સરકારે મંદિરનિર્માણ અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનું નક્કી કર્યું છે.
ઇસ્લામાબાદ: પાકિસ્તાનની રાજધાની
ઇસ્લામાબાદમાં બનનારા કૃષ્ણ મંદિરનો પાયો કટ્ટરવાદી ધાર્મિક જૂથોએ તોડી નાખ્યો છે.
આ મંદિરનું નિર્માણ પાક.નું રાજધાની વિકાસ સત્તામંડળ કરી રહ્યું હતું. મુસ્લિમ
કટ્ટરવાદી મૌલવીઓએ મંદિર વિરુદ્ધ ફતવો જારી કર્યો હતો, જેના પગલે વડાપ્રધાન
ઇમરાન ખાને બે દિવસ અગાઉ મંદિરનું કામ રોકવા આદેશ આપ્યો હતો. સરકારે મંદિરનિર્માણ
અંગે ઇસ્લામિક આઇડિયોલોજી કાઉન્સિલની સલાહ લેવાનું નક્કી કર્યું છે.
પાક.ના
ધાર્મિક બાબતોના મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ધાર્મિક પાસાં ચકાસ્યા બાદ
મંદિરનિર્માણ અંગે નિર્ણય લેવાશે. આ મંદિર 20 હજાર સ્ક્વેર ફુટમાં બનવાનું
છે. મંદિરનું નિર્માણ 3
વર્ષથી
અટકેલું હતું. થોડાં દિવસ અગાઉ જ મંદિરનો શિલાન્યાસ થયો હતો. વડાપ્રધાન ઇમરાને
મંદિરનિર્માણ માટે 10
કરોડ
રૂ. આપવાની જાહેરાત પણ કરી હતી, જેનો ઘણી કટ્ટરવાદી ધાર્મિક સંસ્થાઓએ વિરોધ કર્યો
હતો. તેમણે મંદિરને ઇસ્લામવિરોધી ગણાવ્યું છે. જામિયા અશર્ફિયાના મુફ્તી
જિયાઉદ્દીને ફતવો જારી કરીને કહ્યું હતું કે બિનમુસ્લિમો માટે મંદિર કે અન્ય
ધાર્મિક સ્થળ બનાવવા સરકારી નાણા ખર્ચ ન કરી શકાય.