અજય હજુ મીઠાઈ, શેમ્પૂ, કંડિશનર, જ્યૂસ, સાબુ, ટૂથપેસ્ટ જેવી 45 વસ્તુ એલોવેરાથી તૈયાર કરી માર્કેટમાં વેચે છે.
આજની વાત છે રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લામાં રહેતા અજય
સ્વામીની. તેઓ છેલ્લાં 12 વર્ષથી
એલોવેરાની ખેતી અને પ્રોસેસિંગ કરે છે. હાલ તેઓ તેમાંથી 45 પ્રકારની પ્રોડક્ટ તૈયાર કરી રહ્યાં
છે. હાલમાં જ તેઓએ એલોવેરાથી બનાવેલા લાડુ તૈયાર કર્યા છે. જેને સારો રિસ્પોન્સ પણ
મળી રહ્યો છે. એલોવેરાની ખેતીથી તેઓ દર મહિને એક લાખ રૂપિયાની કમાણી કરે છે.
31 વર્ષના અજયનો સફર ઘણો જ
મુશ્કેલભર્યો રહ્યો છે. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી દિધા બાદ ઘરમાં જ કોઈ
કમાનારું ન હતું. જેમતેમ કરીને આઠ ધોરણ સુધી અભ્યાસ પૂર્ણ કર્યો. ઘરનો ખર્ચ ચલાવવા
માટે તેઓ એક ચાની લારી પર વાસણ ધોવાનું કામ કરતા હતા. જે બાદ તેઓએ પોતાની ચાની
દુકાન ખોલી હતી. જેમાંથી નફો થયો તો તેઓએ ખેતી કરવાનો પ્લાન બનાવ્યો.
અજય કહે છે કે, 'મારી પાસે ફક્ત બે વીઘા જમીન હતી.
તેના પર અમે પારંપરિક ખેતી કરતા હતા. જેમાં નફો થતો નહોતો. તે સમયે રામદેવ બાબાની
આયુર્વેદિક પ્રોડક્ટ ચર્ચામાં હતી. મેં વિચાર્યુ કે કેમ ન એવા પ્લાન્ટની ખેતી
કરવામાં આવે, જેની
માર્કેટમાં ડિમાન્ડ રહે અને તેનાથી હેલ્થથી જોડાયેલી પ્રોડક્ટ પણ તૈયાર થઈ શકે. જે
બાદ મેં એલોવેરાની ખેતી શરૂ કરવાનો વિચાર કર્યો.'
કબ્રસ્તાનમાંથી છોડ લાવીને ખેતરમાં
લગાવતા હતા
અજય
કહે છે કે મેં નક્કી કરી લીધું કે એલોવેરાની ખેતી કરવી છે. સૌથી મોટો સવાલ હતો કે
તેના માટેનો પ્લાન્ટ ક્યાંથી મળે. કેટલાંક સંબંધીઓ સાથે વાત કરી તો ખબર પડી કે
ચુરૂના એક કબ્રસ્તાનમાં એલોવેરાના છોડ છે. તે ગામના લોકો પણ ઈચ્છતા હતા કે અહીંથી
કોઈ તેને લઈ જાય. જે પછી હું ત્યાં ટ્રેક્ટર લઈને ગયો અને કેટલાંક છોડવાઓ લાવ્યો
અને મારા ખેતરમાં વાવી દિધા.
તેઓ જણાવે છે કે એલોવેરાની ખેતી અંગે મને કંઈ જ જાણકારી ન
હતી. તેથી હું તે લોકોની પાસે ગયો જેઓ તેની ખેતી અને માર્કેટિંગ કરતા હતા. ત્યાં
તેમના કામને જોયું. કેટલાંક લોકોએ જાણકારી આપી તો કેટલાંક લોકોએ ખીજાઈને ભગાડી પણ
દિધો. જે બાદ પણ મેં શીખવાનો પ્રયાસ કર્યો, કેમકે મારી પાસે અન્ય કોઈ ઓપ્શન ન
હતો.
અજય જણાવે છે કે લગભગ એક વર્ષ મારા છોડ તૈયાર થઈ ગયા.
કેટલાંક લોકો પાસેથી તેના માર્કેટિંગ અંગે જાણકારી એકઠી કરી. જે પછી ખ્યાલ આવ્યો
કે એલોવેરાથી બનેલા જ્યૂસની ડિમાન્ડ છે. જે બાદ પાણીવાળી બોટલમાં જ મેં જ્યૂસ
બનાવીને વેચવાનું શરૂ કરી દિધું. હું લોકોની પાસે જતો હતો, અને તેમને પ્રોડક્ટ અંગે જણાવતો
હતો. આ રીતે એક પછી એક અનેક લોકો મારા ગ્રાહક થઈ ગયા. કેટલીક કંપનીઓમાંથી પણ
ડિમાન્ડ આવવા લાગી.
ચાર પાંચ વર્ષ સુધી આ રીતે કામ ચાલતું રહ્યું. જે બાદ મેં
નેચરલ હેલ્થ કેર નામથી પોતાની એક કંપની રજિસ્ટર કરી. જે બાદ ફુડ લાયસન્સ માટે
એપ્લાઈ કર્યું. લાયસન્સ મળ્યાં પછી મારું સમગ્ર ફોકસ એલોવેરાની પ્રોસેસિંગ પર જ
રહ્યું. હું એક પછી એક નવી નવી પ્રોડક્ટ લોન્ચ કરતો ગયો. આજે મિઠાઈ, શેમ્પૂ, કંડીશનર, સાબુ, જ્યૂસ, ટૂથપેસ્ટ જેવી 45 વસ્તુઓ તૈયાર કરું છું. અનેક મોટી
કંપનીઓમાં મારી પ્રોડક્ટ સપ્લાઈ કરું છું. અને લોકો ફોન પર પણ ઓર્ડર આપે છે.
સૌથી મોટી વાત છે કે અજયે આ બધી જ વસ્તુ માટે કોઈ જ
ટ્રેનિંગ લીધી નથી. તેઓ કામ કરતા સમયે જ આ બધું શીખતા ગયા. અજય આજે પણ નવા પ્રયોગ
કરતા રહે છે. ગત વર્ષે લોકડાઉન દરમિયાન તેઓએ એલોવેરાના લાડુ તૈયાર કર્યા હતા. જે
તેમની સૌથી વધુ વેચનારી પ્રોડક્ટ છે. જેની કિંમત 350 રૂપિયા કિલો છે. તે હજુ 30 એકર જમીન પર એલોવેરાની ખેતી કરી
રહ્યાં છે. તેમની સાથે 3-4 લોકો
વધુ કામ કરે છે.
એલોવેરાની ખેતી કઈ રીતે કરાય
અજય
જણાવે છે કે એલોવેરાની ખેતીમાં ખર્ચો ઓછો થાય છે પરંતુ મહેનત ઘણી જ છે. એલોવેરાની
ખેતી માટે રેતીવાળી માટી ઘણી સારી ગણાય છે. જેમાં વધુ પ્રમાણમાં પાણીની જરૂર રહેતી
નથી. ગરમીની રૂતુમાં તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે મૂળમાં થોડી વરાપ રહે. વરસાદ
શરૂ થતાં પહેલાં એલોવેરાનો પ્લાન લાગી જવો જોઈએ. આ છોડ એક વર્ષમાં તૈયાર થઈ જાય
છે. જ્યારે છોડ તૈયાર થઈ જાય ત્યારે સાવધાનીપૂર્વક તેના પાંદડાને અલક કરી લેવા
જોઈએ. થોડાં દિવસ પછી આ છોડમાં નવા પાંદડાઓ આવે છે.
માર્કેટિંગ અને કમાણી કઈ રીત થાય
અજય
જણાવે છે કે આજના સમયમાં માર્કેટિંગ આસાન થઈ ગયું છે. સોશિયલ મીડિયા સૌથી મોટું
પ્લેટફોર્મ છે. અહીં અમે અમારી પ્રોડક્ટ લોકોની વચ્ચે પ્રમોટ કરી શકિએ છીએ. ફ્કત
એક વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે કે પ્રોડક્ટ લોન્ચ કરો, તેની લોકોને કેટલી અને ક્યારે
જરૂરિયાત છે, તેનું
આંકલન કરી લેવું જોઈએ.
આ સાથે જ આપણે ખેતીની સાથે પ્રોસેસિંગ પર જોર આપવું જોઈએ.
તેના પાંદડાની તુલનાએ પલ્પની ડિમાન્ડ વધુ છે. તેથી પ્રયાસ એવો રહેવો જોઈએ કે
વધુમાં વધુ પલ્પ માર્કેટમાં મોકલવામાં આવે. આજે અનેક લોકો કંપનીઓથી કોન્ટ્રાક્ટ
કરે છે અને તેમની જરૂરિયાત મુજબ પાંદડા, પલ્પ અને પ્રોડક્ટ તૈયાર કરવામાં
આવે છે.
અજય જણાવે છે કે થોડી ઘણી જમીન પર પારંપરિક ખેતીની સાથે તેની
શરૂઆત કરી શકાય છે. જે પછી કામ જામી જાય તો ધીમે-ધીમે તેનો વ્યાપ વધારી દેવો જોઈએ.
એક એકર જમીનમાં એક હજાર છોડ ઉગાડી શકાય છે. જો યોગ્ય રીતે તેની સારસંભાળ રાખવામાં
આવે પ્રોસેસિંગ થાય તો પ્રતિ એકર લાખ રૂપિયા વાર્ષિક કમાણી થઈ શકે છે.