ઈરાનમાં 8 જાન્યુઆરીએ થયેલી પ્લેન દુર્ઘટના મામલે હજારો દેખાવકારોએ રસ્તા પર ઉતરીને સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યા હતા
વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનમાં સરકાર વિરુદ્ધ થઈ રહેલાં પ્રદર્શન પર કડક નજર રાખી રહ્યા છે. ઈરાનની જનતા સરકાર વિરુદ્ધ પ્લેન દુર્ઘટના મામલે બે દિવસથી દેખાવો કરી રહી છે. તેમને કાબુમાં રાખવા પોલીસે રવિવારે ભીડ પર ટીયર ગેસ છોડ્યા હતા. ત્યારપછી ટ્રમ્પે દેખાવો સામે એક જ દિવસમાં બે ટ્વિટ કર્યા હતા અને કહ્યું- રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે જણાવ્યું કે, નવા પ્રતિબંધોથી ઈરાનનો શ્વાસ રૂંધાઈ ગયો છે અને તેઓ સમજૂતી કરવા તૈયાર છે. હકીકતમાં મને એ ચિંતા નથી કે તેઓ સમજૂતી કરે છે કે નહીં. પરંતુ ઈરાની નેતાઓને ચેતવણી છે કે, તેઓ પરમાણુ હથિયાર ન બનાવે અને દેખાવકારોને ન મારે.
ટ્રમ્પે આગળ કહ્યું છે કે, હજારો લોકોને પહેલાં જ મારવામાં આવ્યા છે અથવા જેલમાં નાખવામાં આવ્યા છે. હવે આ બધુ અમેરિકા પણ જોઈ રહ્યું છે. તમારું ઈન્ટરનેટ શરૂ કરો અને રિપોર્ટ્સને આઝાદીથી ફરવા દો. તમારા મહાન ઈરાનીઓની હત્યાઓ બંધ કરો.
ઈરાનમાં કેમ અચાનક થયા પ્રદર્શન?
ઈરાનમાં 8 જાન્યુઆરીએ યુક્રેનનું એક વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ઈરાને શનિવારે સ્વીકાર્યું કે તેમની સેનાએ ભૂલથી યુક્રેનના પેસેન્જર પ્લેન પર મિસાઈલથી હુમલો કર્યો હતો. સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા આ નિવેદનને માનવીય ભૂલ ગણાવાવમાં આવી છે. આ ઘટના પછીથી ઈરાનમાં હજારો લોકો સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા છે.
ઈરાન માટે પહેલાં જ ટ્વિટ કરી ચૂક્યા છે ટ્રમ્પ
આ પહેલાં ટ્રમ્પે શનિવારે રાતે પણ ઈરાનના દેખાવો મામલે ફારસીમાં ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું- ઈરાનના બહાદુર અને લાંબા સમયથી પીડિત લોકો સાથે હું મારા કાર્યકાળની શરૂઆતથી ઉભો છું. મારું પ્રશાસન તમારી સાથે છે. શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહેલા લોકોનો નરસંહાર ન થવો જોઈએ, ન તેમનું ઈન્ટરનેટ બંધ થવું જોઈએ. સમગ્ર દુનિયા જોઈ જ રહી છે.
એનએસએ કહ્યું હતું- ઈરાન પાસે વાતચીત સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી
એનએસએ રોબર્ટ ઓ બ્રાયને એક ન્યૂઝ ચેનલ દ્વારા ઈરાનની સ્થિતિ વિશે દાવો કર્યા પછી ટ્રમ્પે આ ટ્વિટ કર્યું હતું. રોબર્ટે કહ્યું હતું કે, નવા પ્રતિબંધોના કારણે ઈરાન પાસે સમજૂતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. અમે વધુમાં વધુ પ્રેશર બનાવવાનું કામ કરી રહ્યા છીએ. તેમની પાસે વિકલ્પો ઓછા છે તેથી તેમણે વાત કરવી જ પડશે.
રોબર્ટે કહ્યું, ઈરાનની વ્યવસ્થા પર ખૂબ દબાણ છે અને આ સંજોગોમાં જ્યારે વિદ્યાર્થીઓ પ્લેન દુર્ઘટના મામલે બહાર આવીને ‘તાનાશાહને મોત’ જેવા નારા લગાવે અને હજારો ઈરાની રસ્તા પર ઉતરીને આ પ્રકારનું દબાણ ઉભુ કરે તો તેમની પાસે સમજૂતી સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી.