નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે સરકાર સંકટમાંથી પસાર થઇ રહેલી ટેલીકોમ કંપનીઓની ચિંતાઓનું સમાધાન ઇચ્છે છે
નવી દિલ્હી: નાણાંમંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે સરકાર સંકટમાંથી પસાર થઇ રહેલી ટેલીકોમ કંપનીઓની ચિંતાઓનું સમાધાન ઇચ્છે છે. કોઇ પણ કંપનીને સંચાલન બંધ ન કરવું જોઇએ. હું ઇચ્છું છું કે દરેક કંપનીઓ મનોબળ ઉંચુ રાખીને વેપાર ચાલુ રાખે. સીતારમણે કહ્યું કે અર્થવ્યવસ્થામાં કંપનીઓની સંખ્યા વધુમાં વધુ હોય અને તેમનો બિઝનેસ સફળ રહે. ટેલીકોમ જ નહીં પરંતુ દરેક સેક્ટરની કંપનીઓ માટે આ જ કામના કરું છું. નાણાં મંત્રાલય પણ આ દ્રષ્ટિકોણ સાથે જ દરેક સાથે વાતચીત કરે છે. ટેલીકોમ સેક્ટરે પણ સંપર્ક કર્યો , અમે તેમના મુદ્દાઓથી પરિચિત છીએ.
એડજસ્ટેડ ગ્રોસ રેવન્યૂ(એજીઆર) પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ ટેલીકોમ કંપનીઓ પર 1.42 લાખ કરોડ રૂપિયાનું દેવુ બની રહ્યું છે. દૂરસંચાર વિભાગને તેની ચૂકવણી માટે રકમના પ્રોવિઝનથી ઘણી પ્રમુખ કંપનીઓને જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ખોટ ગઇ. વોડાફોન-આઇડિયાએ 50 હજાર 921 કરોડ રૂપિયાની ખોટ જણાવી. આ કોઇ પણ ભારતી કંપનીનો સૌથી મોટો ક્વાર્ટરલી લોસ છે. કંપનીએ કહ્યું હતું કે હવે વેપાર ચાલુ રાખવાની ક્ષમતા સરકારથી મળનારી રાહત પર નિર્ભર છે.
ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયાએ એજીઆરના મુદ્દા પર સરકાર પાસેથી અમુક છૂટ આપવાની માંગ કરી છે. કંપનીઓ ઇચ્છે છે કે વ્યાજ અથવા પેનલ્ટીમાં તો રાહત મળે જ. સીતારમણનું કહેવું છે કે એજીઆર પર સુપ્રીમ કોર્ટના ચૂકાદા બાદ જે કંપનીઓએ ગંભીર ચિંતાઓ વિશે જણાવી તેને દૂર કરવાનો વિચાર રાખીએ છીએ.