નેધરલેન્ડ, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, દ. આફ્રિકા, ઈટાલીમાં પણ નવું સ્વરૂપ
બ્રિટનમાં કોરોના વાઇરસનું નવું રૂપ મળ્યા બાદ બનેલી
સ્થિતિને લઈને ભારત સરકાર દ્વારા બ્રિટનથી આવનારી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂકવાનો
નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ 22 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યાથી 31 ડિસેમ્બર રાત્રે 11.59 વાગ્યા સુધીનો રહેશે.જે લોકો
આવતીકાલે અડધી રાત પહેલાં સુધીમાં બ્રિટનની ફ્લાઈટ્સથી ભારત પહોંચ્શે, તેમનું એરપોર્ટ પર જ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે.
બ્રિટનમાં કોરોના વાઇરસનું બદલાયેલું સ્વરૂપ સામે આવ્યું
છે. આશંકા છે કે આ પહેલાવાળા વાઇરસકરતાં 70% વધુ સંક્રમણ ફેલાવનારો છે, જેને કારણે ભારતમાં પણ દહેશતનું
વાતાવરણ છે. એક સર્વેમાં 50%
લોકોએ વાઇરસના નવા સ્વરૂપથી અસરગ્રસ્ત દેશોમાંથી આવતી ફ્લાઇટ્સને બંધ કરવાની માગ
કરી હતી. આ તરફ કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધને કહ્યું હતું કે બ્રિટનમાં મળેલા
કોરોના વાઇરસના નવા સ્વરૂપથી આપણે ગભરાવાની જરૂર નથી. સરકાર એને લઈને અલર્ટ છે.
ઓમાને પણ એક સપ્તાહ માટે ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ
મૂકી દીધો છે. જે અંતર્ગત આવતીકાલે એટલે કે 22 ડિસેમ્બરે એક વાગ્યાથી આગામી એક
સપ્તાહ સુધી એર ઈન્ડિયાની ફ્લાઈટ્સ ન તો ઓમાન માટે જશે કે ન ત્યાંથી કોઈ ફ્લાઈટ્સ
ભારત આવશે. એર ઈન્ડિયાએ તે અંગેની સુચના જાહેર કરી દીધી છે.
7 હજાર લોકો પર સર્વે કરાયો
બ્રિટનમાં
કોરોના વાઇરસનું નવું સ્વરૂપ VUI-202012 / 01 મળ્યું છે, જે ખૂબ જ સંક્રમણ ફેલાવતું હોવાનું
કહેવાય છે. ઘણા દેશોએ બ્રિટન જનારી ફ્લાઇટ્સ પહેલેથી જ બંધ કરી છે. દહેશતની વચ્ચે
સોશિયલ મીડિયા કમ્યુનિટી LocalCirclesએ
સોમવારે દિલ્હીમાં 7091 લોકોનો
સર્વે કર્યો હતો. આમાંથી 50% લોકોએ
કહ્યું હતું કે બ્રિટન, દક્ષિણ
આફ્રિકા અને કોરોના વાઇરસના નવા રૂપથી પ્રભાવિત તમામ દેશોમાંથી ભારત આવનારી
ફ્લાઇટ્સ તાત્કાલિક બંધ કરી દેવી જોઈએ.
સાઉદીએ પણ સરહદ સીલ કરી
સાઉદી
અરબ સરકારે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પર એક સપ્તાહ માટે પ્રતિબંધ લગાવી દીધો છે. સાઉદી
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકો યુરોપિયન દેશોથી સાઉદી આવ્યા છે તેમને
બે અઠવાડિયાં સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે. જેઓ છેલ્લા 3 મહિનામાં યુરોપમાં અથવા નવા કોરોના
વાઇરસના પ્રકારવાળા વિસ્તારમાંથી આવ્યા છે તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ
દરમિયાન તુર્કીએ પણ બ્રિટન, ડેન્માર્ક, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડથી
આવતી ફ્લાઇટ્સ પર પણ અસ્થાયીરૂપે પ્રતિબંધિ લગાવી છે.
વિપક્ષે કહ્યું- ફ્લાઇટ્સ બંધ
કરવામાં આવે
રાજસ્થાનના
મુખ્યમંત્રી અશોક ગેહલોતે બ્રિટનથી આવતી-જનારી ફ્લાઇટ્સને અટકાવવા માટે કેન્દ્રને
અપીલ કરી હતી. આ મામલે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી જણાવ્યુ હતું.
આ તરફ દિલ્હીના
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ કોરોના વાઇરસના નવા સ્વરૂપને સુપરસ્પ્રેડર
જણાવ્યો.