કાલુપુર, સાબરમતી સહિત 100 સ્ટેશન રિડેવલપ કરાઈ રહ્યાં છે
કોરોના મહામારી દરમિયાન રેલવે તંત્ર દ્વારા અમદાવાદ સહિત
દેશભરમાં હજુ સુધી તમામ ટ્રેનો શરૂ કરાઇ નથી. રેલવે સાબરમતી, અમદાવાદ, સુરત સહિત દેશના 100થી વધુ સ્ટેશનો પર રિડેવલપમેન્ટના
નામે પેસેન્જરો પર યુઝર ચાર્જ નાખવાની તૈયારી કરી છે. અલગ અલગ શ્રેણી (ક્લાસ)ના
આધારે પેસેન્જરો પાસેથી 10 રૂ.થી
લઈ 50રૂ.
સુધીનો ચાર્જ વસૂલશે તેવી શક્યતા છે.
હાલમાં દોડતી સ્પેશિયલ ટ્રેનોમાં પણ રેલવે રેગ્યુલર ભાડા
કરતા વધુ ભાડું વસૂલાઇ રહ્યું છે.હવે રેલવેએ પેસેન્જરો પર વધુ એક આર્થિક બોજ
નાખવાની તૈયારી કરી છે.
રેલવે સ્ટેશન પર આવતા પેસેન્જરોને વધુમાં વધુ સુવિધા મળી
રહે તે માટે તંત્ર દ્વારા 100થી
વધુ સ્ટેશનોને ડેવલપ કરવામાં આવી રહ્યાં છે. આ તમામ સ્ટેશનો ડેવલપ કરવા માટે ખાનગી
કંપનીઓને આકર્ષવા અને તેમને આર્થિક લાભ પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રેલવે દ્વારા
આવા સ્ટેશનો પર ટિકિટ બુકિંગ દરમિયાન પેસેન્જરો પાસેથી યુઝર ચાર્જ વસૂલ કરવાની
વિચારણા શરૂ કરી છે અને આગામી દિવસોમાં આ વિશે સત્તાવાર જાહેરાતની શક્યતા છે.
હાલમાં રેલવે મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણા ચાલી
રહી છે. જેમાં અલગ અલગ ક્લાસ મુજબ પેસેન્જરો પાસેથી ચાર્જ વસૂલ કરાશે. જો કે સૌથી
વધુ ચાર્જ ફર્સ્ટ એસી અને સેકન્ડ એસીના પેસેન્જરો પાસેથી વસૂલાશે.
મળતી માહિતી મુજબ ગુજરાતમાં અમદાવાદ, સાબરમતી, સુરત ઉપરાંત નવી દિલ્હી, સીએસટી મુંબઈ, નાગપુર, તિરૂપતિ, ચંદીગઢ, ગ્વાલિયર સહિત અન્ય સ્ટેશનો સામેલ
છે જ્યાં યુઝર ચાર્જ વસૂલ કરવામાં આવશે.