કાર્યક્રમમાં સામેલ થનારા વિશેષ મહેમાનોને ભેટ તરીકે 'રામરજ' અપાશે, જાણો બીજું શું શું મળશે?
અયોધ્યામાં નિર્માણ પામી રહેલાં રામમંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અંગે અનેક ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ તરફથી રામલલા પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થનારા અતિથિઓના સ્વાગત માટે તૈયારી શરૂ થઇ ચૂકી છે. આ દરમિયાન એવા અહેવાલ છે કે કાર્યક્રમમાં સામેલ થનારા વિશેષ મહેમાનોને ભેટ તરીકે 'રામરજ' અપાશે.
શું-શું મળશે ભેટમાં?
ટ્રસ્ટ વતી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહેનારા તમામ મહેમાનોને યાદગાર ભેટ આપવાની યોજના બનાવાઇ છે. તમામ અતિથિને રામમંદિરના ખોદકામ દરમિયાન નીકળેલી માટી (રામરજ) ભેટ તરીકે અપાશે. પ્રસાદ તરીકે તમામ અતિથિઓને દેશી ઘીમાં બનેલા ખાસ મોતીચૂરના લાડુ પણ અપાશે. રામરજ તરીકે મળેલી માટીનો ઘરના બગીચા કે પછી ગમલામાં પણ ઉપયોગ કરી શકાશે. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના સભ્યો અનુસાર વડાપ્રધાન મોદીને શણની બેગમાં 15 મીટરની રામમંદિરની તસવીર ભેટ કરાશે.