મેયર જેક્સ ગોબર્ટે કહ્યું, ‘ઉજવણી રાષ્ટ્રીય આપત્તિમાં ફેરવાઈ ગઈ છે.’
દક્ષિણ બેલ્જિયમના લા લૌવિરેના એક ગામમાં કાર્નિવલની તૈયારી કરતા લોકોને એક
કારે કચડી માર્યા છે. જેમાં 6 લોકોના મોત નીપજ્યા છે અને 26થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તેમાંથી 10
લોકોની હાલત અતિગંભીર છે. હાલ તમામ ઇજાગ્રસ્તોને
સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે. સ્થાનિક પોલીસે આ મામલે કાર ડ્રાઇવર સહિત અન્ય
એક વ્યક્તિની ધરપકડ કરી છે.
બે વર્ષથી
કાર્નિવલ પર પ્રતિબંધ હતો
ફરિયાદીએ આ મામલે જણાવ્યું હતું કે, ‘પ્રાથમિક
તપાસમાં આ ઘટના સાથે આતંકવાદી કૃત્ય હોય તેવું જણાતું નથી. હાલ પોલીસે 30 વર્ષની વયના બે
સ્થાનિક લોકોની આ કેસમાં સ્ટ્રેપી-બ્રેકાગ્નીસ શહેરમાં ઘટનાસ્થળેથી ધરપકડ કરી હતી.
આ શહેર રાજધાની બ્રસેલ્સથી લગભગ 50 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે.
વર્ષોથી આયોજિત આ કાર્નિવલ પર કોવિડ-19ના કારણે છેલ્લા
બે વર્ષથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ વર્ષે
પરંપરા મુજબ લોકો સવારે એકઠા થઈને રસ્તા પર ચાલીને નજીકના ઘરોમાંથી લોકોને બોલાવી
રહ્યા હતા. આમાંના કેટલાક લોકો ઘંટ સાથે રંગબેરંગી પોશાકમાં હતા.’ કિંગ ફિલિપ અને
વડાપ્રધાન એલેક્ઝાન્ડ્રે ડી ક્રૂ અસરગ્રસ્તોના પરિવારોને મળવા રવિવારે
સ્ટ્રેપી-બ્રાકાગ્નીસ પહોંચે તેવી શક્યતા છે.
ઉજવણી રાષ્ટ્રીય આપત્તિમાં ફેરવાઈઃ મેયર
મેયર જેક્સ ગોબર્ટે કહ્યું,
‘ઉજવણી રાષ્ટ્રીય આપત્તિમાં ફેરવાઈ ગઈ છે.’ તેમણે કહ્યું કે, સ્થાનિક સમય અનુસાર સવારે 5 વાગ્યે લગભગ 150 લોકો શેરીમાં ઉભા હતા. ત્યારે
અચાનક પાછળથી એક કાર પૂરપાટ ઝડપે આવી અને તેમને કચડી નાંખ્યા હતા. તેમાંથી કેટલાક
લોકોને ઇજા પહોંચી હતી અને કમનસીબે કેટલાંક લોકો માર્યા ગયા હતા.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘આ ઘટના બાદ કાર સો મીટર દૂર
જઈને અટકી ગઈ હતી. ત્યારે ડ્રાઇવર સહિત અન્ય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.’
દુર્ઘટના પાછળ આતંકવાદનો હેતુ નથી લાગતોઃ ફરિયાદી
નોંધનીય છે કે,
છ વર્ષ પહેલાં બ્રસેલ્સ અને જેવેન્ટેમમાં બે આતંકી
હુમલા થયા હતા, જેમાં 32 લોકોના મોત થયા હતા. ફરિયાદી
ડેમિયન વર્હાયેને કહ્યું, ‘તપાસમાં એવું કંઈ મળ્યું નથી જેનાથી લાગે કે આ દુર્ઘટના પાછળનો હેતુ આતંકવાદ
સાથે જોડાયેલો છે.’ આ ઉપરાંત તેમણે મીડિયાના અહેવાલોને પણ ફગાવી દીધા હતા કે, પોલીસ દોડી ગયેલી કારનો પીછો
કરી રહી હતી.