• Home
  • News
  • કોરોનાવાઈરસ:WHOએ કહ્યું- યુરોપ કોરોનાની રસી વિના ઠીક રહી શકે છે, તો અમેરિકાએ કહ્યું- તમારા કાર્યક્રમ સાથે નહીં જોડાઇએ
post

ટ્રમ્પે કહ્યું હતું- ડબ્લ્યુએચઓ ભ્રષ્ટ, તે ચીનની પડખે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 10:48:02

ડબ્લ્યુએચઓના યુરોપના ડાયરેક્ટર હેન્સ ક્લૂગે કહ્યું છે કે મને નથી લાગતું કે યુરોપમાં રાષ્ટ્રીય સ્તરે લૉકડાઉનની જરૂર પડશે. યુરોપ રસી વિના કોરોના સાથે રહી શકે છે અને મહામારીને હરાવી પણ શકે છે પણ તેણે સ્થાનિક સ્તરે લૉકડાઉન કરવા પડશે. આપણે મહામારી સાથે રહેતા શીખી લઇશું તો જ તેમ કરી શકીશું અને આવું આપણે કાલે જ કરી શકીએ છીએ.

દરમિયાન, સંક્રમણ સામે ઝઝૂમી રહેલા સૌથી શક્તિશાળી દેશ અમેરિકાએ કહ્યું કે તે કોરોનાની રસી શોધવા માટેની કોઇ પણ આં.રા. પહેલમાં નહીં જોડાય, કેમ કે તેમાં ડબ્લ્યુએચઓ પણ સામેલ છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા જડ ડીરેએ કહ્યું- અમેરિકા ડબ્લ્યુએચઓના નેતૃત્ત્વમાં 172 દેશની પહેલમાં નહીં જોડાય. મહામારીને હરાવવા અમેરિકા તેના આં.રા. સાથીઓ સાથે મળીને કામ કરતું રહેશે પણ ભ્રષ્ટ ડબ્લ્યુએચઓ તથા ચીનથી પ્રભાવિત મલ્ટિલેટરલ સંસ્થાઓના દબાણ હેઠળ નહીં આવે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના 62 લાખથી વધુ કેસ સામે આવી ચૂક્યા છે અને 1.85 લાખ મોત થઇ ચૂક્યાં છે.

બીજી તરફ સિંગાપોરના વડાપ્રધાન લી સીન લૂંગે મહામારી સામે લડવામાં સરકારની ભૂલો બદલ માફી માગી છે. આ ભૂલો પરપ્રાંતી શ્રમિકો મામલે થઇ હતી કે જ્યારે એક રૂમમાં 20-20 મજૂરોને રખાયા હતા. લૂંગે કહ્યું કે સરકાર વધુ જલદી અને આક્રમક ઢબે કાર્યવાહી કરવી જોઇતી હતી. સિંગાપોરમાં 56,901 કેસ સામે આવી ચૂક્યા છે અને 27 મોત થયાં છે.

દ.કોરિયાના નાણામંત્રીએ કહ્યું કે કોરોનાકાળમાં ફરી રોકડ સહાય અપાશે
દ.કોરિયા કોરોનાકાળમાં લોકોને ફરી રોકડ સહાય કરશે. દ.કોરિયાના નાણામંત્રી હોન્ગ નૈમ-કીએ કહ્યું કે સરકારે કેટલાક પરિવારોને ફરી રોકડ સહાય કરવી પડશે, કેમ કે કોરોનાને કારણે લાગુ કરાયેલા નિયમો અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહ્યા છે. બધા પરિવારોને રોકડ આપવાના બદલે માત્ર જરૂરિયાતમંદોને આપવાનું વધુ અસરકારક રહેશે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 20,449 કેસ સામે આવ્યા છે અને 326 મોત થયાં છે જ્યારે 15,256 લોકો સાજા થઇ ચૂક્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post