લાલ કિલ્લા પરથી સંબોધન કરતા PM મોદીએ મણિપુર હિંસા, રિફોર્મ્સ પર વાત કરી હતી.
દેશ આજે 77મો સ્વતંત્રતા દિવસ
ઊજવી રહ્યો છે. પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવ્યો
હતો. આ દરમિયાન 21 તોપની સલામી આપવામાં આવી હતી. આ પહેલાં પીએમ મોદી સવારે રાજઘાટ પહોંચ્યા હતા
અને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આજે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યા બાદના ભાષણમાં
પીએમ મોદીએ દાવો કર્યો હતો કે તેઓ 2024માં લાલ કિલ્લા પર
તિરંગો ફરકાવશે. ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીના દાવા અંગે
કહ્યું કે આવતા વર્ષે મોદી તેમના ઘરે ધ્વજ ફરકાવશે. આજે પણ તેઓ ઘમંડ બતાવી રહ્યા
છે તો દેશનું નિર્માણ કેવી રીતે કરશે.
લાલ કિલ્લા પરથી સંબોધન
કરતા PM મોદીએ મણિપુર હિંસા, રિફોર્મ્સ પર વાત કરી હતી. PM મોદીએ સરકારનાં 10 વર્ષનાં કામોનો હિસાબ
આપ્યો હતો. મોદીએ સંબોધન કરતા દેશવાસીઓને ત્રણ ગેરંટી પણ આપી હતી. પ્રથમ- આગામી
થોડા જ વર્ષોમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બની જશે. બીજી- શહેરોમાં
ભાડાનાં મકાનોમાં રહેતા લોકોને બેંક લોનમાં રાહત મળશે. ત્રીજી, દેશભરમાં 10 હજારથી 25 હજાર જનઔષધિ કેન્દ્રો
ખોલવામાં આવશે.
મોદી આ વખતે ઓફ-વ્હાઈટ
કુર્તા અને બ્લેક જેકેટમાં જોવા મળ્યા. તેમણે જોધપુરી બાંધણી પ્રિન્ટનો સાફો
પહેર્યો હતો. જેમાં પીળો, લીલો અને લાલ રંગ હતો.
મોદીએ સંબોધનમાં મણિપુર
હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં ખાસ કરીને
મણિપુરમાં, હિંસાને કારણે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે. માતા- દીકરીઓના સન્માન સાથે રમત
રમાઈ. પરંતુ થોડા દિવસોથી સતત શાંતિના સમાચાર મળી રહ્યા છે.
તેમણે કહ્યું કે દેશ
મણિપુરના લોકોની સાથે છે. મણિપુરના લોકોએ છેલ્લા કેટલાક દિવસોથી જે શાંતિ જાળવી
રાખી છે તે શાંતિ આગળ લઈ જાય. શાંતિ દ્વારા જ તેમાંથી બહાર નીકળવાનો રસ્તો મળશે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર મળીને આ સમસ્યાઓના ઉકેલ માટે ઘણા પ્રયાસો કરી રહી છે.