રીંછથી પરેશાન ખેડૂતોએ નવી પદ્ધતિ શોધી, ખેતરોમાં સેન્સરયુક્ત મશીનો લગાવ્યાં
જાપાનના ગ્રામીણ ક્ષેત્રોમાં લોકો આજકાલ કોરોના વાઈરસથી
અનેકગણા વધારે જંગલી રીંછોથી પરેશાન છે. અહીં છેલ્લા છ મહિનામાં રીંછોના હુમલાની 13 હજાર ઘટના સામે આવી છે, જે પાંચ વર્ષમાં સૌથી વધારે છે. આ
હુમલામાં સપ્ટેમ્બરથી અત્યાર સુધી 65 લોકોએ જીવ ગુમાવ્યા છે. રીંછો હવે
જંગલ છોડીને ગામડા તરફ આવીને ખેડૂતોના પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. એટલું જ
નહીં, તેઓ
શહેરો તરફ પણ આવી રહ્યા છે. તેથી પરેશાન ખેડૂતોએ રીંછોથી બચવાનો અનોખો કીમિયો
અજમાવ્યો છે. તેમણે રીંછોને ભગાડવા રોબોટિક વરુનો ઉપયોગ શરૂ કર્યો છે.
તેનું મોં 180 ડીગ્રી ફરી શકે
સેન્સરથી
સજ્જ આ રોબોટિક વરુ હરતું-ફરતું નથી, પરંતુ તેના ઘુરકિયા, ડરામણી લાલ આંખો અને ખુલ્લા જડબા
જોઈને રીંછો ભાગી જાય છે. આ રોબોટિક વરુ દોઢ મીટર લાંબા અને એક મીટર ઊંચા છે. આ
રોબોટને અસલી હિંસક જાનવરનો લુક આપવા માટે તેના પર જંગલી જાનવર જેવું ચામડું પણ
લગાવાયું છે. આ સાથે તેનું મોં પણ 180 ડિગ્રી ફરી શકે એવું બનાવાયું છે.
વળી, આ
રોબોટિક વરુ સૌર ઊર્જાથી ચાલે છે અને ત્યારે જ પ્રતિક્રિયા આપે છે, જ્યારે સેન્સર એરિયામાં કોઈ હલચલ
થાય. તેના પરીક્ષણ વખતે વિજ્ઞાનીઓએ તેની પીઠ પર પણ કેમેરા લગાવ્યો હતો. તેના રેકોર્ડિંગમાં
જોવા મળ્યું હતું કે, આ
વરુને જોઈને રીંછો પણ ભાગે છે. રીંછો સહિત અનેક વરુ શહેરો તરફ આવી જાય છે.
મોલમાં ઘૂસી ગયો હતો રીંછ
16 ઓક્ટોબરે
ઈશિકાવાના શૉપિંગ મૉલમાં એક રીંછ ઘૂસી જતા 13 કલાક સુધી લોકોને જીવ અદ્ધર થઈ ગયો
હતો. રીંછે એક વ્યક્તિનો પગ ચાવીને તેને ગંભીર ઈજા પહોંચાડી હતી. પોલીસ તેને
કાબૂમાં લઈ શકી ન હતી. તેને ગોળી મારવાની ફરજ પડી હતી.
રીંછની વધતી સંખ્યા અને ભોજનની
અછતને કારણે હુમલા વધ્યા
ટોક્યો
યુનિવર્સિટીમાં પર્યાવરણના પ્રોફેસર કેવિન શોર્ટનું કહેવું છે કે, જંગલોમાં રીંછોને ભોજન નથી મળતું.
આ સ્થિતિમાં તેઓ કેવી રીતે જીવી શકે. બીજું એક કારણ તેમની વધતી સંખ્યા પણ છે.
જાપાનમાં 15થી 20 હજાર રીંછ છે. તેમનું વજન 200થી 600 કિલો હોય છે. 1915 પછી રીંછોનો શિકાર બંધ છે. એટલે
તેમના હુમલાની સંખ્યા સતત વધી રહી છે.