• Home
  • News
  • 7.4ની તીવ્રતાના ભૂકંપથી ધણધણ્યું જાપાન, સુનામીની ચેતવણી, લોકોને સલામત સ્થળે જવા આદેશ
post

પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપ, દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક સલામત સ્થળે પહોંચી જવાનો આદેશ

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-01 20:00:00

2024ની શરૂઆત સાથે જ જાપાનમાં મોટો ભૂકંપ આવ્યો છે. જાપાનની ધરતી ફરી એક વખત ભીષણ ભૂકંપથી ધણધણી ઉઠી છે. 7.4ની તીવ્રતાના ભૂકંપના જોરદાર આંચકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક હટવાના આદેશ અપાયા છે. કેટલાક વિસ્તારોમાં ટ્રેન સેવા સ્થગિત કરાઈ છે. પશ્ચિમ જાપાનમાં મોટું નુકસાન થયાના સમાચાર મળી રહ્યા છે. 

ભૂકંપની તીવ્રતાને ધ્યાનમાં રાખી સુનામીની ચેતવણી પણ જારી કરવામાં આવી છે. જાપાન મેટિરોલોજીકલ એજન્સીના જણાવ્યા પ્રમાણે પશ્ચિમી જાપાનના ઈશિકાવા પ્રાંતમાં શક્તિશાળી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જાપાનના દરિયા કિનારાની સાથે નિગાતા, ટોયામા, યામાગાતા, ફુકુઈ અને હ્યોગો પ્રાન્તમાં પણ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ સાથે સુનામી ચેતવણી કેન્દ્ર દ્વારા ઉત્તર કોરિયા અને રશિયાના પૂર્વ દરિયાઈ વિસ્તાર માટે પણ સુનામીની ચેતવણી જાહેર કરાઈ છે.

જાપાનમાં ભૂકંપ-સુનામીમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે જાહેર કરાયો ઈમરજન્સી નંબર

જાપાનમાં ભારતીય એમ્બેસીએ સોમવારે (1 જાન્યુઆરી) આવેલા ભયંકર ભૂકંપ બાદ જાપનમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે ઈમરજન્સી નંબર જાહેર કર્યા છે. આ સિવાય એમ્બેસીએ એક ઈમરજન્સી કંટ્રોલ રૂમ પણ શરૂ કર્યો છે. દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની એક પોસ્ટમાં કહ્યું કે, એમ્બેસીએ 1 જાન્યુઆરી 2024એ આવેલા ભૂકંપ અને સુનામી મામલે કોઈનો પણ સંપર્ક કરવા માટે એક ઈમરજન્સી કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. કોઈને મદદ માટે આ ઈમરજન્સી નંબરો અને ઈમેઈલ આઈડી પર સંપર્ક કરી શકાશે.

દરિયાકાંઠાના લોકોને તાત્કાલિક હટવાના આદેશ

હવામાન વિભાગ સાથે જોડાયેલા જાપાની અધિકારીઓએ જણાવ્યું કે, સુનામીના કારણે સમુદ્રના મોજા 5 મીટર ઉંચા ઉછળી શકે છે. એટલા માટે લોકોને શક્ય તેટલી વહેલી તકે ઊંચી જમીન અથવા નજીકની બિલ્ડિંગોની ટોચ પર ભાગવાનો આગ્રહ કરવામાં આવ્યો છે. કોસ્ટલ એરિયામાં રહેતા લોકોને સુરક્ષિત સ્થાન પર જવા માટે કહેવામાં આવ્યું છે. ભૂકંપના આંચકા ટોક્યો અને સમગ્ર કાંટો વિસ્તારમાં અનુભવાયા છે.




2011માં ભૂકંપ બાદ આવેલી સુનામીના કારણે 16 હજાર લોકોના મોત થયા હતા

જાપાનમાં માર્ચ 2011માં 9ની તીવ્રતા વાળા વિનાશક ભૂકંપના કારણે મોટી સુનામી આવી હતી. ભૂકંપ બાદ આવેલી સુનામીએ ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટને તબાહ કરી નાખ્યો હતો. આ સુનામીને પર્યાવરણના નુકસાનની દ્રષ્ટિએ એક મોટી ઘટના માનવામાં આવી હતી. ત્યારે સમુદ્રમાં ઉઠેલા 10 મીટર ઉંચા મોજાંએ અનેક શહેરોમાં તબાહી મચાવી હતી. તેમાં લગભગ 16 હજાર લોકોના મોત થયા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post