લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે
મુંબઈઃ લતા મંગેશકરને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી અને તેમને રાતના બે વાગે સોમવારે (11 નવેમ્બર) એડમિટ કરવામાં આવ્યા હતાં. 12 નવેમ્બરે તેમની સ્થિતિ નાજુક હોવાનું કહેવામાં આવ્યું હતું. હજી પણ લતાજી હોસ્પિટલમાં છે અને તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે.
લતા મંગેશકરના ડોક્ટર પ્રતિત સમદાનીએ અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં કહ્યું હતું, તેઓ હજી પણ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમની તબિયતમાં ધીમે ધીમે સુધારો થઈ રહ્યો છે પરંતુ સ્થિતિ હજી પણ ગંભીર છે. તેમને ન્યૂમોનિયા, હાર્ટ પ્રોબ્લમ્સ તથા ચેસ્ટ ઈન્ફેક્શન છે. તેમનું ઈન્ફેક્શન નિયંત્રણમાં આવી ગયું છે પણ તબિયત હજી પણ ગંભીર છે. હાલના તબક્કે કંઈ પણ કહી શકાય તેમ નથી. તેમની તબિયતનું સતત ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને આશા છે કે ટૂંક સમયમાં જ તેઓ સાજા થઈ જશે.
કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ ટ્વીટ કરીને
કહ્યું હતું કે લતા મંગેશકરના પરિવારે સાથે વાત કરી અને તેઓ પહેલાં કરતાં સારા છે
પણ હજી હોસ્પિટલમાં છે. આશા છે કે તેઓ જલ્દી સાજા થઈ જશે. લતાજીની પબ્લિક રિલેશન ટીમે મંગળવારે (12 નવેમ્બર) એક નિવેદન રિલીઝ કરીને
કહ્યું હતું કે તેમની હાલત સ્થિર છે. ધીમે-ધીમે સુધારો થઈ રહ્યો છે. લતાજીએ બીમારી
સામે લડવામાં ખરેખર હિંમત બતાવી છે. તેમના સ્વાસ્થ્ય સંબંધિત દરેક માહિતી શૅર
કરવામાં આવશે. આશા છે કે તમે તેમના પરિવારની પ્રાઈવસીનું સન્માન કરશો.