• Home
  • News
  • સહારામાં ફસાયેલા 10 કરોડ લોકોના રુપિયા પરત મળશે:ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કર્યું 'સહારા રિફંડ પોર્ટલ', જાણો રિફંડ મેળવવાની સંપૂર્ણ પ્રક્રિયા
post

સુપ્રીમ કોર્ટે સુબ્રત રોયને રોકાણકારોને 24,400 કરોડ રૂપિયા પરત કરવા કહ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ કેસ ચાલી રહ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-18 19:43:01

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે (મંગળવારે) નવી દિલ્હીમાં સહારા ઈન્ડિયાના રોકાણકારોના નાણાં પરત કરવા માટે 'સહારા રિફંડ પોર્ટલ' લોન્ચ કર્યું છે. આ પોર્ટલ અટલ ઉર્જા ભવન ખાતે લોન્ચ કરવામાં આવ્યું હતું. પોર્ટલ દ્વારા સહારાના એવા રોકાણકારોને પૈસા પરત કરવામાં આવશે જેમનો રોકાણનો સમય એટલે કે સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે.

સહારા ઈન્ડિયાની કો- ઓપરેટિવ સોસાયટીના 10 કરોડ રોકાણકારોના નાણા અટવાઈ ગયા છે. જેમાં બિહાર, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં સૌથી વધુ લોકો છે. પૈસા પાછા ન મળતા રોકાણકારોએ સરકારને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી. પોર્ટલ પર સહારા ઈન્ડિયાના રોકાણકારોની વિગતો હશે. સહારામાં રોકાયેલા પૈસા કેવી રીતે પરત મેળવી શકાય તેની પણ માહિતી મળશે.

માત્ર 4 સહકારી મંડળીઓના રોકાણકારો જ અરજી કરી શકશે

·         સહારા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

·         સહારાયન યુનિવર્સલ મલ્ટીપર્પઝ સોસાયટી લિમિટેડ

·         હમારા ઈન્ડિયા ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

·         સ્ટાર્સ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડ

હાલમાં માત્ર 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે
અમિત શાહે કહ્યું કે, પ્રથમ તબક્કામાં થાપણદારોને માત્ર 10,000 રૂપિયા સુધીનું રિફંડ મળશે. એટલે કે જમા રકમ 20,000 હોય તો પણ ખાતામાં માત્ર 10,000 રૂપિયા જ ટ્રાન્સફર થશે. લગભગ 1.07 કરોડ રોકાણકારો એવા છે જેમને પૂરા પૈસા મળશે કારણ કે તેમનું રોકાણ માત્ર 10,000 રૂપિયા સુધીનું છે.

રિફંડની સંપૂર્ણ પ્રક્રિયા:

·         સૌથી પહેલા https://mocrefund.crcs.gov.in/ પોર્ટલ પર જાઓ.

·         પોર્ટલના હોમપેજ પર ડિપોઝિટર રજિસ્ટ્રેશન પર ક્લિક કરો.

·         આધાર નંબર અને તેની સાથે જોડાયેલ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે.

·         OTP મોકલો પર ક્લિક કરો અને જ્યારે તે આવે ત્યારે OTP દાખલ કરો.

·         નોંધણી પૂર્ણ થવા પર, ડિપોઝિટર લોગિન પર ક્લિક કરો.

·         આધાર અને મોબાઈલ નંબર ફરીથી દાખલ કરીને OTP દાખલ કરો.

·         નિયમો અને શરતો વાંચો અને 'હું સંમત છું' પર ક્લિક કરો.

·         તમારી સંપૂર્ણ વિગતો જેમ કે બેંકનું નામ, જન્મ તારીખ દેખાશે.

·         ડિપોઝિટના પ્રમાણપત્રની નકલ સાથે દાવો વિનંતી ફોર્મ ભરો.

·         સોસાયટીનું નામ, સભ્ય સંખ્યા, જમા રકમ ભરવાની રહેશે.

·         જો તમે કોઈ લોન લીધી હોય અથવા આંશિક ચુકવણી પ્રાપ્ત કરી હોય, તો તમારે જણાવવું પડશે.

·         જો દાવાની રકમ 50 હજારથી વધુ છે તો પાન કાર્ડની વિગતો આપો.

સહારા રિફંડ પોર્ટલ સંબંધિત મહત્વપૂર્ણ સવાલોના જવાબ:

1. અરજદાર પાસે કઈ વિગતો હોવી જોઈએ?

સભ્યપદ નંબર જમા ખાતા નંબર આધાર લિંક્ડ મોબાઈલ નંબર જમા પ્રમાણપત્ર/પાસબુક e.PAN કાર્ડ (જો દાવાની રકમ રૂ. 50,000/- અને તેથી વધુ છે)

2. જો મારી પાસે PAN કાર્ડ ન હોય તો શું કરવું?
જો દાવાની રકમ રૂ. 50,000/- અને તેથી વધુ હોય, તો અરજદાર પાસે પાન કાર્ડ હોવું આવશ્યક છે. જો નહીં, તો તે બનાવડાવું પડશે.

3. શું આધાર લિંક્ડ મોબાઈલ નંબર અને બેંક એકાઉન્ટ ફરજિયાત છે?
ડિપોઝિટર્સ પાસે આધાર લિંક્ડ મોબાઇલ નંબર અને આધાર લિંક્ડ બેંક એકાઉન્ટ હોવું આવશ્યક છે. આ વિના રજિસ્ટ્રેશન થશે નહીં.

4. બેંક ખાતા સાથે આધાર લિંક કેવી રીતે તપાસવું?
બેંક ખાતા સાથે આધાર લિંક કરવાની સ્થિતિ તપાસવા માટે UIDAI વેબસાઇટની મુલાકાત લો.

5. શું અરજદારે તમામ ડિપોઝિટની વિગતો એક જ ક્લેમ ફોર્મમાં આપવી જરૂરી છે?
થાપણદારે તમામ થાપણોની વિગતો એક જ દાવા ફોર્મમાં જોડવાની રહેશે. ડિપોઝિટ પ્રમાણપત્ર અથવા પાસબુકની નકલ પણ અપલોડ કરવાની જરૂરી છે.

6. શું અરજદાર દાવો ફોર્મ સબમિટ કર્યા પછી વધુ દાવાઓ ઉમેરી શકે છે?
ના, દાવો ફોર્મ સબમિટ કર્યા પછી અરજદાર કોઈપણ દાવો ઉમેરી શકતા નથી. તેથી, એક જ વારમાં યોગ્ય રીતે ફોર્મ ભરો.

7. અરજદારને કેવી રીતે ખબર પડશે કે તેનું ફોર્મ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યું છે?
દાવો સફળ થવા પર, પોર્ટલ પર એક સ્વીકૃતિ નંબર પ્રદર્શિત થશે અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક SMS પણ પ્રાપ્ત થશે.

8. કેટલા દિવસમાં રિફંડની રકમ મળશે?
મંજૂરી પછી, તમે જે તારીખે દાવો કર્યો છે તેના 45 દિવસની અંદર દાવાની રકમ આધાર લિંક્ડ એકાઉન્ટમાં જમા થઈ જશે.

9. દાવાની અરજી આંશિક રીતે ભર્યા પછી પણ અરજીકર્તા બહાર નીકળી શકે છે?
હા, અરજદાર પોર્ટલમાંથી બહાર નીકળી શકે છે. બાદમાં, ફરીથી લોગ ઇન કરીને, પ્રક્રિયા જ્યાંથી છોડી હતી ત્યાંથી ચાલુ કરી શકે છે.

10. શું અરજદાર કોઈપણ પ્રકારની ફાઇલ ટાઈપમાં દસ્તાવેજ અપલોડ કરી શકે છે?
દસ્તાવેજો ફક્ત PDF/JPEG/PNG/JPEG2 ફોર્મેટમાં અપલોડ કરી શકાય છે.

દાવો ફક્ત એક જ વાર કરી શકાય છે તેથી એક જ વારમાં તમામ ડિપોઝિટ વિગતો ભરો. વેરિફિકેશન પછી ક્લેમ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. તમારો તાજેતરનો ફોટોગ્રાફ પેસ્ટ કરો અને તેના પર સહી કરો. હવે આ ક્લેમ ફોર્મ અપલોડ કરીને સબમિટ કરવાનું રહેશે. દાવો સફળતાપૂર્વક સબમિટ કરવા પર, રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક સંદેશ મોકલવામાં આવશે.

હવે સહારા સોસાયટી 30 દિવસમાં આ દાવાની ચકાસણી કરશે. ત્યારે આગામી 15 દિવસમાં સરકારી અધિકારીઓ તેના પર કાર્યવાહી કરશે. મંજૂરી મળવા પર રકમ સીધી તમારા આધાર લિંક્ડ એકાઉન્ટમાં જમા કરવામાં આવશે.

5,000 કરોડ ટ્રાન્સફર કરવામાં આવશે
મંત્રાલયે સહારા જૂથની સહકારી મંડળીઓના અસલી સભ્યો/થાપણદારોની ફરિયાદોને દૂર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. માર્ચમાં, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે સહારા જૂથની સહકારી મંડળીઓના વાસ્તવિક થાપણદારોને લેણાંની ચુકવણી માટે 'સહારા-સેબી રિફંડ એકાઉન્ટ'માંથી 5,000 કરોડ રૂપિયા સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS)ને ટ્રાન્સફર કરવામાં આવે.

આ પ્રક્રિયા જસ્ટિસ સુભાષ રેડ્ડીની દેખરેખ હેઠળ પૂર્ણ થશે
સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડીની દેખરેખ હેઠળ થાપણદારોને પૈસા પાછા આપવાના છે. એડવોકેટ ગૌરવ અગ્રવાલ આ મામલે જસ્ટિસ રેડ્ડીની મદદ કરશે. સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2012 માં​​​​​સહારા ગ્રૂપની બે કંપનીઓ, સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન (SIRECL) અને સહારા હાઉસિંગ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (SHICL) ને રોકાણકારોના પૈસા પાછા આપવાનો નિર્દેશ આપ્યા પછી સહારા-સેબી એસ્ક્રો એકાઉન્ટ્સ ખોલવામાં આવ્યા હતા. જેમાં સહારા ગ્રુપ વતી નાણાં જમા કરાવવામાં આવ્યા હતા.

સહારા મોટી ખાનગી કંપનીઓમાંની એક હતી
સહારા 11 લાખથી વધુ કર્મચારીઓ સાથે દેશની સૌથી મોટી ખાનગી કંપનીઓમાંની એક હતી. સહારા ઇન્ડિયાનો બિઝનેસ રિયલ એસ્ટેટ, ફાઇનાન્સ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા અને મનોરંજન, હેલ્થકેયર, હોસ્પિટાલિટી, રિટેલ, ઇન્ફર્મેશન ટેક્નોલોજીથી રમતગમત સુધી ફેલાયેલો હતો. આ ગ્રુપ 11 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાનું સ્પોન્સર હતું. સુબ્રત રોય સહારા IPLમાં પૂણે વોરિયર્સની ટીમના માલિક પણ હતા.

સુબ્રત રોય સહારા પર તેમની બે કંપનીઓ સહારા ઈન્ડિયા રિયલ એસ્ટેટ કોર્પોરેશન (SIRECL) અને સહારા હાઉસિંગ ઈન્ડિયા કોર્પોરેશન લિમિટેડ (SHICL)માં નિયમો વિરુદ્ધ લોકો પાસેથી નાણાં રોકાણ કરાવવાનો આરોપ હતો. આ મામલે તેમને જેલ પણ જવું પડ્યું હતું. સુપ્રીમ કોર્ટે સુબ્રત રોયને રોકાણકારોને 24,400 કરોડ રૂપિયા પરત કરવા કહ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આ કેસ ચાલી રહ્યો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post