પ્રમાણે રાષ્ટ્રપતિએ દેઉબાને પ્રધાનમંત્રી નિયુક્ત
કર્યા છે.
આ પહેલા દેઉબા ચાર વખત- પ્રથમવાર સપ્ટેમ્બર 1995- માર્ચ 1997, જુલાઈ 2001- ઓક્ટોબર 2002, ત્રીજીવાર
જૂન 2004- ફેબ્રુઆરી 2005 અને ચોથીવાર
જૂન 2017- ફેબ્રુઆરી 2018 સુધી દેશના
પ્રધાનમંત્રી રહી ચુક્યા છે. બંધારણની જોગવાઈ પ્રમાણે પ્રધાનમંત્રી તરીકે નિમણૂક
બાદ દેઉબાએ 30 દિવસની અંદર ગૃહમાં વિશ્વાસ મત હાસિલ કરવો પડશે.
સુપ્રીમ કોર્ટે સોમવારે પ્રધાનમંત્રી ઓલીના 21 મેએ સંસદની
પ્રતિનિધિ સભાને ભંગ કરવાનો નિર્ણયને રદ્દ કર્યો અને દેઉબાને પ્રધાનમંત્રી
બનાવવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ ચોલેન્દ્ર શમશેર રાણાના નેતૃત્વવાળી
પાંચ સભ્યોની બંધારણીય પીઠે કહ્યુ હતુ કે પ્રધાનમંત્રી પર પર ઓલીનો દાવો
ગેરબંધારણીય છે.