ભારતના વેપાર વિભાગે હાઇબ્રિડ વાહનો પર ટેક્સ ઘટાડવાનું સમર્થન કર્યું
કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ શુક્રવારે જાહેરાત કરતા કહ્યું હતું કે દેશની ટોચની રિફાઇનરી ઇન્ડિયન ઓઈલ કોર્પોરેશન 300 ઈથેનોલ ઈંધણ સ્ટેશન ખોલશે. પૂણેમાં એક સંમેલનમાં તેમણે કહ્યું હતું કે ‘ઇથેનોલ પંપ ખોલવાની મારી માંગને પેટ્રોલિયમ મંત્રીએ સ્વીકારી લીધી છે.’
વેપાર વિભાગનું હાઇબ્રિડ વાહનો પર ટેક્સ ઘટાડવાનું સમર્થન
વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાતકર્તા અને ઉપભોક્તા દેશ ભારત છે. આ સાથે તે 2070 નેટ-શૂન્ય કાર્બન લક્ષ્યને પૂર્ણ કરવા માટે કાર્બન ફુટપ્રિન્ટ ઘટાડવા આતુર છે. મીડિયા અહેવાલો મુજબ જાપાનીઝ કાર નિર્માતાઓની માંગને પગલે ભારતના વેપાર વિભાગે સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો તરફ વળવામાં મદદ કરવા માટે હાઇબ્રિડ વાહનો પર ટેક્સ ઘટાડવાનું સમર્થન કર્યું છે.
“હું દેશમાંથી પેટ્રોલ અને ડીઝલને ભગાડવાના મિશન પર છું”
નીતિન ગડકરીએ આગાઉ ગુજરાત ગ્લોબલ સમિટમાં કહ્યું હતું કે ‘વાયુ પ્રદૂષણને રોકવા અને આયાતી ક્રૂડ ઓઈલ પર ભારતની નિર્ભરતા ઘટાડવા માટે સ્વચ્છ અને વૈકલ્પિક ઈંધણનું ઉત્પાદન અને ઉપયોગ વધારવાની જરૂર છે. હું હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક અને ફ્લેક્સ ફયુલ વાહનોમાં સફર કરું છું જેથી વૈકલ્પિક ઇંધણનું પ્રચાર કરી શકું. જે રીતે અમે અંગ્રેજોને ભગાડવા માટે ભારત છોડો ચળવળ શરુ કરી હતી. તે જ રીતે હું દેશમાંથી પેટ્રોલ અને ડીઝલને ભગાડવાના મિશન પર છું.’
“દેશ વાયુ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરી રહ્યું છે”
ગડકરીએ કહ્યું કે ‘દેશ વાયુ પ્રદૂષણનો સામનો કરી રહ્યો છે અને પરિવહન ક્ષેત્રનો તેમાં 40 ટકા હિસ્સો છે. આપણી જરૂરિયાતોને પહોંચી વળવા માટે ક્રૂડ ઓઇલની આયાતનું મોટું બિલ એક આર્થિક પડકાર છે. આપણે પ્રદૂષણમુક્ત અને સ્વદેશી ઇંધણ શોધવાની જરૂર છે જે આર્થિક રીતે પણ પરવડે તેવું હોય.’